ગુજરાતમાં આજથી અનલોક-1ને લઇને જનજીવન પુનઃ ધબકતું જોવા મળી રહ્યું છે. રાજ્યભરમાં જાણે અઢી મહિના બાદ જનજીવન સામાન્ય થતાં રસ્તાઓ પર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો અનલોક-1ની શરૂઆથ થઇ ગઇ છે. રોડ પર લોકો કામધંધે તેમજ ઓફિસ જતા જોવા મળી રહ્યાં છે. શહેરમાં સરકારની ગાઇડલાઇન મુજબ નિયમોના પાલન સાથે શહેરમાં AMTS-BRTS સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં છેલ્લા અંદાજે અઢી મહીના જેટલા સમયગાળાથી ચાલી રહેલા લોકડાઉન બાદ આજથી નવા નિયમોની સાથે છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરના સૌથી વધારે ભરચક એવો રિલીફ રોડ ફરી ધમધમતો થઇ ગયેલો જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી રિલિફ રોડ બંધ થયા બાદ રોડ પરના માર્કેટ ચાલુ થયેલા જોવા મળ્યાં છે.
અમદાવાદમાંથી આજથી રસ્તાઓ રિક્ષાઓ થઈ ફરતી
અમદાવાદમાં લોકડાઉન જાહેર કરાયાં બાદથી જ શહેરના રસ્તાઓ પર રીક્ષાઓ બંધ કરી દેવામાં આવી હતી. જો કે 2 મહિનાથી બંધ રીક્ષા ચાલકોને હવે આજથી રાહત થઇ છે. સરકારની છૂટછાટ બાદ શહેરમાં રિક્ષાઓ ફરતી થઇ ગઇ છે. જો કે રિક્ષા ચાલકોને માત્ર 2 મુસાફરોને બેસાડવાની પરવાનગી આપવામાં આવી છે.
અમદાવાદના રસ્તાઓ પર જોવા મળ્યા ટ્રાફિકના દ્રશ્યો
અમદાવાદમાં અનલોક-1ની શરૂઆત થઇ ગઇ છે. શહેરના રસ્તાઓ પર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. SG હાઇવે પર લોકો કામધંધે અને ઓફિસ જતા નજરે પડ્યા છે. સુમાસામ રસ્તાઓ પર ફરી ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. લોકો કોરોનાથી બચવા માસ્કોનો ઉપયોગ કરી રહ્યાં છે. સરકારની ગાઇડલાઇન મુજબ નિયમોનું પાલન થઇ રહ્યું છે.
અમદાવાદમાં આજથી BRTS સેવા શરૂ
અમદાવાદમાં આજથી AMTS અને BRTS બસ સેવા શરૂ કરવામાં આવી છે જેમાં શહેરમાં આજથી BRTSની 125 બસો ફરતી કરવામાં આવી છે. BRTSમાં સોસીયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં એક સીટ બાદ એક સીટ ખાલી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. બસમાં "અહીંયા બેસવું નહીં" તેવા સ્ટીકર સીટો પર લગાડવામાં આવ્યાં છે.
અમદાવાદમાં આજથી AMTS સેવા શરૂ
અમદાવાદમાં આજથી AMTS બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. શહેરની AMTS બસ 50 ટકા મુસાફરો સાથે શરૂ કરાઈ છે. શહેરના 61 રૂટ પર આજથી 350 AMTS બસ કાર્યરત થઈ છે. 32 સીટની બસમાં માત્ર 16 મુસાફરો જ બેસી શકશે. AMTSની બસમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે સ્ટીકર મારવામાં આવ્યા છે. ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરોને માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. પૂર્વની બસો પશ્ચિમમાં અને પશ્ચિમની AMTS બસ પૂર્વમાં નહીં જાય. સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી AMTS બસ ચાલુ રહેશે. દરરોજ રાત્રે બસને સેનેટાઈઝ કરવામાં આવશે.