શહેરના નારોલ પોલીસ સ્ટેશનમાં ગઇ કાલે મોડી રાત્રે એક યુવકને પોલીસ કર્મચારીઓએ લાકડી તેમજ પટ્ટાથી માર માર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે.
ગઇ કાલે મોડી રાત્રે નારોલ હાઇવે પર સિવિલ ડ્રેસમાં નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ઊભા હતા ત્યારે એક બાઇક પણ ત્રણ યુવકો આવ્યા હતા. પોલીસ કર્મચારીઓએ ત્રણેય યુવકોને રોક્યા હતા અને ક્યાંથી આવો છો તેમ પૂછયું હતું. યુવકોએ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેમને અમને પૂછનાર કોણ તેમ કહીને પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી. આ ઘટનામાં એક યુવક હિતેશ કાનજીભાઇ વાધેલા (રહે નારોલ આરતીનગર) નાસી છુટ્યો હતો.
પોલીસે બન્ને યુવકોને પકડીને પોલીસ સ્ટેશનમાં લાવી હતી અને નાસી છુટેલા હિતેશને બોલાવવા માટે હિતેશની બહેનને ફોન કર્યો હતો અને તેને માફી પત્ર લખાવીને જવા દઇશું તેમ કહ્યું હતું. હિતેશ વાઘેલા પોલીસ સ્ટેશનમાં હાજર થતાંની સાથે બે પોલીસ કર્માચારીઓ તેને પોલીસ સ્ટેશનની પાછળની એક ઓરડીમાં લઇ ગયા હતા.
જ્યાં તેને પટ્ટા અને લાકડી વડે બહેરેમીથી માર્યો હતો. હિતેશને બારી પાસે ઊભો રાખ્યો હતો. જેમાં તેના બન્ને હાથ પોલીસ કર્મચારીએ પકડી રાખ્યા હતા અને બીજા પોલીસ કર્મચારીએ તેના પર લાકડી અને પટ્ટા વરસાવ્યાં હતાં. હિતેશે બુમાબુમ કરતાં તેની બહેને તરત જ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરી હતી. પોલીસ કંટ્રોલરૂમ તરફથી પણ કોઇ મદદ નહીં મળતાં અંતે ઇજાગ્રસ્ત હિતેશને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લઇ ગયા હતા. પોલીસે હિતેશને એટલી હદે માર્યો હતો કે રીતસરના તેના થાપે અને પગ પર સોળ પડી ગયા હતા.
હિતેશનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેણે કબૂલાત કરી છે કે તે અને તેના મિત્રો દારૂ પીધેલી હાલતમાં હતા અને પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ થઇ હતી. જેમાં માફી પત્ર લખાવવા બહાને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. જ્યાં સૂર્યવીરસિંહ અને દિલિપસિંહ નામના પોલીસ કર્મચારીઓએ તેને માર્યો હતો.
તો બીજી તરફ નારોલ પોલીસે હિતેશ વાઘેલા વિરુદ્ધમાં દારૂ પીવાનો કેસ કરીને તેની ધરપકડ કરી છે. પોલીસે માત્ર હિતેશ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે તો બીજી તરફ હિતેશના બે મિત્રો પણ દારૂ પીધેલા હતા. જેની વિરુદ્ધમાં કોઇ પણ ગુનો દાખલ નહીં થતાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે.
આ મામલે નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાદવે જણાવ્યું છે કે ગઈકાલે મોડી રાત્રે એક પોલીસ કર્મચારી ડ્યૂટી પતાવીને ઘરે જતો હતો તે સમયે હિતેશ વાઘેલા અને તેમના પાંચ મિત્રોએ પોલીસ કર્મચારીને માર્યો હતો. આ ઘટના બાદ હિતેશના ત્રણ મિત્રો ફરાર થઈ ગયા હતા.
જ્યારે હિતેશ અને તેના મિત્રો પોલીસે ધરપકડ કરી હતી. હિતેશે પોલીસ કર્મચારીને માર્યો હોવાના મોડી રાત્રે બે પોલીસ કર્મચારીઓએ હિતેશને માર્યો હતો. ત્યારે ઝોન ૬ ના ડીસીપી બિપીન આહિરેએ જણાવ્યું છે કે પોલીસ કર્મચારીએ યુવકને માર્યો હોવાનું સાબિત થશે તો તેમની વિરુદ્ધમાં શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.