લાખો શહેરીજનોને છેલ્લા સાડા નવ મહિનાથી કોરોનાએ ભયભીત કરી મૂક્યા હતા. દિવાળી પછી તો અમદાવાદમાં કોરોનાની સેકન્ડ વેવ ફરી વળતાં મ્યુનિસિપલ તંત્ર પણ ધ્રુજી ઊઠ્યું હતું, જોકે શહેરમાં ગત ર૩ નવેમ્બરથી અમલમાં મુકાયેલા રાત્રિ કરફ્યુ તેમજ તંત્રના અનેકવિધ ઉપાયથી હવે કોરોના અંકુશમાં આવ્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
રોજેરોજ નોંધાતા કેસમાં પણ જબ્બર ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે કેસ ૧પ૦થી નીચે ઊતર્યા હોઇ મૃત્યુઆંક પણ ઘટ્યો છે. નવા માઈક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરાતા નથી. આમ, કોરોના ઓછો થયો હોઈ હવે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ અન્ય રોગચાળા સામે ગંભીર થવાની જરૂર છે. ખાસ કરીને કમળા જેવી બારે માસ ફેલાતી પાણીજન્ય બીમારી સામે તંત્રે વધુ જાગૃતિ દાખવવાની છે.
અમદાવાદના ર૦ ટકા વિસ્તારમાં હજુ પાણી અને ગટરના નેટવર્કનાં ઠેકાણાં નથી. શહેરીજનોને દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે ભાડાનાં ટેન્કરથી તંત્ર પાણી પૂરું પાડે છે. ૧૦૦ ટકા વિસ્તારમાં પાણી અને ગટરના નેટવર્કનો ગોલ્ડન ગોલ દસ વર્ષે પણ તંત્ર હાંસલ કરી શક્યું નથી. કોટ વિસ્તારમાં દાયકાઓ જૂની પાણી અને ગટર લાઇન હોઇ છાશવારે લીકેજ થવાથી દૂષિત પાણીની સમસ્યા સર્જાય છે. કોટ વિસ્તારમાં દૂષિત પાણી અને અન્ય વિસ્તારમાં ખાળકૂવાના સામ્રાજ્યથી કમળા જેવો પાણીજન્ય રોગચાળો શહેરમાં બારે માસ જોવા મળે છે, પરંતુ કોરોના મહામારીના પગલે મ્યુનિસિપલ તંત્ર જાણ્યે-અજાણ્યે અન્ય રોગચાળાની ઉપેક્ષા કરી રહ્યું છે.
અગાઉના એક મ્યુનિસિપલ કમિશનર તો રોગચાળાની માહિતી આપવા દર અઠવાડિયે પ્રેસ મિટિંગ કરતા હતા, જેમાં મીડિયાને મચ્છર અને પાણીજન્ય રોગના કેસની માહિતી અને તે માટે લેવાતાં અટકાયતી પગલાં વગેરેની વિસ્તૃત માહિતી આપતા હતા. આમ, લોકોને વિશ્વાસમાં લેવાતા હતા, પરંતુ ગત માર્ચ એન્ડિંગથી કોરોનાના કેસ શહેરમાં નોંધાતા જતાં સત્તાવાળાઓએ અન્ય રોગચાળા સામેથી જાણે નજર જ ફેરવી લીધી છે.
દર સોમવારે અપાતી રોગચાળા સંબંધિત યાદી જ કોરોના આવ્યા પછી આપવાનું બંધ કરાયું છે. તત્કાલીન ભાજપની ચૂંટાયેલી પાંખ પણ મ્યુનિસિપલ તંત્ર પર અઠવાડિક યાદી પ્રસિદ્ધ કરવા માટે દબાણ લાવી શકી નથી. સ્ટેન્ડિંગ કમિટી અને હેલ્થ કમિટીમાં ભાજપના કોર્પોરેટરો નિંભર તંત્ર વિરુદ્ધ માત્ર બળાપો જ વ્યક્ત કરી શકતા હતા.
