શહેરમાં ર૪ કલાક પાણી પુરવઠો પૂરો પાડવાના મ્યુુનિ. સત્તાવાળાઓના ઢોલની પોલ ખૂલી પડતાં જોધપુરનો પાઇલટ પ્રોજેકટ પણ છેવટે ફલોપ શો પુરવાર થયો છે, જોકે તંત્રને સવારે બે કલાક નદીના પાણીનો પુરવઠો નાગરિકો સુધી આપવામાં પણ આંખે પાણી આવી જાય છે, કેમ કે લોકોના ઘરના નળ સુધી આ પાણી પહોંચતું કરવા પાછળ મ્યુનિ. તિજોરીમાંથી દર હજાર લિટરે રૂ.૧ર જેટલો ખર્ચ કરાય છે એટલે મ્યુનિ. તંત્રનું પાણી ‘મફત’માં સમજીને તેનો બેફામ બગાડ કરનારા લોકોએ પાણીનું મૂલ્ય સમજવાની જરૂર છે.
કોર્પોરેશન વોટર પોલિસી મૂકવાના મૂડમાં નહીં
શહેરમાં વોટર પોલિસી અમલમાં મુકાઇ નથી અને મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી રહ્યા હોઇ સત્તાવાળાઓ વોટર પોલિસી અમલમાં મૂકવાના મૂડમાં પણ નથી એટલે જોધપુર જેવા વોર્ડમાં વોટર મીટર લગાવ્યા બાદ પણ લોકો આડેધડ રીતે પાણી વાપરી રહ્યા છે. ફકત જોધપુરમાં જ નહીં પણ કોટ વિસ્તારની પોળ કે અન્ય પોશ વિસ્તારના રહેણાંકમાં ઘરના ઓટલા, વાહન વગેરે ધોતા લોકોનો તોટો નથી.
પાણી ચોરીને રોકવામાં તંત્ર અસફળ
ખરેખર તો અમદાવાદીઓ પાણીની કદર કરવાનું સમજ્યા જ નથી. પરકોલેટિંગ વેલ ફક્ત કાગળ પર અસ્તિત્વમાં હોય છે એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવાના મામલે પણ નાગરિકો તેમજ તંત્ર પણ ઉદાસીન છે. આજે પણ શહેરની ૧૦ ટકા વસ્તી પાણી માટે વલખાં મારે છે. ઉત્તર-પશ્ચિમ અને દિક્ષણ-પશ્ચિમ ઝોનના લાખો લોકો સ્ટેગરિંગથી પાણી મેળવે છે. પાણી ચોરીનું પ્રમાણ પણ સતત વધતું જતું હોઇ તંત્ર તેને અટકાવી શક્યું નથી.
લોકોના ઘર સુધી પહોંચાડવાનો ખર્ચ 12 રૂપિયા
જ્યારે રાજ્ય સરકાર પાસેથી નદીના પાણીની ખરીદીના ખર્ચથી લઇને તેને ટ્રીટ કરીને લોકોના ઘર સુધી પહોંચાડવાનો ખર્ચ પ્રતિ હજાર લિટરે રૂ.૧ર જેટલો થાય છે. છેલ્લાં ત્રણ વર્ષથી મ્યુનિ. તિજોરીમાંથી દર વર્ષે રૂ.૧ર૦થી ૧રપ કરોડ તો માત્ર નદીનું પાણી મેેળવવા પાછળ ખર્ચાઇ રહ્યા છે. નાગરિકોને પ્રતિદિન માથાદીઠ ૧૪૦ લિટર શુદ્ધ પીવાલાયક ક્લોરિનેશન કરેલું પાણી પૂરું પડાય છે.
નદીનું પાણી મોંઘુ બન્યું
રાજ્ય સરકારને પ્રતિ હજાર લિટર પાણીના રૂ.૩.૮૦ ચૂકવાઇ રહ્યા છે. વર્ષ ર૦૦૭માં પ્રતિ હજાર લિટરના રૂ.૧ ચૂકવાતા હતા, જેમાં દર વર્ષે ૧૦ ટકા વધારો કરાય છે. રાજ્ય સરકાર પાસેથી નદીનું પાણી (રો-વોટર) ખરીદીને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવાનો ખર્ચ, કલોરિનેશનનો ખર્ચ, ટ્રીટમેન્ટ પ્લાન્ટથી વોટર ડિસ્ટ્રિબૂશન સ્ટેશન સુધી પહોંચાડવાનો ખર્ચ, સવારે ડિસ્ટ્રિબૂશન સ્ટેશનથી લોકોના ઘર સુધી પહોંચાડવાનો ખર્ચ, મેન પાવર સહિતના ખર્ચને જોતાં નદીનું પાણી મોંઘું બન્યું છે.
