અમદાવાદ મહાનગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા વધુ 16 અધિકારીઓની બદલીના આદેશ જારી કરાયા છે.
AMC ના વધુ 16 અધિકારીની બદલી
મ્યુનિસિપલ કમિશનરે 16 અધિકારીઓની કરી બદલી
1 હજાર દિવસથી વધુ એક જ વિભાગમાં કામ કરતા અધિકારીઓની બદલી
અમદાવાદ મહાનગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા વધુ 16 અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે તાબડતોબ વધુ 16 અધિકારીઓની બદલી કરી દેતા બદલી મનપાની લોબીમાં ચર્ચાનો વિષય બની છે. મહત્વનું છે કે અગાઉ અમદાવાદ મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં 1 હજાર દિવસથી વધુ એક જ વિભાગમાં કામ કરતા અધિકારીઓની બદલી કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે તાજેતરમાં જ પાલિકાના 630 કર્મીચારીઓ અને અધિકારીઓની બદલી કરવામાં આવી હતી ત્યારબાદ વધુ 16 અધિકારીઓને આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
તાજેતરમાં જ 630 અધિકારીઓ-કર્મચારીઓની કરાઇ હતી બદલી
1000 દિવસ કરતા વધુ સમયથી એક પદ પર રહેલા કુલ 630 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓની તાજેતરમાં જ બદલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી હતી. અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં કર્મીઓની બદલી કરવા નિર્ણય કરાયો હતો જે મુજબ 276 જુનિયર ક્લાર્ક, 152 સિનિયર ક્લાર્ક તેમજ 21 હેડ ક્લાર્કની બદલી અને 43 હેડ ક્લાર્ક બઢતી સાથે બદલી કરવામાં આવી હતી.
આ અગાઉ નગરપાલિકાઓના 32 ચીફ ઓફિસરોની બદલી કરાઇ હતી
ગત 15 જૂને ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના 32 જેટલા ચીફ ઓફિસરની એક ઝાટકે બદલી કરી દેવામાં આવી હતી. જેને પગલે નગરપાલિકાઓની પ્રાદેશિક કમિશનર કચેરી, અમદાવાદ ખાતે ફરજ બજાવતા નરેશ પટેલને મહેસાણાના કડીમાં મુકાયા છે. વધુમાં નગરપાલિકાઓની પ્રાદેશિક કમિશનર કચેરી, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા તિલક શાસ્ત્રીને રાજકોટ ખાતે ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત બરવાળા, હાલોલ, માંગરોળ, જામજોધપૂર, સુત્રાપાડા, ચોટીલા, જશદણ, વિસનગર સહિતના અનેક નગરપાલિકાઓના ચીફ ઓફિસર બદલાયા હતા.