વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત તા.૬ માર્ચથી વસ્ત્રાલ ગામથી એપરલપાર્ક સુધીની ૬.પ કિ.મી. લાંબી મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરાયું હતું. તે વખતે વસ્ત્રાલ ગામથી એપરલપાર્ક વચ્ચે મેટ્રો ટ્રેન સીધી દોડાવાઇ હતી, કેમ કે વચ્ચેના રેલવે સ્ટેશન કાર્યરત થયાં નહોતાં, જોકે હવે નિરાંત ક્રોસ રોડ અને અમરાઇવાડી સ્ટેશન ચાલુ થઇ ગયાં છે, જ્યારે વસ્ત્રાલ અને રબારી કોલોની રેલવે સ્ટેશન નવરાત્રીથી દિવાળી વચ્ચે પેસેન્જર માટે ખુલ્લાં મુકાશે.
મેટ્રો ટ્રેન શરૂઆતના ૧૦ દિવસ પેસેન્જર માટે ફ્રી હતી. તે વખતે મોટી સંખ્યામાં પેસેન્જર મેટ્રો ટ્રેનની મોજ માણવા ઊમટ્યા હતા, પરંતુ ત્યારબાદ મેટ્રો ટ્રેનનો નાનો રૂટ તેમજ કોઇ મહત્ત્વની સ્કૂલ, કોલેજ, વ્યાવસાયિક સેન્ટર વગેરે સંકળાતાં ન હોઇ અત્યારે તો મેટ્રો ટ્રેનના ખાલી કોચ પેસેન્જરની રાહ જોઇ રહ્યા છે. મેટ્રો ટ્રેન શરૂ થયાના ચાર મહિના પછી પણ માત્ર ૧૦ ટકા પેસેન્જર મળે છે, જેનાથી તંત્રને એક સમયે મેટ્રો ટ્રેનનો વધારેલો સમય પણ ફરીથી પૂર્વવત્ એટલે કે સવારના ૧૧ થી સાંજના પ વાગ્યા સુધીનો કરવાની ફરજ પડી છે.
રબારી કોલોની સ્ટેશનનું ૮૦ ટકા અને વસ્ત્રાલનું ૮પ ટકા સિવિલ કામ પૂર્ણ
મેટ્રોના આ રૂટ પર નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની અને અમરાઇવાડી સ્ટેશન આવે છે, પરંતુ મેટ્રો ટ્રેનના લોકાર્પણ વખતે આ પૈકીનાં એક પણ સ્ટેશન લોકોપયોગી થયાં ન હતાં, પરંતુ પહેલાં નિરાંત ક્રોસ રોડ પછી અમરાઇવાડી સ્ટેશન કાર્યરત કરાયા બાદ હવે વસ્ત્રાલ અને રબારીકોલોની સ્ટેશન પેસેન્જર માટે ખુલ્લાં મૂકવાની દિશામાં ચક્રો ગતિમાન છે.
જાણકાર સૂત્રો કહે છે કે રબારી કોલોની સ્ટેશનનું ૮૦ ટકા અને વસ્ત્રાલનું ૮પ ટકા સિવિલ કામ પૂર્ણ કરાયું છે. આ બંને રેલવે સ્ટેશનનાં સિવિલ કામ અને સેફટી પરીક્ષણ વગેરે બાબતોને ધ્યાને લેતાં આગામી નવરાત્રીથી દિવાળી વચ્ચે આ બંને સ્ટેશનનો લાભ પેસેન્જરને મળશે તેમ લાગે છે.