અમદાવાદમાં કોરોનાનો કહેર જે રીતે વરસી રહ્યો છે એ રીતે ધીરે ધીરે શહેરમાં એક પણ વ્યક્તિ એવું બાકી નથી જેનું કોઈ મિત્ર, સગુ, કોઈ ઓળખીતુ કે પાડશી કોરોનાની ઝપેટમાં ન આવ્યું હોય. અને રોગ પણ કેવો? કે લોકોએ એકબીજાથી દૂર રહેવાનું. મરણ હોય કે જમણ સાથે નહીં કરવાનું. ત્યારે અમદાવાદમાં આટ આટલી મુશ્કેલીમાં પણ માનવતા મહેંકી ઉઠી હતી. હિન્દુ પાડોશીની અંતિમયાત્રા મુસ્લિમ બિરાદરોએ ‘રામ નામ સત્ય હૈ’ના નારા સાથે કાઢી ત્યારે ભલભલા કઢણ કાળજાના માણસોની આંખના ખુણા પણ ભીના થઈ ગયા હતા.
15 જેટલા મુસ્લિમોએ જાળવ્યો મોતનો મલાજો
મુસ્લિમોએ રાજારામને અંતિમ વિદાય આપી
અમદાવાદ કોમી રમખાણો અને કોમી એખલાસ બંનેનું સાક્ષી
અમદાવાદના ગોમતીપુર સુવપંખીની ચાલીમાં રહેતાં એકલા રહેતાં 75 વર્ષના રાજારામ યાદવ નામના હિન્દુ વૃદ્ધનું બુધવારે સવારે વાગ્યાના અરસામાં મોત થયું હતું. હાલ ચાલી રહેલા કોરોના સંકટને પગલે તેમને કાંધ આપવા કે તેમની સ્મશાનયાત્રામાં કોઈ સગા સામેલ નહોતા થઈ શક્યા. વૃદ્ધની અંતિમવિધી 4 વાગ્યે કરવાની હતી ત્યારે આસપાસ રહેલા મુસ્લિમ બિરાદરોએ ‘રામ નામ સત્ય હૈ’ બોલી અને રાજારામ યાદવને કાંધ આપી હતી અને અંતિમ વિધીમાં જોડાયા હતા.
મુસ્લિમોએ રાજારામને અંતિમ વિદાય આપી
15 જેટલા મુસ્લિમોએ ‘રામ નામ સત્ય હૈ’ બોલી સુખરામનગર ખાતેના રખિયાલ મુક્તિ ધામમાં બપોરે 4 વાગ્યા આસપાસ અંતિમ વિધિ કરી હતી, મુક્તિધામ પાસે હાજર લોકોએ માથે ટોપી પહેરેલા મુસ્લિમોએ રાજારામને અંતિમ વિદાય આપી મોતનો મલાજો જાળવ્યો હતો.
અમદાવાદ કોમી રમખાણો અને કોમી એખલાસ બંનેનું સાક્ષી
અમદાવાદ કોમી રમખાણો અને કોમી એખલાસ બંનેનું સાક્ષી રહ્યુ છે. આ કોરોનાની મહામારીમાં સૌથી વધુ સંવેદનશીલ વિસ્તાર એ જ છે જે કોમી રમખામોમાં સંવેદનશીલ હોય છે. ત્યારે સીટી વિસ્તારમાં વકરેલા કોરોનાનો સામનો અને સ્વજનના મોતનું દુખ ચાહે મુસ્લિમ હોય કે હિન્દુ દરેકને સમાન થાય છે એ ફરી એકવાર સાબિત કરી દીધુ છે.