ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં આવેલા ઉછાળાને લઈને ચિંતા વધી ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જો કે, ત્યારબાદ AMC એક્શન મોડમાં આવ્યું અને સંક્રમણ અટકાવવા માટે કમર કસી છે.
કોરોના વધતા એકશનમાં AMC
ટેસ્ટ,ટ્રેક અને ટ્રીટની રણનીતિ
કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધારાશે
દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને રસીકરણ અભિયાન પર વધુ જોર આપવા મુદ્દે અપીલ કરી હતી. ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તાબડતોબ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ મનપા એક્શન મોડમાં
કોરોના સંક્રમણ અટકાવવાની મોટી કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા શહેરના 35 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવાનો નિર્ણય કર્યો છે. તો કોવિડ હોસ્પિટમાં વધારો કરવામાં કમર કસી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાના કેસોને લઈ ખાનગી હોસ્પિટલોમાં 2400 બેડની ફાળવણી કરવામાં આવી છે.
અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વણસી
આપને જણાવી દઇએ કે, રાજ્યના 4 મહાનગરો પૈકી અમદાવાદ અને સુરતમાં કોરોનાની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો ગોતા, થલતેજ, પાલડી, બોડકદેવના વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધ્યું છે. તો આ તરફ મણિનગર, બોપલ વિસ્તારમાં પણ કોરોનાની સ્થિતિ વણસી છે.
ગુજરાતમાં 5.3% વેક્સિનન વેડફાઇ
આ સાથે જ ગુજરાતમાં પણ વેક્સિન વેડફાઇ રહી હોવાની આરોગ્ય વિભાગે જાણકારી આપી છે. ગુજરાતમાં 5.3% વેક્સિનન વેડફાઇ રહી છે. તો તેલગાંણામાં સૌથી વધુ 17% વેક્સિન વેડફાઇ રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આંકડા જાહેર કર્યા છે.
કોરોનાનો પોઝિટિવિટી દર વધ્યો
ગુજરાતમાં કોરોનાનો પોઝિટિવિટી દર વધ્યો હોવાની ચિંતા વ્યકત કરી છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા પોઝિટિવિટી દર 2 ટકાથી વધીને 4 ટકા થયો છે.
કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની કરી અપીલ
લોકો માસ્ક અને 2 ગજની દૂરીનું પાલન ન કરતા હોવાથી આ સ્થિતિ ઉભી થઈ હોવાનું નિવેદન સ્વાસ્થ્ય મંત્રાલય આપી છે. મહેસાણા, સુરત, ભાવનગરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હાલ તમામ લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તેવી અપીલ કરી છે.
મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં કરાયો ફેરફાર
રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આજથી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યૂની મુદ્દત 31મી માર્ચ સુધી લંબાવવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં સતત કોરોના સંક્રમણ વધતા એક બાદ એક નિર્ણયો લેવામાં આવી રહ્યો છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા આવતીકાલથી શહેરના પાર્ક તથા ગાર્ડનને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય આદેશ ના આવે ત્યાં સુધી અમદાવાદ શહેરના તમામ 273 ગાર્ડનને બંધ રાખવામાં આવશે. તો કાંકરિયા લેકફ્રન્ટ તેમજ પ્રાણી સંગ્રહાલય પણ 18 માર્ચથી(ગુરૂવાર) અચોક્કસ મુદ્દત માટે બંધ મનપાએ આદેશ આપ્યો છે.
ગુજરાત કોરોના કેસ(16-3-2021)
સુરત અને અમદાવાદમાં કોરોના ભયાનક બનતો જાય છે. શહેરમાં જે રીતે કોરોનાના કાળોતરા નાગે ફૂંફાડા મારવા લીધા છે તેનાથી નાગરિકોએ તત્કાળ સ્વયંભૂ કોરોનાથી બચવા આત્મશિસ્તને અપનાવવી પડશે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 954 નવા દર્દી જ્યારે 703 દર્દીઓ સાજા થયાં છે. ગઇકાલે અમદાવાદમાં 2 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે. તો સુરત શહેરમાં 263 કેસ અને ગ્રામ્યમાં 29 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 241 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 92 કેસ, જ્યારે ગ્રામ્યમાં 17 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 80 કેસ અને ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે.