અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં યુવકના મોત મામલે ખુલાસો થયો છે. યુવકનું પોલીસના મારના કારણે નહીં પરંતુ પોલીસ સ્ટેશનના દરવાજે ભટકાવવાથી મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે. નરોડા પોલીસ સ્ટેશનના CCTV સામે આવ્યાં છે.
નરોડા પોલીસ સ્ટેશનના CCTVમાં જોઇ શકાય છે કે, એક યુવક પોલીસથી છટકીને ભાગ્યો હતો. પરંતુ ભાગવા જતાં યુવક પોલીસ સ્ટેશનના દરવાજે ભટકાયો હતો. દરવાજે ભટકાતા યુવકના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.
વધુ પ્રમાણમાં લોહી વહી જતાં થયું યુવકનું મોત
વધુ પ્રમાણમાં લોહી વહી જતા યુવકનું મોત થયું. મહત્વનું છે કે યુવકના મોત બાદ પરિજનોમાં રોષ ફેલાયો હતો અને પોલીસના મારના કારણે મોત થયું હોવાનો આરોપ લગાવ્યો હતો સાથે સાથે પોલીસ પર હત્યાનો પણ આરોપ લગાવ્યો હતો.
પરિવારજનોએ પોલીસ પર લગાવ્યો હતો આરોપ
અમદાવાદના નરોડામાં પોલીસ પર ગંભીર આરોપ લાગ્યો છે. પોલીસના મારથી એક યુવકનું મોત થયું હોવાનો આરોગ લગાવાયો છે. મૃતક યુવકના પરિવારજનોનો આક્ષેપ છે કે યુવક શાકભાજી લેવા માટે બહાર નીકળ્યો હતો. પરંતુ પોલીસે તેને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. વધુ પડતા મારના કારણે મોત થયુ હોવાનો આક્ષેપ કર્યો અને યોગ્ય ન્યાયની માગ કરી છે. તો બીજી તરફ સમગ્ર મામલે નરોડા પોલીસે મૌન સેવ્યું છે.
ACP એ.એમ.દેસાઇનું યુવકના મોત મામલે નિવેદન
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં રૂપેશ ડોલિયા નામના યુવકના મોત મામલે ACP એ.એમ.દેસાઇએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, યુવકે જાતે જ માથુ પછાડીને પોતાને ઇજા પહોંચાડી હતી. આ કારણે તેને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર રહેલા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં યુવક નશો કરતો હોવાનું પોલીસ તારણ કાઢ્યું હતું.