અમદાવાદ: 6 હજારથી વધુ સફાઈ કામદારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે વિરોધમાં ઉતર્યા છે. તમામ કર્મચારીઓને કાયમી કરવાની માગ સાથે વારસદાર પ્રથાએ નોકરી આપવાની માગ કરી રહ્યા છે. પોતાની માગ સાથે એકસાથે 3 હજાર જેટલા કર્મચારીઓ કોર્પોરેશન સામે ઉમટી પડયા હતા.
જેના કારણે એક સાઈડનો રસ્તો બ્લોક થઈ ગયો હતો. રસ્તો બ્લોક થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. તો બીજી તરફ વિરોધ કરી રહેલા સફાઈ કામદારોએ પોતાની માગ નહીં સંતોષવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે સફાઈ કામ કરતા વાલ્મિકી સમાજના પડતર પ્રશ્નોની માંગણીઓની અગાઉ અનેકવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતું હોવાને લીધે આજે વાલ્મીકી સમાજના હજારો લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવ કર્યો હતો.
આપને જણાવી દઇએ કે લગભગ 2 હજારથી વધુ સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા અને તેને લીધે ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાઈ હતી. વાલ્મિકી સમાજનું કહેવું છે કે જો તેમની સમસ્યાઓનો ઉકેલ નહિં આવે તો અગામી સોમવારથી આંદોલન અને હડતાલ પાડવામાં આવશે.
પરતું નોંધનીય વાત એ છે કે કોર્પોરેશન પરીસર બહાર વિરોધ કરી રહેલાં વાલ્મિકી સમાજના લોકો સાથે વાતચીત કરવાની જગ્યાએ તંત્ર કોર્પોરેશનના દરવાજા જ બંધ કરી દીધા હતા.