અમદાવાદ મનપાનો અણઘડ વહિવટ સામે આવ્યો છે. જેમાં પાર્ક કરેલી ગાડીઓ પાસે રસ્તો જ ન બનાવ્યો. તેમાં રાતોરાત ડામ પાથરી રોડનું સમારકામ કરી નાખ્યું હતું. ત્યારે હવે આ મામલે વિપક્ષે મનપા પર પ્રહાર કર્યા હતા.
રોડની કામગીરીમાં AMC અધિકારીઓની બેદરકારી
હલકી ગુણવત્તાનું કામ કરે છે કોન્ટ્રાક્ટરઃ દિનેશ શર્મા
અધિકારીઓ કોન્ટ્રાક્ટરને છાવરે છેઃ દિનેશ શર્મા
રાજ્યમાં ચોમાસા બાદ મોટા શહેરોમાં રોડ રિસરફેસની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. અનેક વખત રજૂઆત બાદ અમદાવાદમાં મનપાએ રાત્રે આવીને એવો રોડ બનાવ્યો કે લોકોને સગવડના બદલે અગવડ પડી રહી છે. સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. આ 2 તસવીરે તો અમદાવાદના તંત્રની ઈજ્જત કાઢી છે, લોકોએ કહ્યું આળસની પણ હદ હોય.
અમદાવાદ મનપાના રસ્તા હાલ હાસ્યાસ્પદ બની રહ્યા છે. સરદારનગરમાં આવેલી એક સોસાયટીમાં રસ્તાઓ રિસરફેસ કરવામાં આવ્યા હતા. પરંતુ કેટલીક જગ્યાઓમાં રોડ બાકી જ મૂકી દેવાયા હતા. રાતો રાત મશીન લઇને આવેલા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોએ પાર્ક કરેલી ગાડીઓ હટાવ્યા વિના જ રસ્તાઓ બનાવી દેવાયા હતા. જ્યાર બાદ આ કામગીરીને લઇને સ્થાનિકો અને વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે.
કોન્ટ્રાક્ટર કામ કરતા હોય ત્યારે AMC કોઇ દેખરેખ નથી રખાતીઃ કોંગ્રેસ નેતા દિનેશ શર્મા
અમદાવાદમાં રોડની કામગીરીમાં બેદરકારી સામે આવી છે ત્યારે આ મામલે કોંગ્રેસને ભાવતું મળ્યું હોય એ રીતે કોંગ્રેસ નેતા દિનેશ શર્માએ અધિકારીઓ સામે મોરચો ખોલ્યો હતો. તેમણે AMCના અધિકારીઓને આડેહાથે લેતા નિવેદન આપ્યું હતું કે આ ખુબજ ગંભીર બાબત છે, પરંતુ ભાજપના શાસનમાં જે રીતે ઉંચા ભાવે ટેન્ડર આપીને હલ્કી ગુણવત્તાના રોડ બનાવવામાં આવે છે. અમદાવાદ શહેરમાં આવી સામાન્ય બાબત થઇ ગઇ છે. કોન્ટ્રાક્ટર જ્યારે કામગીરી કરતા હોય તે સમયે અમદાવાદ મનપા દ્વારા દેખરેખ રાખવામાં નથી આવતી. કામગીરી સમયે અધિકારીઓએ સ્થળ પર હાજર નથી હોતા. કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાનું કામ કરે છે, અધિકારીઓ આવા કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે. જે અધિકારી જવાબદાર હોય તેમની સામે કાર્યવાહી કરવા માટે પણ દિનેશ શર્માએ નિવેદન આપ્યું છે
અમદાવાદના સરદારનગરમાં રોડ બનાવવાની કામગીરીમાં ગાડીઓ હટાવ્યા વગર રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો. આ મામલે મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે નિવેદન કર્યુ હતું કે 2 વ્હિકલ રોડ પર હતાં જેના કારણે કામ બાકી રહી ગયું હતું. આ કામ કોન્ટ્રાકટર પાસે કરવામાં આવશે. આગામી સમયમાં આવા વ્હિકલ રોડ પર નડતર થશે તો ક્રેનની મદદ થી દુર કરવામાં આવશે. બુધવારે સરદારનગરમાં પોલીસ લાઇનથી એરપોર્ટની દીવાલ તરફ જતાં રસ્તાના રિસરફેસિંગની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ રસ્તાની સાઇડમાં ગાડીઓ ઊભી હોવાથી તેને હટાવડાવવાની તસદી લીધા વિના બાકીનો રસ્તો રિસરફેસ કરી દેવાયો હતો. એટલે કે ગાડીઓ ઊભી હતી તે સિવાયની જગ્યાએ નવો રસ્તો બનાવી દેવાયો હતો. અમદાવાદ મ્યુનિ.માં માત્ર રસ્તાના ખાડા પૂરી રિસરફેસ કરવા તથા પુન: રસ્તા બનાવવા 250 કરોડ કરતાં વધારે ખર્ચ કરવાનો તાજેતરમાં જ નિર્ણય લેવાયો છે, પરંતુ અધિકારીઓની દેખરેખના અભાવે રસ્તાનાં કામોમાં કોન્ટ્રાક્ટરો બેફામ લાલિયાવાડી ચલાવી રહ્યા છે.
મહત્વનું છે કે, મનપાના કર્મચારીઓને કરોડોનો પગાર આપવામાં આવે છે, તેમ છતા બેદકારીભરી કામગીરી કરવામાં આવે છે. યોગ્ય ગુણવત્તા કે દેખરેખમાં કામગીરી નથી થતી. મનપા કરોડોના ખર્ચે ચોમાસા બાદ રોડ-રસ્તા રિસરફેસની કામગીરી કરી રહી છે, જેમાં જનતાના કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. તો શું રોડ-રસ્તા બનાવવાના વાયદા આવી રીતે પૂર્ણ કરાશે?