અમદાવાદનાં નિકોલમાં રહેતાં વ્યક્તિએ પત્ની અને સાસરિયાનાં ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો. પોલીસ સહિત પરિવારજનો માટે લખી ચિઠ્ઠી.
અમદાવાદનાં યુવકે મોતને ભેટ્યું
પત્ની અને સાસરિયાનાં ત્રાસથી કંટાળી કર્યુ આપઘાત
ચિઠ્ઠીમાં સ્યુસાઈડનું કારણ જણાવી પોલીસને આપી માહિતી
અમદાવાદ શહેરમાં રહેતા એક યુવકે તેની દુકાનમાં જ સાસરિયાઓનાં ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો. મૃતકના પિતાએ આ અંગે પુત્રવધુ તથા વેવાઇ સામે ફરિયાદ કરી હતી જેથી પોલીસે વેવાઇ અને વેવણની ધરપકડ કરી છે. તપાસમાં મૃતકે સ્યુસાઇડ નોટ પણ લખી હોવાનું સામે આવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. પત્ની હાલ પણ ફરાર છે જેને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.
અંતિમ ચિઠ્ઠીમાં લખ્યાં કારણો
ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, મારા સાસરિયાઓથી કંટાળી ગયો હોવાથી આ પગલું ભરું છું, મારા ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ નથી અને પોલીસ મિત્રોને જણાવું છું કે મારા કોઈ ફેમિલીને હેરાન કરવા નહીં. આઈ લવ યુ મમ્મી-પપ્પા બહેન. મમ્મી પપ્પા હવે ચિંતા ના કરતા..તમે એમ સમજજો કે તમારો છોકરો ફોરેન છે અને બધો હિસાબ પેલી બેગમાં ડાયરીઓ છે એમાં લખ્યો છે. ડાયરીમાં ન ખબર પડે તો જયેશભાઈને કહેજો. આઈ લવ યુ જયેશભાઈ. મારી આધ્યાનું ધ્યાન રાખજો. સોરી બધા ફ્રેન્ડ અને બધા ફેમિલી. બાય... મારાથી બીજી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો
દુકાને કર્યો આપઘાત
આ વાક્યો છે સુભાષ નામના યુવકના જેણે મોતને વ્હાલું કરતા પહેલા આ શબ્દો તેની અંતિમચિઠ્ઠીમાં લખ્યાં હતાં. ઠક્કરનગરમાં રહેતા સુભાષને સાસરિયાઓનો ત્રાસ હતો અને તેનાથી જ કંટાળી ગત 27મી જાન્યુઆરીએ નિકોલ ખાતેની તેની દુકાને આપઘાત કરી લીધો હતો.જે બાબતે હવે કૃષ્ણનગર પોલીસે મૃતકની પત્ની, સાસુ અને સસરા સામે ગુનો નોંધી મૃતકના સાસુ સસરાની ધરપકડ કરી.
પત્ની હળી મળીને રહેતી ન હતી...
પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે મૃતક સુભાષ ભાઈની પત્ની પીનલ લગ્નનાં છ માસ બાદથી સુભાષ અને પરિવારજનો સાથે હળી મળીને રહેતી ન હતી અને કોઈપણ વ્યક્તિ સાથે બરાબર વાતચીત કરતી નહોતી. પિનલ તેના પિયરમાં તેના માતા-પિતા સાથે વાતો કરતી અને તેના માતા-પિતા તેના ચઢામણી કરતા હતા. જેના કારણે તે સાસરે કોઈની સાથે વાતો કરતી નહોતી અને કોઈ પણ પ્રસંગોમાં આવતી નહોતી. અવારનવાર પિનલ તેના પિયર જતી રહેતી હતી અને એકવાર સમાધાન કરી તેને સાસરિયાઓ તેડી લાવ્યા હતા.
29 જાન્યુઆરીના રોજ મીટીંગ રાખી હતી
પીનલ તેના પતિ સુભાષ સાથે વાતચીત પણ કરતી નહોતી કે ફોન પણ કરતી નહોતી. સુભાષની દીકરી આધ્યા સાથે પણ કોઈને કોઈ બહાના કાઢી વાત કરાવતી નહોતી. જે બાબતે સમાધાન કરવા 29 જાન્યુઆરીના રોજ મીટીંગ રાખી હતી. પરંતુ તે પહેલા 27મીના રોજ સુભાષભાઈએ આપઘાત કરી લેતા સુભાષભાઈના પિતાએ સુભાષભાઈની પત્ની સહિતના સાસરીયાઓ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી. પત્ની હાલ પણ ફરાર છે.