ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર લોકોને વેક્સિન અપાવવા માટે અલગ અલગ નવી સ્કીમ લાવી રહી છે. ત્યારે હવે વેક્સીનેશન પૂર્ણ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ એક સ્કીમ લાવી છે.
વેક્સિનેસન પૂર્ણ કરવા AMCની વધુ એક સ્કીમ
વેકસિન લેનાર લકી ડ્રો વિજેતાને મળશે આઇફોન
હાલ શહેરમા બીજો ડોઝ લેવામાટે 5.5 લાખ લોકો બાકી
અમદાવાદ શહેરમાં હજુ ઘણા બધા એવા લોકો છે, જેમણે હજુ સુધી કોરોના વેક્સિનનો બીજો ડોઝ નથી લીધો, ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા લોકો માટે નવી સ્કીમ લાવી છે, જેમાં કોરોના વેક્સિન લેનાર વ્યક્તિઓનો ડ્રો યોજાશે. વેક્સિન લેનાર લકી ડ્રો વિજેતાને આઇફોન મળશે. અગાઉ મનપા દાર સ્માર્ટ ફોન અને ઓઇલ પાઉચનું વિતરણ કરાયું હતું. ત્યારે હવે વેક્સિન માટે અમદાવાદ મહાનગર પાલિકાની વધુ એક સ્કીમ લાવી છે. AMC એક લકી ડ્રો વિજેતાને રૂ 60 હજારનો આઈફોન આપશે. હાલ શહેરમા બીજો ડોઝ લેવા માટે 5.5 લાખ લોકો બાકી છે.
5.5 લાખ લોકોએ હજુ સુધી નથી લીધો બીજો ડોઝ
કોરોનાની વેક્સિન લેવામાં હજુ પણ અમદાવાદીએ બેદરકાર છે. 5.5 લાખ લોકોએ હજુ સુધી બીજો ડોઝ નથી લીધો. વેક્સિનેશન પૂર્ણ કરવા મનપા આક્રમક બનશે. હવે UHC અને PHC સેન્ટરમાં પણ વેક્સિન સર્ટી વિના નો એન્ટ્રી હશે. એટલે કે વેક્સિનેશન સર્ટી વિના નાગરિકોને દવા આપવામાં નહીં આવે.
78 લાખ લોકોને જ લીધી વેક્સિન
અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 78 લાખ લોકોને વેક્સિન અપાઈ છે. જ્યારે 65 ટકા લોકોને બન્ને ડોઝ પૂર્ણ થયા છે. મોબાઈલ ડ્રો, ઓઈલ પાઉચની સ્કીમ આપવામાં પણ આવી રહી છે. મહત્વનું છે કે, અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.10 કરોડથી વધુ વેક્સિનના ડોઝ અપાયા છે.
ઓમિક્રોન મુદ્દે મનપા એક્શનમાં
કોરોના નાં નવા વેરિયન્ટ ઓમિક્રોનનાં કેસ દેશમાં જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદ કૉર્પોરેશનનું આરોગ્ય ખાતું સતર્ક બન્યું છે. જેને લઈ વિદેશ થી આવતા પ્રવાસીઓનું ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. યુરોપ , બાંગ્લાદેશ , ન્યુઝીલેન્ડ જેવા અન્ય દેશો માંથી અત્યાર સુધી 400 મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર પરત ફર્યા છે. તમામ લોકોનો સંપર્ક કરી જરૂરી સુચના આપવામાં આવી રહી છે. તેઓએ નિયમ મુજબ 7 દિવસ બાદ ટેસ્ટ કરાવી કૉર્પોરેશન ને જાણ કરવી પડશે.હોમ આઇસોલેશન માં રહેવું પડશે. હોમ આઇસોલેશનનો ભંગ કરનાર સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે.હાલ નવા વેરીએન્ટ નો એકપણ દર્દી નોંધાયો નથી. તો 17 કોરોના દર્દીઓ હોસ્પિટલ માં સારવાર લઈ રહ્યા છે જેમાં 13 સરકારી હો્પિટલમાં અને 4 ખાનગી હોસ્પિટલમાં છે.
ગુજરાતમાં નવી ગાઈડલાઈન જાહેર
ગુજરાતમાં કોરોનાના 40 અને તેનાથી ઓછા નોંધાઇ રહ્યા છે. ત્યારે રાત્રિ કર્ફ્યૂને લઈને રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. જોકે આફ્રિકન દેશોમાં ફેલાઇ રહેલા ઓમિક્રોન વેરિયન્ટને લઇને બહારથી આવતા પ્રવાસીઓ માટે કડકાઇ દર્શાવાઇ છે. પરંતુ રાજ્યના લોકોને આંશિક છૂટછાટ આપવામાં આવી રહી છે.
