મ્યુનિ. કોર્પોરેશનના ઈતિહાસમાં પહેલી અને છેલ્લી વાર છ વર્ષ પહેલાં તૂટેલા રોડની યાદી તંત્રની વેબસાઇટ પર મુકાઇ હતી. ત્યાર બાદ તો સત્તાધીશો આ બાબત જાણે કે મળતિયા કોન્ટ્રાકટરનાં હિત સાચવવા માટે જોખમી હોય તેમ ફરીથી તૂટેલા રસ્તાની યાદી વેબસાઇટ પર મૂકવાનું નામ જ લેતા નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ ર૦૧૭નાં રોડ કૌભાંડ બાદ પણ રોડ તૂટવાની પરંપરા યથાવત્ જળવાઇ રહી છે. આ ચોમાસામાં રોડ પર ખાડાને બદલે ખાડામાં રોડ હોય તેવી દુર્દશા શહેરભરના રોડની થઇ છે. આગામી ત્રણેક મહિનામાં મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી હોઇ 'ખાડાબાદ' અમદાવાદનો મુદ્દો શાસક ભાજપને ભારે મુશ્કેલીમાં મૂકી શકે છે.
હવે નવરાત્રિ બાદ શાસકો ધૂળ પર લીંપણ કરીને કરોડો રૂપિયાના ખર્ચે તમામ તૂટેલા રસ્તા પર ડામરના થરના થર પાથરીને તેને ચકાચક કરીને સામાન્ય નાગરિકોને આંજી દેવાનો પ્રયાસ કરશે, પરંતુ તૂટેલા રોડની યાદી, તે માટે જવાબદાર કોન્ટ્રાકટર વગેરે જેવી સામાન્ય માહિતી ‘સ્માર્ટ સિટી’ અમદાવાદના નાગરિકોને ન મળતી હોય તો સ્માર્ટ સિટીને લગતા મળેલા રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય એવોર્ડને શું પ્રજાએ ધોઇ પીવા છે તેવો રોષ લોકોમાં ફેલાયો છે.
વર્ષ ર૦૧૭ના સામાન્ય વરસાદમાં રૂ.૩પ૦ કરોડના શહેરના રસ્તા ધોવાયા હતા અને વિધાનસભાની ચૂંટણીમાં શાસક ભાજપનો ‘વિકાસ ગાંડો થયો છે’ તેવાં રાજ્યભરમાં ગાજેલાં સૂત્રથી નિર્ધારિત બેઠક મેળવવામાં ભારે રાજકીય નુકસાન થયું તે બાબત તો હવે જાણીતી છે. પરંતુ મ્યુનિ. તંત્રમાં હલકી ગુણવત્તાના રોડની નવાઇ નથી. અગાઉ પણ વર્ષ ર૦૧૩-૧૪માં આશરે ૧પ૦ કિ.મી.ની લંબાઇના રસ્તા વરસાદથી ધોવાઇને મ્યુનિ. તિજોરીને રૂ.ર૦૦ કરોડનું આર્થિક નુકસાન થયું હતું.
જોકે સત્તાવાળાઓએ તંત્રની વેબસાઇટ www.ahmedabad.gov.in પર તમામ ઝોનના તૂટેલા રોડની યાદી મૂકી હતી. જેમાં રોડનું નામ, લંબાઇ, પહોળાઇ, રોડ વોલ ટુ વોલ છે કે નહીં, રિસરફેસિંગ વર્ષ, કોન્ટ્રાકટરનું નામ અને રિમાર્કસ જેવી વિગત દર્શાવાઇ હતી.
પરંતુ ત્યાર પછીના વર્ષ ર૦૧૪-૧પ, ર૦૧પ-૧૬, ર૦૧૬-૧૭માં આવી માહિતી પ્રસિદ્ધ કરાઇ ન હતી. જ્યારે ર૦૧૭-૧૮માં રોડ કૌભાંડ ચોરે ને ચૌટે ગાજ્યું ત્યારે શાસકોએ જે તે રોડની આગળ બોર્ડ મૂકીને તેમાં રોડના કોન્ટ્રાકટર, રોડનો ખર્ચ અને ગેરંટી પિરિયડની માહિતી લખાશે તેવું આશ્વાસન લોકોને આપ્યું હતું. તૂટેલા રોડની યાદીને પણ વેબસાઇટ પર મૂકવાની વાત હતી. પરંતુ આ તમામ આશ્વાસનને સિફતપૂર્વક ભૂલાવી દેવાયું છે.
ર૦૧૭નાં રોડ કૌભાંડ બાદ ૯૦ ટકા રોડનાં કામ સિંગલ ટેન્ડરનાં અપાયાં છે. પહેલાં અંદાજી ભાવથી ૩૦ ટકા ઓછા ભાવના કામ હવે ર૩ ટકા ઊંચા આવતા હોઇ એક પ્રકારે અંદાજી ભાવથી પ૩ ટકા જેટલા ઊંચા ભાવ કોન્ટ્રાકટરને ચૂકવાતા હોવા છતાં કેવી હલકી ગુણવત્તાવાળા રોડ અમદાવાદમાં બને છે તે તો જાણે રાજ્યના અબાલવૃદ્ધોને હવે ખબર પડી ગઇ છે. કોન્ટ્રાકટર સાથેની મિલી ભગતથી ઇજનેર વિભાગના અધિકારીઓ અને સત્તાધીશોને માત્ર ઊંચા ભાવ ચૂકવીને ઘર ભરવામાં રસ હોય તેવું ચિત્ર જનમાનસમાં ઉપસ્યું છે.
પહેલાં પાંચ વર્ષની ગેરંટી રખાતી હતી, જે હવે ત્રણ વર્ષની કરાઇ છે. થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનમાં પણ પોલમપોલ ચાલે છે જેે તે કોન્ટ્રાકટરના રોડ તૂટે તો તેને કોન્ટ્રાકટર થીંગડાં મારી આપે છે, પરંતુ પેનલ્ટી કરાતી નથી. પરિણામે ર૦૧૩-૧૪ના જે કોન્ટ્રાકટના રોડ તૂટયા હતા તે પૈકીના કેટલાક કોન્ટ્રાકટના વર્ષ ર૦૧૭ના રોડ કૌભાંડમાં પણ રોડ તૂટ્યા હતા. તંત્રની આંખ આડા કાન કરવાની નીતિથી દર વર્ષે રોડ રિસરફેસિંગના રૂ.૩૦૦ કરોડનાં કામમાં માત્ર કૌભાંડ થઇ રહ્યાં છે તેમ છતાં આ વખતે મેઇન રોડ પર ૧૦,૦૦૦થી વધુ ખાડા પડવા છતાં પણ શાસક પક્ષ તો હંમેશની જેમ બેખોફ થઇને જૂના રસ્તા તૂટયા હોવાના ગાણાં ગાય છે. જો જૂના રસ્તા તૂટયા છે તો તેનો સર્વે કેમ કરાતો નથી તેવો પ્રશ્ન વિપક્ષ કોંગ્રેસે પૂછયો છે. ગઇ કાલે મળેલા સમાંતર જનરલ બોર્ડમાં વિપક્ષના નેતા દિનેશ શર્માએ છેલ્લા ત્રણ વર્ષમાં બનેલા તમામ નવા રોડ તેમજ રિસરફેસિંગનાં કામોની સઘળી વિગતો દર્શાવતું શ્વેતપત્ર બહાર પાડવાની માગણી કરી છે.