વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત ૧પ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વે કરાયેલા દેશ વ્યાપી સંબોધનમાં પ્લાસ્ટિક મુક્ત ભારતનું આહ્વાન કરાયું હતું. તેના પગલે મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓએ શહેરભરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે નવેસરથી ઉગ્ર ઝુંબેશ શરૂ કરી હતી.
મ્યુનિ. કોર્પોરેશનની ઝુંબેશ શહેરભરમાં ચર્ચાસ્પદ બની હતી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદકો, વેચાણકર્તા અને વપરાશકારોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે બે ચાર દિવસની ઝુંબેશ ચલાવ્યા બાદ હવે અચાનક સમગ્ર અભિયાનનું ટાય ટાય ફિશ થતાં સત્તાવાળાઓ અને વેપારીઓ વચ્ચે અંદરખાનેથી ગોઠવણ થઇ હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઇ રહ્યું છે.
આ ચોમાસામાં મેનહોલ અને કેચપિટની સફાઇ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કર્યા પછી પ્લાસ્ટિકના છૂટથી થતા ઉપયોગના પગલે ઠેરઠેર ગટરલાઇન ચોકઅપ થઇ હતી અને શહેરમાં સામાન્ય વરસાદમાં અત્ર, તત્ર, સર્વત્ર જળબંબાકાર થતું હતું.
તંત્રના પ્રિ-મોન્સૂન પ્લાનનાં ફિયાસ્કા પાછળ પ્રતિબંધિત પ્લાસ્ટિક જવાબદાર હોવાનું ખુદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની જાત તપાસમાં બહાર આવ્યું હતું. વરસાદી પાણીનાં નિકાલ માટે પ્રતિબંધિત પ્લાસ્ટિક અડચણરૂપ બનતું હોઇ તંત્રે પ્લાસ્ટિક ફ્રી અમદાવાદની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરી હતી. ગત ૧૭ ઓગસ્ટથી તંત્ર દ્વારા શહેરમાં પ્લાસ્ટિક સામે વ્યાપક અભિયાન હાથ ધરાયું હતું.
જે અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકની કેરી બેગ, સ્ટ્રો, કપ, નાઇફ, સ્પૂન સહિત તમામનાં વેચાણ અને ઉત્પાદન સામે તંત્રએ લાલ આંખ કરી હતી. પ્લાસ્ટિકની થેલીમાં શાકભાજી સહિતની ચીજવસ્તુ વેચતા લારી-ગલ્લાને બારોબાર ઉઠાવી લેવાની તાકીદ પણ કમિશનર વિજય નહેરાએ અધિકારીઓને કરી હતી. પ્લાસ્ટિક ફ્રી અમદાવાદ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, હેલ્થ વિભાગ, એસ્ટેટ વિભાગ વગેરે વિભાગની ટીમ બનાવીને ઠેરઠેર પ્રતિબંધિત પ્લાસ્ટિકનાં ઉત્પાદન કરતા ધંધાર્થીઓના એકમને સીલ કરવા ઉપરાંત ભારે પેનલ્ટી વસૂલવાની કામગીરી હાથ ધરાઇ હતી.
દરમ્યાન તંત્ર દ્વારા પ્લાસ્ટિકની કેરી બેગ મામલે જાણે કે કોઇ સ્પષ્ટતા ન હોઇ તમામ પ્રકારની પ્લાસ્ટિક કેરી બેગને બેન ન કરાઇ હોય તેવું ચિત્ર શહેરમાં ઉપસ્યું હતું. અમદાવાદમાં પ્લાસ્ટિક ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે અને રાજ્યનાં અન્ય નાનાં શહેરોમાં પણ અમદાવાદમાંથી પ્લાસ્ટિકની વિભિન્ન બનાવટો જતી હોય તમામ પ્રકારના પ્લાસ્ટિક સામેની તવાઇથી વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો.
જેના પગલે શહેરના પ્લાસ્ટિકના ઉત્પાદકોનું પ્રતિનિધિમંડળ મ્યુનિસિપલ હેલ્થ કમિટીના ચેરમેન પરેશ પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. કેટલાક અધિકારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકના નામે તોડબાજી શરૂ કરી હોય પ૦ માઇક્રોનથી વધુની ઝભલા થેલી પર પ્રતિબંધ ન હોવા છતાં આ અધિકારીઓ વેપારીઓની ખોટી રીતે કનડગત કરતા હોવાની રજૂઆત પણ પ્રતિનિધિમંડળે શાસકો સમક્ષ કરી હતી.
જાણકાર સૂત્રો કહે છે કે, વેપારીઓએ તેમનાં ટનબંધ ઉત્પાદિત માલનો નિકાલ કરવા માટે મ્યુનિસિપલ સત્તાવાળા દ્વારા પુરતો સમય અપાયો નથી તેવી દલીલના આધારે અંદરખાનેથી તંત્ર અને વેપારીઓ વચ્ચે ગોઠવણ થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
રાજ્યના અન્ય નાનાં શહેરના ધંધાર્થીઓના જમા માલને સગેવગે કરવા માટે અત્યારે સમય અપાઇ રહ્યો હોઇ સમગ્ર અભિયાન ઠંડું પડ્યું છે. જોકે એક પણ સંબંધીત અધિકારી કે હોદ્દેદાર આ મામલે સ્પષ્ટ રીતે કહેવા તૈયાર નથી.