અમદાવાદ મનપાએ પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવી 15795 મિલકતો ને સીલ કરી છે, આ ઝુંબેશમાં 1338.36 કરોડની આવક થઈ છે.
પ્રોપર્ટી ટેક્સ નહી ભરનાર સામે કડક કાર્યવાહી
AMC દ્વારા 15795 મિલકતો કરાઈ સીલ
AMCની ટેક્સની આવક વધી
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા સામે AMCએ લાલ આંખ કરી છે. ટેક્સ માફીની યોજના જાહેર કર્યા બાદ પણ ટેકસ નહીં ભરનાર મિલકત ધારકોને આખરી નોટીસ આપ્યા બાદ મિલકતો સીલ કરવામાં આવી છે.
પશ્ચિમ ઝોનમાં ટેક્સ ન ભરતા લોકો સૌથી વધુ
અમદાવાદ શહેરમાં રૂ. 1 લાખથી વધુની કિંમતનો બાકી ટેક્સ ન ભરનારા લોકોની મિલકતો સીલ કરવાની ઝૂંબેશ શરૂ કરવાની કાર્યવાહી 1 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગે સિલિંગ ઝુંબેશ અંતર્ગત 15 માર્ચ સુધી કુલ 15795 મિલકતોને સીલ કરી દીધી છે. જેમાં સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકો ટેક્સ નથી ભરતાં તેવું ધ્યાને આવ્યું છે. પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ મિલકતોને સીલ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 3206 જેટલી મિલકતોને સીલ કરી છે.
કુલ 15795 મિલકતો સીલ કરી
AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2022 સુધી એમ ત્રણ મહિના માટે વ્યાજ માફી સ્કિમ અમલમાં મૂકાઈ છે. લોકોને માફીની રાહત આપવા છતાં કેટલાક ટેક્સધારકો પોતે ટેક્સ ન ભરતાં કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઇ છે. 1 ફેબ્રુઆરીથી સિલિગ ઝૂંબેશ શરૂ કરાઇ છે. 15 માર્ચ સુધીમાં કરાયેલી કાર્યવાહીમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 3206, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2638, ઉત્તર ઝોનમાં 2550, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2447, મધ્ય ઝોન 2402, દક્ષિણ ઝોનમાં 1511, પૂર્વ ઝોનમાં 1041 એમ કુલ 15795 મિલકતો સીલ કરી છે. આગામી દિવસોમાં આ સિલિંગ ઝુંબેશ યથાવત રહેશે તેવી પણ જાણકારી આપવામાં આવી છે.
1338.36 કરોડની આવક થઈ
15 માર્ચ 2022 સુધીમાં ગત વર્ષ કરતા ટેક્સની આવકમાં 15 % વધારો થયો છે. 1 એપ્રિલ 2021થી 15 માર્ચ 2022 સુધીમાં 1338.36 કરોડની આવક થઈ છે. ગત વર્ષે 1169.12 કરોડ જ આવક થઈ હતી. પ્રોપર્ટી ટેક્સમાં 1026.77 કરોડની આવક, પ્રોફેશનલ ટેક્સ 187.69 કરોડ અને વહિકલ ટેક્સની 124.51 કરોડ થઈ હતી.
50 હજાર પ્રોપર્ટી ટેકસ ચૂકવવાનો બાકી હોય તે તૈયાર રહે
AMC એ 1 લાખથી વધુની બાકી રકમ પર કાર્યવાહી માટે SOP બનાવવા સાથે વ્યાજ માફી અથવા બિલ રકમના બે હપ્તા કરવાનો એક જ ઓપ્શન આપવા નિર્ણય કર્યો હતો. જેમાં પુરે પુરી રકમ ભરે તો વ્યાજ માફી મળશે. જે બે હપ્તા કરશે તો વ્યાજ માફ નહી થાય તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ મામલે સિલિંગની કાર્યવાહીનો ઝોન અધિકારીને રિપોર્ટ થશે. જો ગેરરીતિ સામે આવશે તો કાર્યવાહી થશે. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ટેક્સ બાકી હોય તેવી 15795 એકમો સીલ કરાયા છે. હવે આગામી સમયમાં 50 હજારના ટેક્સ બાકી મામલે કાર્યવાહી થશે.