દેશના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ અમદાવાદને મળ્યું છે. યુનેસ્કોએ શહેરના ઇતિહાસના આધારે અમદાવાદને ગત તા. ૮ જુલાઈ-૨૦૧૭થી આ ગૌરવ પ્રદાન કર્યું છે.
અમદાવાદનો ૬૦૦ વર્ષથી પણ જૂનો ઇતિહાસ હોઈ તેમાં આશા ભીલ, રાજા કર્ણદેવ અને સુલતાન અહમદશાહના નામથી સમય સમય પર આ શહેર ઓળખાતું રહ્યું છે. જોકે અમદાવાદનું હાલનું નામ અહમદઆબાદનું અપભ્રંશ હોઈ તેને બદલીને હિંદુ સંસ્કૃતિને અનુરૂપ કર્ણાવતી રાખવાની લોકલાગણીમાં શાસક ભાજપે પણ આંખ મીંચીને ઝુકાવ્યું હતું.
અમદાવાદ નામ પ્રત્યે સૂગ ધરાવતા ભાજપના અનેક પદાધિકારીઓ વખતો વખત જાહેર પ્રવચન સહિત વિવિધ રીતે કર્ણાવતીનો ઉલ્લેખ કરતા આવ્યા છે, તેમ છતાં અમદાવાદને સત્તાવાર રીતે હજુ સુધી કર્ણાવતી નામ મળ્યું નથી. વીસ-વીસ વર્ષ પહેલાં ભાજપે નાગરિકો સમક્ષ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરીશું તેવી જાહેરાત કરી હતી, જેના કારણે આજે પણ મ્યુનિ. વર્તુળોમાં આ જાહેરાત એટલે ભાજપ દ્વારા લોકોને અપાયેલી લોલીપોપ તરીકે જ ચર્ચાઈ રહી છે.
હિંદુત્વવાદી પક્ષ તરીકે લોકોમાં જાણીતા ભાજપે છેક ૧૯૯૦માં અમદાવાદના નામકરણનો મુદ્દો ગજવ્યો હતો. તે વખતે શાસક પક્ષ તરીકે ભાજપે મ્યુનિ. સામાન્ય સભામાં કર્ણાવતીનો ઠરાવ પસાર કરીને રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી માટે મોકલાવ્યો હતો. ત્યાર પછી કર્ણાવતી નામ ભાજપના કેટલાક નેતાના લેટરપેડ કે પ્રવચન સુધી સીમિત રહ્યું છે.
આ તો ઠીક, ભાજપના તત્કાલીન સત્તાધીશોએ અમદાવાદની સ્થાપનાના ૬૦૦મા વર્ષની ઉજવણી સુલતાન અહમદશાહના ઇતિહાસના આધારે ૨૦૧૧માં ભભકાદાર રીતે કરીને ખુદ પક્ષમાં આશ્ચર્યનું મોજું ફેલાવ્યું હતું. હવે ચૂંટણીનાં ઢોલ-નગારાં વચ્ચે કર્ણાવતીની યાદ ફરીથી તાજી થઈ છે.
તાજેતરમાં નામકરણનો વિવાદ પુનઃ ગાજી ઊઠ્યો છે. વર્ષોથી અમદાવાદનું નામ કર્ણાવતી તો કરી શકાયું નથી, પરંતુ એક ચાઇનીઝ ફળનું નામ બદલાયું છે. ગુલાબી રંગનું ડ્રેગન જે દર્દીના શરીરમાં પ્લેટલેટ્સ ઓછા હોય તેવા દર્દી માટે ગુણકારી છે. કચ્છમાં ગુલાબી રંગનાં ડ્રેગન ફળની ખેતી થાય છે. જોકે હવે આ ફળ 'કમલમ્' નામથી ઓળખાશે. કમળ જેવા દેખાતા ચાઇનીઝ ફળનું તો નવું નામકરણ કરાયું છે, પરંતુ જે તે સમયે કર્ણાવતીના નામે મતદારોને રિઝવીને ખોબે-ખોબે મત મેળવનાર મ્યુનિ. ભાજપની બે દાયકા જૂની દરખાસ્ત હજુ ધૂળ ખાતી પડી છે. બીજા અર્થમાં અમદાવાદનું કર્ણાવતી નામકરણ માત્ર પબ્લિસિટી સ્ટંટ કરતાં વિશેષ કંઈ નથી તેવી પણ ચર્ચા ઊઠી છે.
આમ તો ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન આદિત્યનાથે હિંદુઓના પવિત્ર શહેર અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ અને ફૈઝાબાદનું જિલ્લાનું નામ અયોધ્યા કરતા તે સમયે પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માગણી ઊઠી હતી. બે વર્ષ અગાઉ ૨૦૧૮ની નવેમ્બરની કડકડતી ઠંડીના દિવસોમાં કર્ણાવતી નામનું રાજકારણ આખા ગુજરાતમાં ગરમાયું હતું. ગાંધીનગર સ્તરેથી પણ કર્ણાવતી નામની જાહેરાત કરાતા સમગ્ર બાબત ભારે ચર્ચાસ્પદ બની હતી. અમુક લોકોએ તો કર્ણાવતીના બદલે શહેરનું પ્રથમ નામ આશાવલ હોઈ તે રાખવાનો આગ્રહ રાખ્યો હતો.
તત્કાલીન મેયર બીજલ પટેલે પણ રાજ્ય સરકાર તરફથી સૂચના મળશે તો ડિસેમ્બરના અંતમાં મળનારી મ્યુનિ. સામાન્ય સભામાં કર્ણાવતીના નામનો ઠરાવ મંજૂરી માટે મૂકવાની જાહેરાત કરતાં અનેક હિંદુત્વ પ્રેમીઓ આનંદિત થયા હતા. જોકે બે વર્ષ જૂની આ જાહેરાતમાં પણ એક ડગલું પણ આગળ ભરી શકાયું નથી અને હાલની સ્થિતિએ તો કર્ણાવતીના નામકરણમાં 'જૈસે થે' હાલત કહો કે 'દળી દળીને ઢાંકણીમાં' જેવું જ છે.