અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું રજૂ કરીને શહેરની સરકારી કચેરી શનિ-રવિ બંધ રાખવાનો કરાયો નિર્ણય, 14થી 30 એપ્રિલ સુધી જાહેરનામાનો થશે અમલ
સંક્રમણને લઇને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું
14મી એપ્રિલથી 30 એપ્રિલ સુધી દરેક સરકારી કચેરી શનિ-રવિ રહેશે બંધ
કોઇ વ્યક્તિને સરકારી કચેરીમાં નહીં મળે પ્રવેશ
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા પોલીસ કમિશનરે જાહેરનામું જાહેર કર્યું છે. આ જાહેરનામા મુજબ 14મી એપ્રિલથી 30 એપ્રિલ સુધી દરેક સરકારી કચેરી શનિ-રવિ બંધ રહેશે. અને કોઇ પણ વ્યક્તિને સરકારી કચેરીમાં પ્રવેશ આપવામાં નહીં આવે. સાથે જ નાઇટ કર્ફયૂ દરમિયાન કોઈ પણ કાર્યક્રમને મંજૂરી નહીં મળે. તમામ ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. જ્યારે અંતિમયાત્રામાં 50 જેટલા લોકો જ જોડાઇ શકશે.
અમદાવાદમાં લગ્ન પ્રસંગને લઈને પણ જાહેર કરાયા આદેશ
અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામાંમાં લગ્નમાં પણ મહેમાનોની સંખ્યા મર્યાદિત કરી દેવાય છે. જેમાં ખુલ્લી જગ્યામાં 50થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં. અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ દરમિયાન લગ્ન પણ યોજી શકાશે નહીં. હાલ આ જાહેરનામું 30 એપ્રિલ સુધી લાગું કરાયું છે. આગામી સમયમાં નવા આદેશ આવી શકે છે.
અમદાવાદમાં પોલીસ કમિશનરે જાહેરનામું રજૂ કર્યું છે. તો ગઈકાલે મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં કેટલાક નવા નિર્ણયો કર્યા હતા. ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધન કર્યું છે. જેમાં નવા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. રાજ્યમાં સરકારી, અર્ધ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં પણ 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાના આદેશ કરી દેવાયા છે. મુખ્યમંત્રીએ કહ્યું, વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ વધ્યા છે અને ગુજરાતમાં પણ વધ્યા છે. હું દાવા સાથે કહીશ કે, ગુજરાત સરકારે દિવસ રાત જોયા નથી અનેક નિર્ણયો કર્યા છે. સરકાર અને તંત્ર એક વર્ષથી કોરોના વાયરસને પ્રથમ પ્રાથમિકતા આપી છે. ગુજરાત સરકારે તિજોરી ખોલીને જનતાની ચિંતા કરી છે.
ઓફિસમાં 50 ટકા સ્ટાફ
આ સિવાય સીએમ રૂપાણીએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે રાજ્યની સરકારી,અર્ધ સરકારી અને બોર્ડ નિગમ અને ખાનગી હોસ્પિટલમાં 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે.