મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપ સત્તાવાળા દ્વારા સાત આઠ વર્ષથી શહેરીજનોને હાલ પૂરું પાડતા બે કલાકના પાણી પુરવઠાના બદલે ર૪ કલાક પાણી પૂરું પાડવાનો પ્રોજેકટ અમલમાં મૂકવાની વિચારણા ચાલતી હતી. ચાર પાંચ વર્ષ પહેલાં સમગ્ર શહેરને બદલે જોધપુરનો સમગ્ર વોર્ડ સ્ટેડિયમ, નવરંગપુરા અને નવા વાડજનો આંશિક વિસ્તારમાં પાઇલટ પ્રોજેકટ અમલમાં મુકાય તેવી જાહેરાત કરી હતી.
ગામતળ વિસ્તારમાં હજુ પણ અનેક ઘરમાં વોટર મીટર લગાવાયાં નથી
સત્તાવાળાઓએ ફક્ત જોધપુર વોર્ડ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમ છતાં પણ જોધપુરનો ર૪ કલાક પાણીનો પ્રોજેકટ છેલ્લાં બે વર્ષથી એક યા બીજા કારણોસર ડચકાં ખાઇ રહ્યો છે. સત્તાધીશો દ્વારા જોધપુુરના રહેવાસીઓને ર૪ કલાક પાણી પૂરું પાડવા તેની અમલીકરણની નવી નવી તારીખ જાહેર કરાય છે. પરંતુ જોધપુરવાસીઓ માટે ર૪ કલાક પાણી પ્રોજેકટ તારીખ પે તારીખ જેવો દ્વિધાભર્યો બન્યો છે.
જોધપુર માટે પાઈલટ પ્રોજેક્ટ જાહેર કરાયો હતો
પાંચેક વર્ષ પહેલાં ભાજપના શાસકોએ જોધપુર વોર્ડ સહિતના વિસ્તાર માટે પાઇલટ પ્રોજેકટ જાહેર કરી વોટર મીટર બેસાડી તેનાં રીડિંગના આધારે લોકોને પાણી આપવાની જાહેરાત કરી હતી. શાસકોએ દૂષિત પાણીની સમસ્યાના ઉકેલ માટે નાગરિકોને ર૪ કલાક પાણી આપવું હોવા પર ખાસ ભાર મૂક્યો હતો. જોકે તે સમયે પણ આ સમગ્ર પ્રોજેકટ ભારે વિવાદાસ્પદ બન્યો હતો. ખાસ કરીને વોટર મીટરનો ચાર્જ અને વોટર પોલિસી ભારે ચર્ચાનો વિષય બની હતી.
જોધપુરમાં મળશે 24 કલાક પાણી
હવે તંત્ર દ્વારા સમગ્ર જોધપુર વોર્ડ પૂરતો મર્યાદિત કરાયો હોઇ આ એક વોર્ડની એક લાખની વસ્તીને ર૪ કલાક પાણી પૂરું પાડવાની દિશામાં હિલચાલ આરંભાઇ છે. આગામી ૩૧ ડિસેમ્બરથી આ પ્રોજેકટ અમલમાં મુકાશે તેવી જાહેરાત થઇ હતી. જોકે આ પ્રોજેકટ ફરીથી વિલંબમાં મુકાયો છે. સત્તાવાળા દ્વારા આનંદનગર ઘર વિહોણા વિસ્તાર, ગોકુલ આવાસ, નોરવેકસ અને જોધપુર ગામતળ એમ પાંચ જગ્યાએ નવ, બાર અને ૧પ લાખ લિટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવાઇ છે. આનંદનગરમાં છેલ્લા ત્રણેક મહિનાથી લોકો ર૦ થી રર લાખ પાણી અપાઇ રહ્યું છે.
અત્યાર સુધીમાં 4500થી વધુ મીટર લગાવાયા
જ્યારે ઘર વિહોણા, ગોકુલ આવાસ, નોરવેકસમાં લોકો પાંચ થી છ કલાક પાણી મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા ૧પ, ર૦, રપ અને ૩ર એમએમ સાઇઝના ૪,પ૦૦થીવધુ વોટર મીટર લગાવાયા છે. જોકે હજુ જોધપુર ગામતળ વિસ્તારમાં વોટર મીટર લગાવવાની કામગીરી ચાલુ છે. જોકે આ વિસ્તારમાં નાગરિકો બે કલાક પાણી મેળવી રહ્યા છે.
જોધપુર વોર્ડમાં વોટરમીટરમાં ગોલમાલ
જાણકાર સૂત્રો કહે છે, જોધપુર વિસ્તારની સોસાયટીમાં આરસીસી રોડ હોઇ તેની પર વોટર મીટર સહિતના સ્ટેપ સેડલ કનેકશન કરવા આરસીસી રોડ તોડવા પડે તેમ છે. જેનાથી લોકો સહેલાઇથી વોટર મીટર લગાવવા તૈયાર થતા નથી. બીજી તરફ તુર્કીથી વોટર મીટર મંગાવાયાં હોઇ વચ્ચે સેન્ટ્રલ સોર્સમાંથી આ વોટર મીટરની ચોરી થતાં તેના તંત્રમાં ઘેરા પ્રતિસાદ પડ્યા હતા અને આ કંપની પોતાના ખર્ચે નવા મીટર લાવવા સંમત થતા અટવાયેલો પ્રોજેકટ ફરી આગળ વધ્યો હતો.
વોટર પોલિસીના ઠેકાણા નહીંને બજેટ નક્કી
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જોધપુર વોર્ડના ર૪ કલાક પાણી માટેના પાઇલટ પ્રોજેકટ પાછળ આશરે ૩પ કરોડ ખર્ચાશે. જોકે હજુ સુધી વોટર પોલિસી નક્કી થઇ નથી. પાંચેક વર્ષ જૂના આ પ્રોજેકટ અંગેના જૂના ઠરાવ પર કમિશનર સ્તરે મંજૂરી મળી ન હોઇ આ બાબતે દ્વિધા ફેલાઇ છે. નાગરિકોને વ્યક્તિદીઠ રોજનું ૧૪૦ લિટર મુજબ પરિવારદીઠ હજાર લિટર પાણી મફતમાં અપાય અને ત્યાર બાદ પાણીના વપરાશ આધારીત તેનો ચાર્જ ચૂકવવો પડશે તેમ લાગે છે. જોકે વર્ષોથી વોટર ટેકસ ભરતા નાગરિકો ભવિષ્યમાં મીટરથી પાણી ટેકસ ભરવાનો થાય તો આ ડબલ ટેકસના કારણે મુંઝવણમાં મુકાઇ રહ્યા છે. અત્યારે તો ર૬ જાન્યુઆરી આસપાસ આ પ્રોજેકટ અમલમાં મુકાય તેવી શક્યતા છે.