ગુજરાતમાં પાટીદારો ફરી મેદાને આવ્યા છે. વર્ષ 2015 જેવું આંદોલન કરવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદના વસ્ત્રાલ ખાતે પાસની બેઠક યોજાઇ હતી. જેમાં પાસના કન્વિનર અલ્પેશ કથીરિયા, ગીતા પટેલ, મનોજ પનારા, જયેશ પટેલ, દિનેશ બાંભણીયા, નિખિલ સવાણી, ધાર્મિક માલવીય, બ્રિજેશ પટેલ સહિતના તમામ કન્વીનરો હાજર રહ્યા હતા. સાથે હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ પણ હાજર રહ્યાં હતાં.
પાટીદારો ફરી મેદાનો આવ્યા
20 દિવસથી હાર્દિક ઘરે નથી આવ્યા, તેના જીવને જોખમઃ કિંજલ પટેલ
કેસ પાછા નહીં ખેંચાય તો આંદોલન કરીશુંઃ અલ્પેશ કથીરિયા
પાટીદાર આંદોલન બાદ હાર્દિક અને પાટીદાર યુવાનો પર કેસ થયેલા છે. જેને લઇને પાસ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પાસ નેતાઓ દ્વારા ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
18 જાન્યુઆરીથી અલ્પેશ ઘરે નથી આવ્યાંઃ કિંજલ પટેલ
હાર્દિક પટેલની ધરપકડ બાદ ગુમ થવા મામલે હવે તેની પત્ની કિંજલ પટેલ પણ મેદાને આવી છે. કિંજલ પટેલે જણાવ્યું હતું કે આપણો સમય આવશે ત્યારે તાનાશાહોના સરનામાં બદલી નાખીશું. 20 દિવસથી હાર્દિક ઘરે નથી આવ્યા. તેના જીવને ચોક્કસ જોખમ છે. આ સમયે આપણે બધાએ એક થઇ લડવાની જરૂર છે. સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઇએ.
કિંજલ પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલને ડરવાની જરૂર નથી. સત્ય ક્યારેય પરાજિત થતું નથી. હાર્દિક ક્યાં છે તે અમને ખબર નથી. જો હાર્દિકને કંઈ થયું તો તે જવાબદારી સરકારની રહેશે. બીજી તરફ હાર્દિકની પત્નીએ જૂના સાથીઓ અને આંદોલનકારીઓને પણ ફરીથી આંદોલનમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે.
અમારા પર ખોટા કેસ કરવામાં આવ્યા છેઃ અલ્પેશ કથીરિયા
પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ પાછા ખેંચવાની માગ સાથે અલ્પેશ કથીરિયાએ ફરી એકવાર સરકાર સામે મોરચો માંડ્યો છે. અલ્પેશ કથીરિયાએ પાસ કાર્યકરો પર દાખલ કરેલા કેસ પરત ખેંચવાની માગણી કરી છે. આ માટે સરકાર આમંત્રણ આપશે તો ચર્ચા કરવા માટે તૈયારી દર્શાવી છે. સાથે જ ટેબલ ટુ ટેબલ વાતચીત માટે તૈયાર હોવાનું જણાવ્યું છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે જો સરકાર તરફથી કેસ પરત ખેંચવા માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે કે નિરાકરણ નહીં આવે તો ફરી એકવાર ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ આંદોલનમાં જોડાવવા માટે પાટીદાર આગેવાનોને પણ અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના આંદોલનની જેમ ફરી એક વખત મેદાને પડવા માટે રણનીતિ તૈયાર કરાઇ છે.