મ્યુનિસિપલ તંત્ર દ્વારા છેક ૧૯૬૨માં સાબરમતી નદી પર નહેરુબ્રિજ બનાવાયો હતો. આ બ્રિજ દાયકાઓ જૂનો હોઈ સુભાષબ્રિજની જેમ રિપેરિંગ માગી લે છે. એટલે મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા આવતા અઠવાડિયાથી બે વખત તેને બંધ કરવામાં આવશે. જોકે રાતના દસથી ચાર વાગ્યા સુધી તંત્ર રિપરિંગ કામ હાથ ધરવાનું હોઈ નાગરિકોને હેરાન નહીં થવું પડે.
શહેરના રાજમાર્ગ ગણાતા પશ્ચિમ તરફના આશ્રમ રોડને પૂર્વ તરફના સરદારબાગ સહિત કાલુપુર-મીરજાપુરને જોડનાર નહેરુબ્રિજ નદી પરનાં વાહન વ્યવહારની દૃષ્ટિએ સૌથી મહત્ત્વનો બ્રિજ છે. જોકે તેનાં નિર્માણને ૫૮ વર્ષ પૂરાં થઈ ચૂક્યાં હોઈ અમુક અંશે ભયજનક બન્યો છે. બ્રિજ પર વાહનચાલકોને મુશ્કેલી સર્જે તેવી તિરાડ પડી હોઈ તેના પિલરની બેરિંગ પણ ત્રાંસી થઈ ગઈ છે.
અગાઉ તંત્ર દ્વારા ખખડધજ થયેલા સુભાષબ્રિજનું ઓગસ્ટ-૨૦૧૯થી રિપેરિંગ હાથ ધરાયું હતું, જેમાં દર રવિવારે સુભાષબ્રિજને બંધ રખાયો હતો. આ કામગીરી ત્રણ મહિના ચાલી હતી અને દિવાળી બાદ રિપેરિંગ માટે ૧૫ દિવસ સુધી સુભાષબ્રિજને સંપૂર્ણપણે બંધ રખાયો હતો.
હવે નહેરુબ્રિજનો વારો આવ્યો છે. નહેરુબ્રિજના સ્વાનને હાઈડ્રોલિક જેકથી લિફ્ટ કરી ૨૪ બેરિંગની સર્વિસ કરવી પડશે, જેમાં અમુક સ્વાનની બેરિંગ બદલવી પડશે. આજે રાતના આ માટેનો ટ્રાયલ રન લેવાયો હતો અને રાતના દસથી સવારના ચાર વાગ્યા સુધી લેવાયેલો ટ્રાયલ રન સફળ નીવડતા સત્તાવાળાઓએ હવે આવતા અઠવાડિયાથી બે દિવસ નહેરુબ્રિજને બંધ રાખીને રિપેરિંગ કામ આગળ વધશે, જોકે રાત્રે રિપેરિંગ હાથ ધરાવાનું હોઈ લોકોને હેરાન નહીં થવું પડે.
આમ તો આ કામગીરી અગાઉ ઓક્ટોબરમાં હાથ ધનારા હતી, પરંતુ તે સમયે મ્યુનિ. સામાન્ય ચૂંટણીનાં ઢોલનગારાં વાગતાં હોઈ કામગીરીને સ્થગિત કરી દેવાઈ હતી. તંત્ર દ્વારા નહેરુબ્રિજનાં રિપેરિંગ કામ માટે રૂ. ૩.૨૪ કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે.
હવે માર્ચ મહિનામાં ચૂંટણી પતી જાય તેવી શક્યતા છે, જેના કારણે ઈજનેર વિભાગ ચૂંટણી પત્યા બાદ નહેરુબ્રિજના જોઇન્ટ એક્સ્પાન્શનનું રિપેરિંગ હાથ ધરશે. નહેરુબ્રિજની ઉપરના ભાગે તિરાડો પડી ગઈ હોઈ તેના રિપેરિંગ માટે બ્રિજને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાની જરૂર છે. એટલે આ કામગીરી માટે ચૂંટણી પ્રક્રિયા આટોપાઈ ન જાય ત્યાં સુધી તંત્ર પ્રતીક્ષા કરશે. નહેરુબ્રિજના રિપેરિંગ બાદ ગાંધીબ્રિજને રિપેર કરાશે.