પ્રિન્સીપલ બેંચ દિલ્હી NCLT (નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ) એ અમદાવાદના જ્યુડીશીયલ મેમ્બર હરિહર પ્રકાશ ચતુર્વેદીની અમદાવાદ NCLTથી બદલી કરીને તેમને મુંબઈ NCLTમાં મુક્યા છે, જ્યારે ટૅકનિકલ મેમ્બર પ્રસન્તા કુમાર મોહન્તીને આસામની ગુવાહાટી NCLT ખાતે ટ્રાન્સફર અપાઈ છે.
ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સિ કોડ 2016 અને કંપની એક્ટ 2016 હેઠળ ઘણા કેસ નામદાર નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ અમદાવાદમાં ચાલી રહ્યાં છે એવામાં દિલ્હીથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યમાં તકલીફો ઊભી થઈ શકે છે. દિલ્હીથી અમદાવાદના જ્યુડીશીયલ મેમ્બર હરિહર પ્રકાશ ચતુર્વેદીની અમદાવાદથી મુંબઈ ટ્રાન્સફર કરી દેતાં ગુજરાતમાં NCLT હવે દેખીતી રીતે સંપૂર્ણ ઠપ્પ થઈ ગયું એમ કહેવાશે. અમદાવાદમાં પહેલેથી જ આ બાબતને લઈને ઘણી વખતે રજૂઆત કરાઈ છે કે NCLTની કામગીરી ધીમી અને લંબાતી રહેતી હોય છે. આવામાં આ નિર્ણયથી હવે રાજ્યમાં વધુ આ બાબતે ફટકો પડ્યો છે.
જ્યારે NCLT કોલકતામાંથી જ્યુડીશીયલ મેમ્બર એમ.બી ગોસાવીને અમદાવાદ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. આ નિર્ણયથી ગુજરાતમાં અગાઉથી પૅન્ડિંગ કેસો છે તેને લઈને અસર પડશે અને તેના ચુકાદા આવવાની પ્રક્રિયામાં ઘણો વિલંબ થઈ જશે તેમ માનવામાં આવે છે.
ગુજરાતના વકીલોનો દાવો: આ નિર્ણયથી ન્યાયની પ્રક્રિયા લંબાશે
આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને પ્રિન્સીપલ બેંચને પત્ર લખીને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અત્યારે ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સિ કોડ 2016 અને કંપની એક્ટ 2016 તહત ઘણા દાવા નામદાર નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ અમદાવાદમાં ચાલી રહ્યા છે. અત્યારે ચોક્કસ કેટલી સંખ્યામાં દાવા છે તે આંકડો જાણી શકાયો નથી પરંતુ ઘણા બધા દાવા છે તેવું જાણવામાં આવ્યું છે જેની સુનાવણી બાકી છે અને નામદાર નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલના ચુકાદા બાકી છે.
આવા સંજોગોમાં દિલ્હી NCLT તરફથી મળેલા આદેશ પ્રમાણે આ બંને સભ્યોની નામદાર નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ અમદાવાદમાંથી બદલીને કારણે અત્યારે ચાલી રહેલા ચુકાદાઓની પ્રક્રિયાઓ ચાલવામાં મોટો અવરોધ ઉભો થશે. આ તમામ દાવાની અત્યાર સુધીની સુનાવણીને રદબાતલ કરીને ફરીથી દાવા ચલાવવામાં આવશે. આમ કરવાથી સમય અને સંસાધનોનો વ્યાપક બગાડ થશે અને ન્યાયની પ્રક્રિયા લંબાશે તેવો પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં કેસોનું ભારણ જે પહેલેથી જ વધેલું છે તે હજુ વધશે
નિષ્ણાત વકીલ અભય પાંડેએ આ મામલે જણાવ્યું હતું કે,
"આ સભ્યોની બદલી થતાં ગુજરાતમાં કેસોનું ભારણ જે પહેલેથી જ વધેલું છે તે હજુ વધશે. આ ઉપરાતં સમય પણ વધુ હવે બગડશે. કોરોના સંકટમાં આપણે જોયું છે કોર્ટ ઑનલાઈન કામગીરી કરીને ચુકાદા આપતી હોય છે. ત્યારે ભલે આ સભ્યોની બદલી કરાઈ હોય પરંતુ કામગીરી ઓનલાઈન કરી દેવી જોઈએ જેથી અરજદારોને ન્યાય મળે."
અન્ય એક નિષ્ણાત વકીલ વિશાલ દવે આ બાબતે કહ્યું હતું કે,
"આ નિર્ણયથી વકીલોને અને અરજદારોને ઘણી તકલીફોનો સામનો કરવો પડશે. કારણ કે જ્યારે મોટાભાગના કેસોમાં દલીલો થઈ ચૂકી છે અને માત્ર ચુકાદા આવવાના બાકી હતા ત્યારે આ બદલીથી માત્ર સમયની બરબાદી થશે. કારણ કે સમગ્ર પ્રક્રિયા અને સુનાવણી ફરીથી કરવી પડશે. આમ થવાથી અરજદારોનો ન્યાયપ્રક્રિયામાં વિશ્વાસ ઘટી જશે. આ ઉપરાંત અરજદારોના કેસો પર ચુકાદો નહીં આવવાથી ઘણી ખરી અસર ઈકોનોમી પર પણ પડશે."
શું છે NCLT?
NCLTએ કંપની એક્ટ 2013 તહત બનાવવામાં આવેલી ટ્રિબ્યુનલ કોર્ટ છે. આ કોર્ટમાં કંપનીઓ વચ્ચેના વિખવાદ, દાવા અને ખેંચતાણને સમાધાન, સુલેહ, પુનઃવ્યવસ્થા કરીને સુલઝાવવામાં આવે છે. નોંધનીય છે કે NCLTની બેંચમાં એક જ્યુડીશીયલ મેમ્બર હોય છે જે હાઈકોર્ટના ચાલુ થવા નિવૃત્ત જજ હોય છે અને એક ટેકનિકલ મેમ્બર હોય છે જે ઇન્ડિયન કોર્પોરેટ લો સર્વિસ કેડરનો વ્યક્તિ હોય છે.
કેટલી ટ્રિબ્યુનલ આવેલી છે?
આ ટ્રિબ્યુનલની 16 બેંચ છે જે પૈકી 6 દિલ્હીમાં છે જેમાંથી 1 પ્રિન્સીપાલ બેંચ છે, 2 NCLT અમદાવાદમાં આવેલી છે.