અમદાવાદ પોલીસ કમિશનરે ચૂંટણીને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ ઉમેદવાર 3 વાહનમાં જ ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે જઈ શકશે. સાથે જ ઉમેદવાર પાંચ જ ટેકેદારને ચૂંટણી અધિકારી સમક્ષ લઈ જઈ શકશે.
ચૂંટણીને લઇ જાહેરનામું બહાર પાડ્યું
અમદાવાદ CPએ બહાર પાડ્યું જાહેરનામું
ઉમેદવાર 3 વાહનમાં ફોર્મ ભરવા જઇ શકશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે. રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં અમદાવાદ પોલીસ કમિશનરે ચૂંટણીને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે.
પોલીસ કમિશનરે ચૂંટણીને લઈને બહાર પાડ્યું જાહેરનામું
અમદાવાદમાં 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ત્યારે મતદાનના દિવસે અને તે પહેલા ઉમેદવારો અને કાર્યકરોએ કયા નિયમોનું પાલન કરવાનું છે તે અંગે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, કોઈ પણ ઉમેદવાર 3 વાહનમાં જ ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે જઈ શકશે. આ ઉપરાંત પાંચ જ ટેકેદારને ચૂંટણી અધિકારી સમક્ષ લઈ જઈ શકાશે. બાકીના ટેકેદારોએ વાહનો સાથે 100 મીટરની ત્રિજ્યાથી દૂર ઉભા રહેવું પડશે. ઉમેદવાર મતદાનના 48 કલાક પહેલાં જાહેરસભા કરી શકશે નહીં.
ઉમેદવાર મતદાનના 48 કલાક પહેલાં જાહેરસભા નહિ કરી શકે
મતદાનના દિવસે કોઈ પણ વ્યકિત મતદાન મથકના 100 મિટરની હદમાં મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ ફોન કે અન્ય કોઇ પણ પ્રતિબંધિત વસ્તુ લઈને જઈ શકશે નહીં. સાથે જ મતદારોને મતદાન મથક સુધી લાવવા - લઈ જવા માટે ઉમેદવાર, તેમના પરિવારના સભ્યો કે કાર્યકરો કોઇ પણ પ્રકારના વાહનની વ્યવસ્થા કરી શકશે નહીં. મતદાનના 48 કલાક પહેલા કોઈ પણ ઉમેદવાર જાહેરસભા બોલાવી શકશે નહીં અને તેમાં હાજર પણ રહી શકશે નહીં.
રાજકોટ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું પ્રસિદ્ધ
રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્વારા પણ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના 100 મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો એકસાથે પ્રવેશી શકશે. સાથે જ કોઈપણ ઉમેદવાર પાંચ જ ટેકેદારને ચૂંટણી અધિકારી સમક્ષ લઈ જઈ શકશે. ચૂંટણી પ્રચારમાં વપરાતા વાહનોની નોંધણી કરાવવી ફરજિયાત છે. આ આદેશોનો અમલ 3 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.