કોરોનાકાળ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું દર્શાવી ખોટા બિલ રજૂ કર્યા હતાં અને ખોટા લેબોરેટરી રિપોર્ટ રજૂ કરી ક્લેમ કર્યો હતો.
અમદાવાદમાં ખોટો મેડિ કલેઈમ કર્યાનો કિસ્સો
ખોટી રીતે 18 લાખનો કલેઇમ પાસ કરાવ્યો
ખાનગી કંપનીના મેનેજરનું કારસ્તાન, વધુ લોકોની સંડોવણીની શકયતા
સામાન્ય રીતે તમે લોકોને મેડિકલ કલેમ કર્યા બાદ કંપની દ્વારા યેનકેન પ્રકારે ક્લેમ પાસ નહિ કરતા હોવાનું જોયું અને સાંભળ્યું હશે.પણ અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં એક દંપતીએ ખોટા બિલ રજૂ કરી કંપની માંથી 18 લાખનો કલેઇમ પાસ કરાવી લીધો.જે મામલે કંપનીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દંપતી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ખોટા બિલ રજૂ કરી ક્લેઇમ પાસ કરાવવો પડ્યો ભારે
ફોટોમાં દેખાતા આ વ્યક્તિનું નામ છે પ્રણય બ્રહ્મભટ્ટ કે જે એક ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરે છે.જેની સામે તેની જ કંપનીના ઉચ્ચ કર્મચારીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.એટલું જ નહિ પણ પ્રણય બ્રહ્મભટ્ટ સાથે તેની પત્ની અનિતા બ્રહ્મભટ્ટ અને અન્ય એક વ્યક્તિ નિકુંજકુમાર પટેલ સામે ફરિયાદ નોંધાઇ છે.ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારી એ ફરિયાદ કરી છે કે ત્રણે કંપનીમાં ખોટા બિલ તેમજ ખોટા રિપોર્ટ રજૂ કર્યા હતા.જેમાં દંપતીએ 18 લાખ પાસ કરાવ્યા જ્યારે નિકુંજનો ક્લેઇમ શંકા જતા અને તપાસ કરતા રદ કરવામાં આવ્યો અને બાદમાં ત્રણે સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.
ભેજાબાજ દંપતીની ખુલ્લી પડી પોલ
તપાસ કરતા સામે આવ્યું કે પ્રણય બ્રહ્મભટ્ટ વીમા કંપનીમાં હેલ્થ ક્લેમ વિભાગના મેનેજર તરીકે ફરજ બજાવતો અને ડોકટરોની ફાઈલનું કામ કરતો.જે પ્રણય બ્રહ્મભટ્ટએ 30 લાખની પોલિસી લીધી હતી.જેમાં તેની પત્ની અનિતા અને બાળકનો સમાવેશ થાય છે.જે ક્લેમની અવધિ પુરી થતા ક્લેમ રીન્યુ કરી આગળ વધાર્યો. અને તે સમયમાં તેઓએ કોરોના કાળ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું દર્શાવી ખોટા બિલ રજૂ કરી અને ખોટા લેબોરેટરી રિપોર્ટ રજૂ કરી ક્લેમ કરી 18.40 લાખ કંપની માંથી પાસ કરાવી લીધા.તો તે જ પ્રકારે નિકુંજકુમારે પણ ખોટા બિલ રજૂ કરી 2.50 લાખનો ક્લેમ કરેલ.જે તપાસમાં ખોટો નીકળતા ક્લેમ રદ કરાયો.આ સમગ્ર મામલાની પોલ ત્યારે ખુલી જ્યારે કંપની દ્વારા તપાસ કરવામાં આવી.કેમ કે કંપનીમાં જ્યારે ક્લેમ થાય ત્યારે ફાઈલ મુકાય અને તે સંલગ્ન વિભાગમાં જઈ ફિલ્ડ ટિમ તેની તપાસ કરતી હોય છે કે ખરેખર દર્દીએ સારવાર લીધી છે કે કેમ.આ કેસમાં નિકુંજકુમારે બાપુનગરમાં ડોકટર હિતેન બારોટના ત્યાં સારવાર લીધી હોવાનું દર્શાવ્યું.ત્યાં તપાસ કરતા ડોક્ટરે અહીં આવી કોઈ સારવાર લેવાઈ નથી તેમ જણાવતા મામલો ખુલો પડ્યો..તો મેડિકલ સ્ટોર ધારકને બિલ અંગે પૂછતાં બતાવવાની ના પાડતા શંકા પ્રબળ બની અને સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો.
દંપતી સહિત ત્રણ લોકો સામે નોંધાઇ પોલીસ ફરિયાદ
મળતી માહિતી પ્રમાણે એ પણ વિગતો સામે આવી છે કે બાપુનગરના એક જ ડોકટરના નામે 38 લોકોએ આ રીતે ફાઈલ મૂકીને ક્લેમ મેળવી લીધા છે.જે અંગે ની પણ કંપનીએ તેમજ પોલીસે તપાસ શરૂ કરી છે.ત્યારે આ કેસમાં અન્ય લોકોની પણ સંડોવણી ખુલવાની પણ શકયતા છે.જેની પણ પોલીસ તપાસ કરી રહી છે.