અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સીટીએમ વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા ૧૧ વર્ષના બાળકનું કરુણ મોત થતાં ચકચાર મચી ગઈ છે. છઠ્ઠા ધોરણમાં ભણતો બાળક ઘરમાં હીંચકાની નાયલોનની દોરીથી રમતો હતો ત્યારે હીંચકાની દોરી તેના ગળામાં લપેટાઈ ગઈ હતી, જેમાં તેનું કરુણ મોત નીપજ્યું છે.
પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સીટીએમ વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સોસાયટીમાં રુદ્રપાલસિંહ સોલંકી (ઉ.વ.૧૧) પરિવાર સાથે રહેતો હતો. રુદ્રપાલસિંહ સીટીએમ પાસે આવેલી કર્ણાવતી અંગ્રેજી મિડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ગઈ કાલે તે ઘરના બેઠકરૂમમાં લટકાવેલી નાયલોનની હીંચકાની દોરીથી રમતો હતો.
રમતાં રમતાં આ જ દોરી તેના ગળામાં ફસાઇ ગઇ અને તે ગળામાં ફાંસો બની ગઇ હતી, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને પોલીસને તાત્કાલિક જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પીએમ માટે મોકલી અકસ્માત મોત દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.