તંત્ર દ્વારા જાણો ક્યાં કેટલું પાણી મેળવાય છે...
તંત્ર દ્વારા જાસપુર અને કોતરપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ક્રમશઃ ૩પ૦ એમએલડી (મિલિયન લિટર પર ડે) અને ૮પ૦ એમએલડી મળીને કુલ ૧ર૦૦ એમએલડી નર્મદાનું પાણી અને રાસ્કા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ર૦૦ એમએલડી મહી નદીનું મળીને રોજેરોજ કુલ ૧૪૦૦ એમએલડી નદીનું પાણી મેળવાઈ રહ્યું છે, જ્યારે ૧૦૦થી ૧ર૦ એમએલડી પાણી તંત્રના પ૬૦ બોરમાંથી મેળવાઇ રહ્યું છે.
પાણી માટે ચૂકવાઇ છે જંગી રકમ
મ્યુનિ. તંત્ર દ્વારા ફ્રેન્ચવેલ, શેઢી કેનાલ (રાસ્કા) ધોળકા બ્રાન્ચ કેનાલ (જાસપુર) અને નર્મદા કેનાલ (કોતરપુર) એમ વિવિધ સ્તરેથી પાણી મેળવવા માટે રાજ્ય સરકારને વર્ષ ર૦૦૯-૧૦થી ગત વર્ષ ર૦૧૯-ર૦ સુધીમાં રૂ.૬૧પ કરોડ જેટલી જંગી રકમ ચૂકવાઇ છે.
અત્યારે શેઢી કેનાલમાંથી રાસ્કામાં મેળવાતા મહી નદીના પાણીનો વિવાદ ચગ્યો છે. તંત્ર દ્વારા રાસ્કામાંથી એપ્રિલ-ર૦૦૦થી રો-વોટર મેળવવાનું શરૂ કરાયું હતું. તે વખતે રાજ્ય સરકાર દ્વારા પાણીના જથ્થા પર ફિક્સ વોટર ચાર્જ અને નોર્મલ વોટર ચાર્જ એમ બે-બે ચાર્જ વસૂલાતા હતા. ત્યારબાદ જાન્યુઆરી-ર૦૦૭થી એક જ ચાર્જ નક્કી કરાયો હતો. હવે તા.૩૦ નવેમ્બર, ર૦ર૦ પહેલાં રાજ્ય સરકારને ફિક્સ અને નોર્મલ વોટર ચાર્જ પેટે રૂ.ર૧.૯૪ કરોડ જમા કરાવે તો ‘વન ટાઇમ સેટલમેન્ટ યોજના’ હેઠળ સરકાર રૂ.૧૬૮.૬૩ કરોડને માંડવાળ કરવા તૈયાર થઇ છે.
રાજ્ય સરકાર દ્વારા ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલાય છે
રાજ્ય સરકાર દ્વારા પાણી માટે ચૂકવવા પાત્ર બાકી રકમ પર ૧૮ ટકા વ્યાજની ઉપર પણ ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલાય છે એટલે બાકી મુદ્દલ પર રૂ.૧૬૮.૮૩ કરોડનું તો વ્યાજ થાય છે. આમાં તો ‘વન ટાઇમ સેટલમેન્ટ યોજના’ અમલમાં મુકાઇ જશે, પરંતુ ફ્રેન્ચવેલમાંથી મેળવાયેલા પાણીના જથ્થા માટે પણ રાજ્ય સરકારની ‘વન ટાઇમ સેટલમેન્ટ યોજના’નો તંત્ર દ્વારા લાભ લેવાશે, કેમ કે ફ્રેન્ચવેલના પાણીના બિલમાં પણ વિવાદ સર્જાયો છે.
જોકે નર્મદાના પાણી બિલની નિયમિત ચુકવણી થઇ રહી છે. તંત્ર દ્વારા વર્ષ ર૦૦પ-૦૬થી જાસપુર માટે નર્મદાનું પાણી મેળવાઇ રહ્યું છે. ત્યાર બાદ કોતરપુરમાંથી પણ નર્મદાનું પાણી મેળવાતું હોવા છતાં બિલના મામલે કોઇ વિવાદ ન હોઇ તેમાં રાજ્ય સરકારની ‘વન ટાઇમ સેટલમેન્ટ યોજના’ અમલમાં મુકાવાની નથી એટલી તો મ્યુનિ. તંત્રને રાહત રહેશે, જોકે નદીનું પાણી વધુ ને વધુ ખર્ચાળ બનતું જાય છે તે તો હકીકત છે.