મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફક્ત ૧૫થી ૨૦ મિનિટમાં કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ આપનાર રેપિડ એન્ટીજન ટેસ્ટ પર ખાસ ભાર મુકાઈ રહ્યો છે. RT-PCR ટેસ્ટને કોરોનાના દર્દી માટેનો 'ગોલ્ડન ટેસ્ટ' હોવા છતાં તેની અવગણના કરાઈ રહી છે. સત્તાધીશોએ શહેરભરમાં મફતમાં એન્ટીજન ટેસ્ટ માટેના ૮૫ ડોમ ઊભા કર્યા છે. ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરમાં પણ મફતમાં ટેસ્ટ કરી અપાય છે.
તંત્ર દ્વારા ખાનગી લેબને પ્રતિ ટેસ્ટદીઠ રૂ. ૧૪૦૦ ચૂકવાય છે
એક રીતે 'ટેસ્ટ ઇઝ બેસ્ટ'નો આ નવો અભિગમ આવકાર્ય છે, પરંતુ એન્ટીજન ટેસ્ટ અવિશ્વસનીય હોઈ તેમાં કોરોનાનો વાઇરસ સરળતાથી પકડી શકાતો નથી, જેના કારણે તાવ, ખાંસી, શરદી કે શ્વાસ ચઢવો જેવાં કોરોનાનાં લક્ષણ ધરાવતા દર્દીનો ટેસ્ટ રિપોર્ટ પણ નેગેટિવ આવે છે. આ સંજોગોમાં દર્દીનો સીધેસીધો RT-PCR ટેસ્ટ કરાવવાના બદલે તંત્રે HRCT ટેસ્ટનું લાકડું વચ્ચે ઘુસાડ્યું છે. આ HRCT ટેસ્ટ તો RT-PCR ટેસ્ટ કરતાં પણ મોંઘો હોઈ ખાનગી લેબને આર્થિક રીતે બખ્ખેબખ્ખાં થઈ રહ્યાં છે, જોકે ગરીબ દર્દી માટે HRCT ટેસ્ટ મફતમાં થતો હોવા છતાં તંત્રનું તૂત વિવાદાસ્પદ બન્યું છે.
રોજના ૩૦થી ૩૫ હજાર ટેસ્ટ શહેરમાં થાય છે
તંત્ર દ્વારા અગાઉ RT-PCR ટેસ્ટ કરીને કોરોનાના દર્દીની ઓળખ કરાતી હતી, જોકે RT-PCR ટેસ્ટની સંખ્યા રેપિડ એન્ટીજન ટેસ્ટ (રેટ) આવ્યા બાદ એકદમ ઘટાડી દેવાઈ છે. તેની સામે છેલ્લા દોઢ મહિનાથી એન્ટીજન ટેસ્ટ થઈ રહ્યા હોઈ એક અંદાજ પ્રમાણે રોજના ૩૦થી ૩૫ હજાર ટેસ્ટ શહેરમાં થાય છે.
જોકે એન્ટીજન ટેસ્ટની વિશ્વસનીયતા ઓછી હોવાથી કોરોનાનાં લક્ષણ ધરાવતા દર્દીનો ટેસ્ટ િરપોર્ટ પણ નેગેટિવ આવે છે. આ સંજોગોમાં સત્તાવાળાઓએ HRCT ટેસ્ટ પર પસંદગી ઉતારી છે. થોરેક્સ નામનો આ ટેસ્ટ એક પ્રકારે છાતીનો િસટીસ્કેન છે. હાઈ રિઝોલ્યુશન િસટી સ્કેન એટલે HRCT ટેસ્ટથી કોરોનાનો વાઇરસ પકડી શકાય છે. અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરની ભલામણથી ગરીબ દર્દી ખાનગી લેબમાં તદ્દન મફતમાં HRCT ટેસ્ટ કરાવી શકે છે.
