હજુ અમદાવાદના બોપલમાં ટાંકી ધરાશાયી થતા ત્રણ લોકોના મોત થયાના ઘા રુજાયા નથી ત્યાં ફરી નિકોલ વિસ્તારમાં ભોજલધામ સોસાયટીની બાજુમાં આવેલી નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં 8 મજૂરો દટાયા હતા. જેને રેસ્ક્યૂ કરાયા છે. જેમાંથી છ ગંભીર છે જ્યારે બે સુરક્ષિત છે.
અમદાવાદમાં એક જ અઠવાડીયામાં કોર્પોરેશનના ભ્રષ્ટાચારને છતી કરતી બીજી મોટી દુર્ઘટના બની છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાણી ડિસ્ટ્રીબ્યુશનની એક લાખ લીટરની ક્ષમતાવાળી પાણીની ટાંકી બની રહી હતી ત્યારે સ્લેબ ધરાશાયી થતાં 8 મજૂરો દટાયાં હતા. જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં 7થી વધુ ફાયર વિભાગનો ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
રેસ્ક્યૂ ઓપરેશન બાદ દટાયેલા આઠમાંથી છ મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. જેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે અન્ય બે મજૂરો સુરક્ષિત છે. સમગ્ર દુર્ઘટનાની જાણ થતા પોલીસ વિભાગ, કોર્પોરેશનની ટીમ તથા 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
ટાંકી બનતી હતી ત્યારે તિરાડો હતીઃ સ્થાનિક કોર્પોરેટર
દુર્ઘટનાની જાણ થતા સત્વરે આવેલા સ્થાનિક કોર્પોરેટરે હૈયા વરાળ કાઢતા કહ્યું મેં તો ટાંકી જ્યારે બનતી હતી ત્યારે જ મેં અધિકારીઓને કહ્યું હતું કે આમાં તિરાડો દેખાઇ છે. પરંતુ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓને આ અંગેની કોઇ જ નોંધ ન લેતા આ ઘટના બની છે.
અમે આઠ લોકોને રેસ્ક્યુ કર્યા છેઃ DCP મકવાણા
DCP અક્ષયરાજ મકવાણાના જણાવ્યા અનુસાર, પાણીની ટાંકીનો સ્લેબ એકાએક ધરાશાયી થયો હતો જેમાં આઠ લોકો દટાયા હતા. પરંતુ પોલીસ અને ફાયરની ટીમે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ આઠને ઝીરો ટોલરન્સ વગર સુરક્ષિત બહાર કાઢ્યા છે. જોકે, છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. જ્યારે બે લોકો સુરક્ષિત છે. આ ઉપરાંત લેબર કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ માત્ર આઠ મજૂરો જ કામ કરતા હોવાથી હવે કોઇ દટાયેલું નથી.
ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છેઃ કોંગ્રેસ પ્રવક્તા
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીના જણાવ્યા અનુસાર આ પ્રકારની ઘટનાઓ ગંભીર બેદરકારીના કારણે અનેક લોકોના જીવ લે છે. ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે. અગાઉ ભાજપ શાસિત નગરપાલિકા બોપલમાં ટાંકી ધરાશાયી થઇ હતી. આજે ફરી નિકોલમાં ટાંકીનો સ્લેબ તૂટ્યો છે. ભાજપ અનેક મહાનગરોમાં શાસન કરી રહી છે. પરંતુ પ્રિમોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર થઇ રહી છે.
CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા
નિકોલની દુર્ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી રૂપાણીએ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ ઉપરાંત તપાસના આદેશ આપ્યા છે. જ્યારે જીતુ વાઘાણીએ પણ યોગ્ય તપાસની ખાતરી આપી છે.
અઠવાડીયા પહેલા જ બોપલમાં ટાંકી પડતા 3 લોકોના મોત થયા હતા
12 ઓગસ્ટના રોજ બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થઇ હતી. જેમાં 3 લોકોના મોત થયા હતા. 20 વર્ષ જૂની ટાંકી તૂટી પડી હતી. જેમાં સ્થાનિકો દ્વારા આ ટાંકીને લઇને અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ જર્જરિત ટાંકીને લઇને ગંભીરતા લેવાઇ ન હતી. જેને લઇને આ દુર્ઘટના સર્જાઇ હતી.