અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ખરેખર કામગીરી ગેરકાયદેસર થતા દબાણો દૂર કરવાની છે પરંતુ વાડ ચીભડાં ગળે કહેવતને સાર્થક કરતું દબાણ ફરી એકવાર ફૂટપાથ પર કરી દેતા આસપાસના રહીશોમાં આક્રોશ ફેલાયો છે. ખાનગી ટ્રાવેલ્સ બસના માલિકોને આ દબાણની ભેટ કરી હોવાનો રહીશો આક્ષેપ કરી રહયા છે જોધપુર ચાર રસ્તા પાસે ફૂટપાથ પરના વળાંક પર જ રાતોરાત કોર્પોરેશને સ્માર્ટ ટોયલેટ ખડકી દીધું છે જેના કારણે સેટેલાઇટ રોડની આસપાસના આંતરિક સોસાયટીઓના રસ્તાઓને ડાબી બાજુ વળવા માટે વિઝન તો બંધ થયું જ છે ઉપરાંત સ્ટાર બઝારથી હંમેશા મોટી સંખ્યામાં રોંગસાઇડમાં આવતા વાહનોના કારણે અકસ્માત થવાના ચાન્સ પણ વધ્યા છે.
મનપાએ પોતે જ ફૂટપાથ પર કર્યું દબાણ
રાતોરાત ખડકી દીધા સ્માર્ટ ટોયલેટ
નગરજનોની સુવિધામાં વધારો થવાને બદલે વધી તકલીફ
ઉલ્લેખનીય છે કે, જોધપુર ચાર રસ્તા પર રાત્રે નવ પછી ખાનગી લકઝરી બસોનો ચક્કાજામ જોવા મળે છે. બસમાં બેસવા આવતા મુસાફરોનાં વાહનો અને મુસાફરોથી દરરોજ રાત્રે આ રસ્તા પાર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે છે. સોસાયટીમાં ઘેર જવા ઇચ્છતા લોકોને ફરી ફરીને જવાની નોબત આવે છે. કેમકે સોસાયટીના નાકા પર જ બે રોકટોક બસો ઊભી રહે છે લોકોને સગવડ આપવાના બદલે ખુદ કોર્પોરેશને ખાનગી બસ વાળાઓના પ્રવાસીઓ માટે સ્માર્ટ ટોયલેટ રસ્તાની ફૂટપાથ પર ગેરકાયદે દબાણ કરીને ઊભું કરી દેતાં લોકો રોષે ભરાયા છે.
પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મનપા કમિશનરે કહ્યું- મને જાણકારી નથી
આ અંગે દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જી. એસ.સોલંકીએ જણાવ્યું હતું કે જોધપુર ચાર રસ્તાથી આગળ ફૂટપાથ પર સ્માર્ટ ટોયલેટ બનાવવાની મને જાણકારી નથી. કદાચ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે આ માટે જગ્યા ફાળવી હશે. આ મામલે હું જોધપુર વોર્ડના મ્યુનિસિપલ કોર્પોરેટર સાથે પણ વાત કરીશ.
મનપાએ લગાવેલા હોર્ડિગથી લોકો પરેશાન
હજુ તાજેતરમાં જ આ જ વળાંકના ફૂટપાથ પર કોર્પોરેશને પરવાનગી આપેલું ફૂટપાથને રોકી લેતું હોર્ડિંગ લાગ્યું હતું. તેની બાજુમાં ખુદ કોર્પોરેશને બીજું સ્વછતા જાગૃતિ અંગેનું બોર્ડ લગાવ્યું હતું. લોકોને આ હોર્ડિંગથી વળવામાં અને ફૂટપાથ પર ચાલવામાં તકલીફ પડતી હોવાથી લોકોએ જ ગુસ્સામાં આ હોર્ડિંગ ફાડી નાખ્યાં હતાં. હવે એક કાઢતાં બીજું કાયમી દબાણ ખાનગી ટ્રાવેલમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સગવડ ઊભી કરવા કરી નાખતા કોર્પોરેશનની બેધારી નીતિ માટે સવાલ ઉભા થઈ રહ્યા છે.