રાજ્યમાં 8 મનપા વિસ્તારોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે
રાતે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે
ફક્ત 4 કલાક પૂરતું જ રાત્રિ કર્ફ્યૂ રાખવામાં આવ્યું
કેટલાક નિયત્રણોમાં આંશિક છૂટછાટ
લગ્નપ્રસંગોમાં 400 લોકોની મર્યાદા યથાવત રાખવામાં આવી
લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીનો નિયમ પણ ચાલુ જ રખાયો
ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી કોચિંગ ક્લાસ 50 ટકાની મર્યાદા
અમદાવાદ એરપોર્ટ પર આરોગ્યની ટિમ તૈનાત: જયપ્રકાશ શિવહરે, આરોગ્ય સચિવ
આ અંગે અમદાવાદના આરોગ્ય સચિવ જયપ્રકાશ શિવહરેનું નિવેદન કર્યુ હતું. અને તેમણે જણાવ્યુ હતું કે વિદેશથી આવતા લોકોની એરપોર્ટ પર ચેકિંગ થશે. 12 દેશોમાંથી આવતા લોકોનું કોરોના ટેસ્ટિંગ ફરજિયાત થશે. અમદાવાદ એરપોર્ટ પર આરોગ્યની ટિમ તૈનાત રહેશે. RTPCR ટેસ્ટ એરપોર્ટ પર કરવામાં આવશે. નેગેટિવ રિપોર્ટ આવશે તે જ લોકો એરપોર્ટની બહાર જઈ શકશે. 72 કલાકની અંદરનો નેગેટિવ રિપોર્ટ આવવો જરૂરી છે. 30 મિનિટમાં રિપોર્ટ આવી જાય તે માટે એંટીજન RTPCR કરાવવામાં આવશે. જે વ્યક્તિ પોઝિટિવ આવશે તેને આઇસોલેટ કરવામાં આવશે. એરપોર્ટ ઉપરની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
સુરત મનપાએ પણ લીધો છે મોટો નિર્ણય
ઓમિક્રોનની દહેશત વચ્ચે સુરતમાં પ્રવાસીઓનું આગમન યથાવત છે. દક્ષિણ આફ્રિકાથી 9 પ્રવાસીઓ સુરત આવ્યા છે. એક દિવસમાં વિદેશથી 351 લોકો સુરત આવ્યા છે. જ્યારે શનિવારે વિદેશથી આવેલા 78 લોકોના RT-PCR ટેસ્ટ કરાયા હતા. તમામ 78 લોકોના RT-PCR રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. ઓમિક્રોન સંક્રમિત ક્ષેત્રમાંથી આવતા તમામ માટે RT-PCR ફરજીયાત છે. પોઝિટિવ રિપોર્ટના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાશે. વિદેશથી આવતા લોકો ફરજીયાત 7 દિવસ કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે. 7 દિવસ કોરોન્ટાઇન બાદ પણ RT-PCR ટેસ્ટ અનિવાર્ય છે.
કયા કયા દેશોમાં ઓમિક્રોનની દસ્તક
ગઈ કાલે ઓસ્ટ્રેલિયામાં ઓમિક્રોન વેરિઅન્ટના 2 કેસ સામે આવ્યા હતા .UK,જર્મની,નેધરલેન્ડ,આફ્રિકા બાદ ઓસ્ટ્રેલિયામાં કેસ નોંધાતા દુનિયામાં ફરીથી એક વખત કોરોનાને કારણે ભયનો માહોલ ફેલાઇ ગયો છે. ભારત સરકાર દ્વારા પણ ઓમિક્રોન વેરિઅન્ટને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. વિદેશથી પરત ફરતા પ્રવાસીઓના RTPCR ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. સાથે જ 7 દિવસનો હોમ કોરેન્ટાઈનનો સમય પણ ફરજિયાત કરવામાં આવ્યો છે.
કેવા છે ઓમિક્રોન ઈન્ફેક્શનના લક્ષણો?
દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલાં એમિક્રોન વેરિએન્ટ ઓળખનારી એક તબીબે એક જાણીતી ન્યુઝ સંસ્થાને કહ્યું, મેં તેના લક્ષણ સૌથી પહેલાં નાની ઉંમરના એક શખ્સમાં જોયા હતા. જે અંદાજે 30 વર્ષનો હતો. તેમણે જણાવ્યું કે દર્દી ખૂબ થાકેલો રહેતો હતો. તેને હળવા માથાના દુ:ખાવાની સાથે આખા શરીરમાં દુ:ખાવાની ફરિયાદ રહેતી હતી. ગળામાં ખારાશની જગ્યાએ ગળુ છોલાઈ જતુ હતુ. આ શખ્સને ઉધરસ આવતી નહોતી અને સ્વાદ ના આવે તેવા પણ કોઈ લક્ષણો ન હતા. જોકે, તબીબોએ દર્દીઓના એક નાના સમુહને જોઈને આ પ્રતિક્રિયા આપી હતી. મોટાભાગના લોકોમાં તેના લક્ષણો કેવા હશે તેને લઇને હજી સુધી કોઈ સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો નથી.