શરૂઆતમાં HRCT ટેસ્ટ માટે ત્રણ ખાનગી લેબ સાથે તંત્રે એમઓયુ કર્યા હતા. હવે આ ખાનગી લેબની સંખ્યા વધીને રપ સુધી થઈ ગઈ છે. આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે ગરીબ દર્દીઓના હિત માટે પણ મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા એમઓયુ કરાયેલી ખાનગી લેબની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. આમાં શું છુપાવવાનું છે તેની કંઈ સમજણ પડતી ન હોવા છતાં હેલ્થ વિભાગ આદત સે મજબૂરની જેમ ઢાંકપિછોડો કરી રહ્યો છે, છતાં દરરોજ ખાનગી લેબને હજારો રૂપિયાની કોરોનાના નામે કમાણી થઈ રહી છે.
તંત્ર દ્વારા ખાનગી લેબને પ્રતિ ટેસ્ટદીઠ રૂ. ૧૪૦૦ ચૂકવાય છે
HRCT ટેસ્ટની સુવિધા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં હોવા છતાં તેની સાથે હેલ્થ વિભાગે અગમ્ય કારણસર એમઓયુ કર્યા નથી. જો આ હોસ્પિટલમાં દાખલ દર્દીના HRCT ટેસ્ટ થતા હોય તો બહારના ગરીબ દર્દીના ટેસ્ટ સરળતાથી કરી શકાય છે. જો આમ કરાય તો તંત્ર દ્વારા ખાનગી લેબને પ્રતિ ટેસ્ટદીઠ ચૂકવાતી રૂ. ૧૪૦૦ની રકમમાં આંશિક બચત પણ થઈ શકે છે.
HRCT ટેસ્ટને કેમ પસંદ કરાયાે
જે વખતે તંત્રે ખાનગી લેબ સાથે ગરીબ દર્દી માટે મફતમાં HRCT ટેસ્ટ કરાવવાના એમઓયુ કર્યા તે વખતે RT-PCR ટેસ્ટ થતા હતા.તેમ છતાં HRCT ટેસ્ટને કેમ પસંદ કરાયાે? RT-PCR ટેસ્ટના બદલે HRCT ટેસ્ટનું ગતકડું વચ્ચે ઘુસાડીને તંત્રે ખાનગી લેબને કોરોના મહામારીના સમયમાં આડકતરી રીતે આર્થિક કમાણી કરવાનો રસ્તો તો નથી આપ્યો ને? તેવો પ્રશ્ન ઊઠી રહ્યો છે, જોકે જેટલાં પણ નાણાં જે તે ખાનગી લેબને મ્યુનિ. તિજોરીમાંથી ચૂકવાય છે તે તો પ્રજાનાં નાણાં છે તો પછી પ્રજાના પરસેવાની કમાણીનો આ રીતે વેડફાટ કેમ કરાઈ રહ્યો છે? HRCT ટેસ્ટની પસંદગીના મામલે પ્રશ્ન તો અનેક છે, પરંતુ હેલ્થ વિભાગમાંથી ઉત્તર આપવા કોઈ તૈયાર નથી. ગરીબ દર્દી સિવાયના દર્દી પાસેથી HRCT ટેસ્ટના રૂ. ૫૦૦૦ સુધી વસૂલાઈ રહ્યા છે.
અમદાવાદીઓના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી જોઈએ
કોરોના વાઇરસને શોધી કાઢવા પહેલાં એન્ટીજન, ત્યારબાદ HRCT અને છેલ્લે RT-PCR એમ ત્રિસ્તરીય અભિયાન હાથ ધરાયું છે, પરંતુ અમુક જગ્યાએ HRCT બાદ RT-PCR ટેસ્ટ કરાવાય છે, જે આશ્ચર્યજનક બાબત છે. બીજી તરફ ખુદ રાજ્ય સરકારે RT-PCR કિટનું ઉત્પાદન વધવાથી ખાનગી લેબમાં આના ચાર્જમાં રૂ. ૧૦૦૦નો ઘટાડો કર્યો છે. હવે કોઈ પણ દર્દી
ખાનગી લેબમાં રૂ. ૧૫૦૦માં RT-PCR ટેસ્ટ કરાવી શકે છે એટલે આ સંજોગોમાં હેલ્થ વિભાગે ગરીબ દર્દીઓના સીધેસીધા RT-PCR ટેસ્ટ કરાવવા પર ભાર મૂકીને પ્રજાનાં નાણાંની બચત કરવાની સાથે અમદાવાદીઓના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી જોઈએ તેમ ચર્ચાઈ રહ્યું છે.