રોટી, કપડા અને મકાનએ નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત છે અને આમ નાગરિકો તે માટે આજીવન સંઘર્ષરત રહેતા હોય છે. પરંતુ જ્યારે આમ નાગરિકો સરકારી તંત્ર પર ભરોસો રાખીને બેસે છે ત્યારે તેમને જુઠા દિલાસા સિવાય કશું હાથ લાગતું નથી. આ ઘટના સાચી પડી છે અમદાવાદમાં કે જ્યાં ઓઢવ વિસ્તારમાં ધરાશાયી થયેલા શિવમ બ્લોકના રહીશો આશરા માટે રઝળપાટ કરી રહ્યા છે અને સરકાર તેમને દિલાસા આપી રહી છે.
આ વેદના છે છતાં મકાને મકાન વગરના નાગરિકોની. મેદાનમાં એક સમયે 82 બ્લોકમાં પથરાયેલી એક આખી વસાહત કિલ્લોલ કરતી હતી. શહેરના ઓઢવ વિસ્તારમાં અહીં શિવમ ફ્લેટ અસ્તિત્વ ધરાવતો હતો. પરંતુ ગત વર્ષે તેના બે બ્લોક ધરાશયી થઈ ગયા બાદ એએમસી દ્વારા બાકીના 82 બ્લોકને પણ જર્જરિત જાહેર કરી દેવામાં આવ્યા હતા. અને પછી તે તમામ બ્લોક ખાલી કરાવીને તેમને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા.
અહીં રહેતા 1332 પરિવારોને કોઈ સહાય કે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર જ મકાન ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. જો કે, સરકારીતંત્રએ તે વખતે લોકોને કહ્યું હતું કે તેમને એક વર્ષની અંદર મકાન ફાળવી દેવામાં આવશે. પરંતુ એક વર્ષ વીત્યા બાદ પણ ન તો અહીં આવાસ બનાવવાની કોઈ તજવીજ હાથ ધરાઈ છે કે, ન તો લોકોને હજુ સુધી વૈકલ્પિક આવાસ ફાળવાવમાં આવ્યા. આખરે નાગરિકો હારી થાકીને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા. નાગરિકો તંત્રને યાચના કરી રહ્યા છે કાં તો મકાન આપો અથવા ઈચ્છા મૃત્યુની પરવાનગી આપો.
વારંવારના વાયદાઓ અને દિલાસાઓ સાંભળી સાભળીને થાકી ગયેલા શિવમ ફ્લેટના રહીશો આજે કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા. હાથમાં માગણીઓની યાદીનો પત્ર અને આંખમાં આંસુ સાથે શિવમ ફ્લેટના આવાસ વંચિત નાગરિકો કલેક્ટર પાસે મદદની આશા લઈને ગયા હતા. તેમણે વહેલી તકે આવાસ ફાળવણીની માગણી કરી હતી અને જો તંત્ર માગણી વહેલી તકે પૂર્ણ કરી શકે તેમ ન હોય તો ઈચ્છામૃત્યુની પરવાનગી આપવાની માગણી કરી હતી.
જોકે, કલેક્ટર હર્ષદ વહોરાએ તમામ અરજદારો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી. પરંતુ મીડિયા સામે વાત કરતી વખતે તેમણે પોતાના કાર્યક્ષેત્રમાં આ કેસ આવતો ન હોવાની વાત કરી હતી. પીડિતોને પોતાનો કેસ કયા વિભાગ સાથે નિસબત ધરાવે છે તેની પણ નથી ખબર હોતી. ત્યારે તંત્રની જવાબદારી વધી જાય છે કે, આ કિસ્સામાં પોતાની જવાબદારીનો નિસબત જોડે અને આવાસ વંચિતોને આવાસ ઉપલબ્ધ કરાવે જેથી કરીને નાગરિકોને ઈચ્છા મૃત્યુની માગણી ન કરવી પડે.