અમદાવાદના નરોડામાં આવેલ સરકારી શાળામાં ધોરણ 6 માં ભણતો વિદ્યાર્થી રમતા-રમતા ધાબા સુધી પહોંચી ગયો હતો. જ્યાથી તે પડી જતા એક વિદ્યાર્થીનું મોત થયું છે.
મળતી માહિતી પ્રમાણે, ધોરણ 6 માં ભણતો મેહુલ મારવાડી નામનો વિદ્યાર્થી મેદાનમાં રમતા-રમતા ધાબા સુધી પહોંચી ગયો હતો અને ત્યાંથી નીચે પટકાયો હતો. જો કે સ્કૂલ સંચાલકો દ્વારા તેને તાત્કાલીક સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.
આ ઘટનાને લઈને અનેક સવાલો પણ ઊઠી રહ્યા છે કે, સ્કૂલના મેદાનમાં રમતો બાળક ધાબા સુધી કેવી રીતે પહોંચ્યો? શું કરી રહ્યા હતા શાળાના સંચાલકો અને શિક્ષકો? શું ધાબા પર જવા માટેની સીડી ખુલ્લી રાખવામાં આવી છે? શું ધાબા પર જવાની વિદ્યાર્થીઓને છુટ આપવામાં આવી છે? વિદ્યાર્થીઓ ધાબે ન પહોંચે તે માટે શું કોઈ દરવાજો નથી રાખવામાં આવ્યો? બાળકના મોત માટે કોણ જવાબદાર? શું આવી રીતે અમદાવાદમાં ચાલે છે શાળાઓ? ક્યાં સુધી આવી રીતે બાળકોના જીવ જતા રહેશે?
હરદેવ સિંહ વાઘેલાના જણાવ્યા પ્રમાણે, રિસેસ દરમિયાન વિદ્યાર્થી રમતા-રમતા પડી ગયો હતો. જે અંગે શિક્ષકોને જાણ થતા જ તેને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે, પરંતુ બાળકનું મોત ક્યા કારણે થયું તેતો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ જાણી શકાશે.