ગત ર૦૧૯માં શહેરમાં કમળાના સત્તાવાર ર૯રર કેસ નોંધાયા હતા. ડિસેમ્બર-ર૦૧૯માં પણ તંત્રના ચોપડે કમળાના સત્તાવાર ર૩૬ કેસ ચઢ્યા હતા, જ્યારે જુલાઇ-ર૦૧૯માં વરસાદી ઋતુના કારણે કમળો તેના પીક પર હતો અને શહેરમાં ૪પ૩ સત્તાવાર કેસ નોંધાયા હતા, જોકે કોરોના આવ્યા પછી શહેરમાંથી તંત્રના ચોપડે તો કમળો અદૃશ્ય જ થઇ ગયો છે, કેમ કે ગત જુલાઇ-ર૦ર૦માં સત્તાવાર સરકારી આંકડા મુજબ શહેરમાં માત્ર ૩૦ કમળાના કેસ મળી આવ્યા હતા, જે સાવ જ અવિશ્વસનીય છે, જ્યારે ડિસેમ્બર-ર૦ર૦માં કમળાના સત્તાવાર ૪૩ કેસ નોંધાયા હતા.
સમગ્ર વર્ષ ર૦ર૦ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમળાના કુલ ૭ર૩ કેસ જાહેર કરાયા હતા, જે પૈકી પ૮૦ સરકારી હોસ્પિટલના અને ૧૪૩ ખાનગી હોસ્પિટલના કેસ હતા એટલે કે કોરોનાના પગલે વર્ષ ર૦૧૯ની તુલનામાં વર્ષ ર૦ર૦માં કમળાના માંડ ર૪.૭૪ ટકા સત્તાવાર કેસ મ્યુનિસિપલ તંત્રમાં નોંધાયા હતા. એનો અર્થ એ થયો કે કાં તો સત્તાવાળાઓએ કમળાના સત્તાવાર કેસને રેકોર્ડ પણ લેવામાં ગંભીર બેદરકારી દાખવી છે અથવા તો ઇરાદાપૂર્વક જાહેર કરાયેલા સત્તાવાર આંકડામાં ભેદી રમત રમી છે.
ખાડિયા, જમાલપુર, દરિયાપુર, શાહપુર, કાલુપુર સહિતના કોટ વિસ્તાર તેમજ ગોમતીપુર, સરસપુર, દાણીલીમડા, બહેરામપુરા, વટવા, રામોલ, હાથીજણ, સરખેજ અને મકતમપુરા વોર્ડમાં કમળાનો ઉપદ્રવ કાયમી સમસ્યા બન્યો હોઇ ૭ર૩ જેટલા કેસ કોઇને પણ ગળે ઊતરે તેવી વાત નથી.
બીજી તરફ કોરોનાની સત્તાવાર માહિતી દર્શાવતી અખબારી યાદી તંત્ર દ્વારા આપવાનું બંધ કરાતાં શહેરીજનોમાં વારંવાર અન્ય રોગ સંબંધિત ગેરસમજ ફેલાઇ રહી છે. અગાઉ પણ ઝિકા વાઇરસ કહો, બર્ડ ફ્લૂ કે પછી સ્વાઈન ફ્લૂ જેવા ઘાતક રોગના મામલે તંત્ર માહિતી છુપાવીને લોકોને ગેરમાર્ગે દોર્યા છે. હવે જ્યારે બર્ડ ફ્લૂનો નવેસરથી ફફડાટ લોકોને ભયભીત કરી રહ્યો છે તેવા સંજોગોમાં મ્યુનિસિપલ વહીવટીતંત્રે આરોગ્યની સુખાકારી માટે કમળા જેવા અન્ય રોગના મામલે પણ અમદાવાદીઓને સાચી રીતે માહિતગાર કરવા જોઇએ. આ વર્તમાન સમયની કોરાનાના કેસ ઘટ્યા પછીની તાતી જરૂરિયાત છે.