અમદાવાદમાં કોરોનાને માત આપ્યા બાદ મોઢામાં ચાંદા પડતાં મ્યુકર્માઈકોસિસ થયો હોવાનો ડર રાખીને શહેરના પાલડી વિસ્તારમાં એક વૃદ્ધે કરી આત્મહત્યા
અમદાવાદના પાલડી વિસ્તારમાં વૃદ્વે કર્યો આપધાત
મ્યુકર્માઈકોસિસ થવાના ડરથી કર્યો આપઘાત
એપાર્ટમેન્ટની છત પર ઝેરી દવા પીને વૃદ્વે જીવન ટુંકાવ્યું
કોરોના બાદ હવે મ્યુકર્માઈકોસિસનો કહેર અને ડર લોકોમાં વધુને વધુ ફેલાઈ રહ્યો હોવાનું ઉદાહરણ સામે આવ્યું છે. કોરોનાને માત આપ્યા બાદ મોઢામાં ચાંદા પડતાં મ્યુકર્માઈકોસિસ થયો હોવાનો ડર રાખીને શહેરના પાલડી વિસ્તારમાં એક વૃદ્ધે આત્મહત્યા કરી છે.
અમદાવાદના પાલડી વિસ્તારના અમન એપાર્ટમેન્ટમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધને મ્યુકર્માઈકોસિસ થયો હોવાના ડર લાગી ગયો હતો. નિવૃત્ત જીવન જીવતા નિરંજન પટેલ નામના વૃદ્ધે બે દિવસ પહેલા તેમના ફ્લેટના ધાબા પર જઈને દવા પીધી હતી. જો કે લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા તેમના પત્નીએ આસપાસમાં તપાસ કરી હતી. જેમાં નિરંજનભાઈ ફ્લેટના ધાબા પર બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અને તપાસ કરતા એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં નિરંજનભાઇએ પોતાના પરિવારના સભ્યોને ઉદ્દેશીને લખ્યું કે, મને મ્યુકર્માઈકોસિસ થયો છે અને મારા મોઢામાં સફેદ fungus ચાંદા પડ્યા છે. હવે આ કોરોના કાળમાં હોસ્પિટલમાં આ રોગની સારવાર અને શક્ય લાગતી નથી. તેથી હું આ દેહનો ત્યાગ સ્વેચ્છાએ કરું છું. તો મને માફ કરશો. જો કે તેમને ડાયાબિટીસ સહિત અન્ય કેટલાક રોગ હોવાથી તે કંટાળી ગયા હોવાનું પણ આ નોટમાં ઉલ્લેખ કર્યો છે.