મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પૂર્વ અમદાવાદમાં સતત વકરતા જતા ડ્રેનેજના પ્રશ્નોના નિરાકરણ માટે નારોલ-નરોડા રોડ પર ૧૨૫ કરોડના ખર્ચે ટ્રેન્ચલેસ પદ્ધતિ ધરાવતો માઇક્રો ટનલ ડ્રેનેજ લાઇનનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.
અમદાવાદના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના નેશનલ હાઈવે પરના તમામ વોર્ડમાં ઝડપથી વર્ટિકલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. સમગ્ર ઉત્તર અને પૂર્વ ઝોનમાં ડ્રેનેજ લાઇન માટે મુખ્ય ત્રણ રોડ છે. ૧૩૨ ફૂટ રોડની એક ૧૪૦૦ એમએમ વ્યાસની ડ્રેનેજ ટ્રંક મેઇન અને ૧૮૦૦ એમએમ વ્યાસની ડ્રેનેજ ડક્ટ પીરાણા એસટીપીમાં જાય છે.
નારોલ-નરોડા રોડ પરની બીજી ૧૬૦૦ એમએમ વ્યાસની ડ્રેનેજ ટ્રંક મેઇન લાઇન પીરાણા એસટીપીમાં જાય છે અને ગોમતીપુર પંપિંગ સ્ટેશનથી આવતી ૧૬૦૦ એમએમ વ્યાસની લાઇન પીરાણા એસટીપીમાં જાય છે, જોકે આ ત્રણેય ડ્રેનેજ લાઇનનું ૧૩૨ ફૂટ રિગ રોડના ગોરના કૂવા પાસે જોડાણ થાય છે, જેના કારણે ડ્રેનેજનું ભારણ વધી જાય છે તેમજ િપક અવર્સમાં બેકિંગની સમસ્યા રહે છે.
જોકે હાલની ડક્ટ ૩૦ વર્ષ જૂની હોઈ રિપેિરંગ માગી લે છે, પરંતુ આ ડ્રેનેજ લાઇન માટેનો આ એકમાત્ર રૂટ હોઈ તંત્ર વૈકલ્પિક દરના અભાવે તેને રિપેર કરી શકતું નથી, જોકે આ પ્રોજેક્ટ હેઠળ નારોલ-નરોડા રોડ ઉપર કેડિલાબ્રિજથી કોઝી હોટલ સુધી ૨૨૦૦ એમએમ વ્યાસની ૫.૬૦ કિમી લાંબી લાઇન નખાઈ રહી છે, જેના કારણે જશોદાનગરથી પીરાણા સુધી ડ્રેનેજનું સરળતાથી વહન થઈ શકશે.
અત્યારે પીરાણા ડમ્પ સાઇટ પાસેની આર્બિડેનિમ કંપની નજીકથી જર્મનીનું ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)થી ૩૦૦ મીટર લાંબી પાઇપને જમીનમાં છથી સાત મીટર ઊંડે ઉતારાઈ છે. આ પાઇપલાઇનને આગળ વધારવા માટે ટીબીએમ મશીનથી બોગદું કરાતું જશે અને દર વખતે નવી ૩૦૦ મીટર લાંબી પાઇપ જમીનની અંદર નખાતી જશે.
સામાન્ય રીતે ડ્રેનેજ લાઇન નાખતી વખતે સમગ્ર એલાઇન્મેન્ટમાં ખોદાણ કરાય છે, જેના કારણે રોડ અને ટ્રાફિકમાં સૌથી વધુ અડચણ પડે છે. તંત્રને વારંવાર ટ્રાફિક ડાઇવર્ઝન આપવું પડે છે તેમજ રોડ બંધ રાખવો પડે છે. આ ઉપરાંત જમીન અંદરની તેમજ ઉપરની ગટર-પાણી-ગેસ લાઇન સહિતની યુટિલિટીમાં ભંગાણ પડે છે તેમજ આ યુટિલિટીને ડાઇવર્ઝન આપવું પડે છે. રેલવે ટ્રેક, હાઈવે, કેનાલ જેવી અન્ય પ્રકારની યુટિલિટીને સરળતાથી પસાર કરી શકાતી નથી તેમજ વારંવાર ભેખડ ધસી પડવાની દુર્ઘટનાનો ભય રહે છે.
જોકે ટ્રેન્ચલેસ પદ્ધતિ ધરાવતી માઇક્રો ટનલના આ પ્રોજેક્ટમાં માત્ર શાફ્ટની જગ્યાએ ખોદાણ કરાતું હોઈ રોડ બંધ કરાતા નથી. લોકોને સમગ્ર એલાઇન્મેન્ટમાં ખોદકામ કરાતું ન હોઈ તેમના ઘર પાસે સતત માટી અને ધૂળ ઊડવાની ફરિયાદ કરવી પડતી નથી. ટ્રેન્ચલેસ પદ્ધતિથી ભારે ટ્રાફિક વચ્ચે પણ સરળતાથી કામ કરાવી શકાય છે. જમીનની અંદર અને ઉપરની યુટિલિટીમાં ખૂબ ઓછી અડચણ થાય છે.
હાલમાં તંત્રે ડાઉન સ્ટ્રીમથી કામગીરી શરૂ કરી છે અને તે આગળ વધતી વધતી કોઝી હોટલ સુધી જશે. કોરોનાના કારણે આ પ્રોજેક્ટ થોડો વિલંબમાં મુકાયો છે તેમ છતાં ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં પૂર્ણ થઈ જશે તેવો તંત્રનો
દાવો છે.