સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભૂગર્ભ ગટરની સફાઈમાં કોઇ સફાઈ કર્મચારીને ગટરમાં ઉતારવાના હોતા નથી. તેમ છતાં અનેક કિસ્સામાં સફાઈ કર્મચારીઓને સફાઈ માટે ઉતારાયા હોવાનું બહાર આવ્યું છે. ખુદ મ્યુનિ. તંત્રના ચોપડે છેક વર્ષ ર૦૦૧થી વર્ષ ર૦૧ર સુધીના ૧ર વર્ષમાં કુલ ૧૬ કિસ્સામાં અકસ્માતથી સફાઈ કર્મચારીના કમકમાટીભર્યાં મોત થયાં હોવાનું નોંધાયું છે. તેમ છતાં સત્તાવાળાઓને આ કમનસીબ સફાઈ કર્મચારીના વારસદાર હજુ સુધી મળ્યા નથી.
ગઇ કાલે હાથરસની પીડિતાના આરોપીઓને કડક સજા કરવાના મામલે મ્યુનિ. નોકરમંડળે એક દિવસની સફાઈ કર્મચારીઓની પ્રતીક હડતાળ જાહેર કરી હતી. જેમાં ર૦,૦૦૦ સફાઈ કર્મચારીઓ શાંતિપૂર્ણ રીતે જોડાયા હતા. જોકે સફાઈ કર્મચારીઓની કરુણ હાલત અંગેની વિગત પ્રકાશમાં આવતાં નવો વિવાદ ઉઠયો છે.
તંત્ર દ્વારા તાજેતરમાં ભૂગર્ભ ગટરની સફાઈમાં મૃત્યુ પામેલ વ્યકિતઓને રૂ.૧૦ લાખ ચૂકવવા તેના વારસદારની શોધ આરંભી છે. આ માટે અંતિમ જાહેર નોટિસ બહાર પાડીને ૧૦ દિવસમાં મૃતક કામદારોના વારસદારોએ પુરાવા સહિત તંત્રનો સંપર્ક સાધવાની તાકીદ કરાઇ છે.
આ કિસ્સાઓમાં રમેશસિંહ સુખરામસિંહનું છેક તા.ર૪ ઓગસ્ટ, ર૦૦૧માં વટવાની ગેબનશાપીર દરગાહ પાછળ ભૂગર્ભ ગટરની સફાઈમાં મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અમર રમેશ સોલંકીનું વર્ષ ર૦૧૧-૧રમાં મોત થયું હતું.
આ તમામ ૧૬ કિસ્સામાં સફાઈ કર્મચારીઓનું હિત સંકળાયેલું હોવા છતાં મ્યુનિ. કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓના બની બેઠેલા કેટલાક નેતાઓ આ મામલે ખાસ સક્રિય હોય તેમ લાગતું નથી. જોકે મૃતકનું નામ, અકસ્માતનું સ્થળ અને તારીખ-વર્ષની તંત્રના ચોપડે માહિતી હોય તો તેમના વારસદારને શોધી કાઢીને રૂ.૧૦ લાખ મળે તેવા પ્રયાસ આ નેતાઓ ચોક્કસ કરી શકયા હોત.
પરંતુ કેટલાક નેતાઓને નક્કર કામ કરવાને બદલે સસ્તી પબ્લિસિટીમાં રસ હોઇ આ પ્રકારની અંતિમ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવાની તંત્રને ફરજ પડી હોવાનું મ્યુનિ. વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે.