મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોના મહામારીના કપરાકાળમાં કોરોનાના આંકડા ઓછા દર્શાવવાની રમત રમાતી હતી તેવા અનેક વાર ગંભીર આક્ષેપ ઊઠી ચૂક્યા છે. તંત્ર દ્વારા હવે કોરોનાના કેસ સત્તાવાર રીતે ઓછા થઈ રહ્યા છે તેમ છતાં લોકોને કોરોનાના મામલે ભ્રમ ફેલાઈ રહે તેવી રીતરસમ તંત્ર અપનાવી રહ્યું છે.
અત્યારે પણ કયા વોર્ડમાં કોરોનાના કેટલા એક્ટિવ કેસ છે તેની પણ માહિતી મળતી નથી. હાલમાં કેટલા માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં કેટલા લોકો હોમ ક્વોરન્ટાઇન છે તેવી સામાન્ય વિગતથી પણ લોકોને વિશ્વાસમાં લેવાતા નથી, જોકે કોરોના વેક્સિનેશનની જોરદાર તૈયારીમાં તંત્ર લાગેલું હોઈ હર્ડ ઇમ્યુનિટીના ત્રીજા સરવેનો રિપોર્ટ જાણે કે વિસરાવી દેવાયો હોય તેવી ચર્ચા ઊઠી છે.
લોકોમાં હર્ડ ઇમ્યનિટી અંગે AMC દ્વારા સરવે કરાયાં
કોરોના સામે લોકોમાં હર્ડ ઈમ્યુનિટી એટલે કે લોકસમૂહ પ્રતિરોધકતા કેળવાઈ છે કે કેમ તે અંગે મ્યુનિ. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ત્રણ સરવે કરાયા છે, જોકે અગાઉના બે સરવે હેઠળ અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટી જેવી બાબત જોવા પણ મળી નથી તેની મ્યુનિ. સત્તાવાળાઓએ સત્તાવાર જાહેરાત કરી હતી એટલે કોરોનાની વેક્સિન લેવી લોકો માટે ખાસ જરૂરી છે. આ ઉપરાંત વેક્સિન ન આવે ત્યાં સુધી હર્ડ ઈમ્યુનિટી જોવા ન મળતી હોઈ કોરોનાના સંક્રમણથી બચવા માટે તેની ગાઇડલાઇન પાળવી પણ અતિ જરૂરી બની છે. એક વખત કોરોના થઈ ગયો હોય તેવા લોકો પૈકી ૪૦ ટકામાં કોરોના સામેની પ્રતિરોધકતામાં અભાવ જણાયો છે. એનો અર્થ એ થયો કે આ લોકો ફરી કોરોનાની ઝપટમાં આવી શકે છે તેવી ચેતવણી પણ સપ્ટેમ્બર મહિનામાં તંત્રે આપી હતી. તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાં દેખા દીધેલા મ્યુકોરમાઇકોસિસના કેસથી આ ચેતવણી સાચી પુરવાર થઈ હતી.
AMCએ કરેલા સરવેના આંકડા સામે આવ્યાં
જોકે પહેલા સરવેમાં ૩૦ હજાર લોકોને આવરી લઈ તેમાં ૧૭.૬૧ ટકા સરેરાશ સેરો પોઝિટિવિટી નોંધાઈ હતી એટલે તે વખતે અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટી જેવું કશું જ નથી તેને સત્તાવાર સમર્થન મળ્યું હતું. જ્યારે બીજી વખતના સરવેમાં ૧૦,૩૧૦ લોકોને આવરી લેવાયા હતા. તે વખતે ૨૩.૬૫ ટકામાં સેરો પોઝિટિવિટી મળી આવી હતી. સેરો પોઝિટિવિટી એટલે કે એિન્ટબોડીના મામલે તે વખતે તંત્રના વિવિધ ઝોનમાં વિવિધ ટકાવારી જોવા મળી હતી. ઉત્તર ઝોનમાં સૌથી વધુ ૩૩.૧૪ ટકા, મધ્ય ઝોનમાં ૩૧.૬૪ ટકા, પૂર્વ ઝોનમાં ૨૩.૯૬ ટકા, દક્ષિણ ઝોનમાં ૨૩.૯૧ ટકા, પશ્ચિમ ઝોનમાં ૨૦.૮૪ ટકા, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૧.૭૪ ટકા અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧૮.૯૩ ટકા સેરો પોઝિટિવિટી એટલે કે એન્ટીબોડી નોંધાઈ હતી.
AMC દ્વારા ત્રીજો સરવે કરાયો
ત્યાર બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં મ્યુનિ. સત્તાવાળાઓએ ત્રીજો સરવે હાથ ધર્યો હતો. કોરોના સામેની લડતમાં હર્ડ ઈમ્યુનિટી અંગેનો તંત્રના ત્રીજા અને છેલ્લા સરવેનો રિપોર્ટ હજુ સુધી બહાર જ આવ્યો નથી. મ્યુનિ. સત્તાધીશોએ અગમ્ય કારણસર ત્રીજા હર્ડ ઈમ્યુનિટી માટેના સરવેના રિપોર્ટને સત્તાવાર રીતે જાહેર કરવાની તસ્દી જ નથી લીધી.
ત્રીજા સરવે હેઠળ શહેરના ૨૦ હજાર લોકોને આવરી લેવાયા હતા અને તેમના લોહીના સેમ્પલના રિપોર્ટનું એનાલિસિસ કરાઈ રહ્યું છે તેમ તંત્ર જણાવે છે, જોકે એનાલિસિસ માટે આટલો બધો સમયગાળો લાગે તેમ ન હોઈ એક પ્રકારે એનાલિસિસ થઈ ચૂક્યું છે, પરંતુ તેને જાહેર કરવામાં અકળ કારણસર સત્તાવાળાઓ ખચકાટ અનુભવી રહ્યા છે.
કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં
અત્યારે પણ કોરોના તો ગયો જ નથી. હજુ પણ ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. ગઈ કાલે પણ શહેરમાં ૧૪૬ કેસ અને બે દર્દીનાં કોરોનાથી મોત થયાં હતાં.
ગઈ કાલે અમદાવાદ જિલ્લામાં હાથ ધરાયેલા હર્ડ ઈમ્યુનિટીના સરવે રિપોર્ટને જિલ્લા વિકાસ અધિકારીએ જાહેર કર્યો હતો. જિલ્લામાં ફક્ત ૨૧ ટકા લોકોમાં એિન્ટબોડી જોવા મળી હતી, જ્યારે ૭૮ ટકા લોકોએ કોરોનાની વેક્સિન મુકાવવી જરૂરી હોવાનું તંત્રે જણાવ્યું હતું.
AMCના ત્રીજા સરવેનો રિપોર્ટ જાહેર કરવાનો બાકી
એક તરફ અમદાવાદના અનેક વિસ્તારમાં લોકો કોરોનાની વેક્સિન લેવા ઉત્સાહિત નથી. ભણેલા-ગણેલા વિસ્તારમાં પણ તંત્રની સરવે ટીમને લોકોએ પૂરતી માહિતી આપી ન હતી એટલે જો ત્રીજા સરવેના રિપોર્ટને તંત્ર સત્તાવાર રીતે જાહેર કરે તો લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસિત થઈ ન હોવાની સમજ વધુ કેળવાશે અને વધુ ને વધુ લોકો સામે ચાલીને વેક્સિન લેવા તૈયાર થશે. પરિણામે તંત્રનો વેક્સિનેશનનો કાર્યક્રમ વધુ સફળ નીવડશે તેવી ચર્ચા ઊઠી છે. હવે જ્યારે મ્યુકોરમાઇકોસિસ ઉપરાંત કોરોનાના નવા સ્ટ્રેનથી અમદાવાદ પણ બાકાત નથી રહ્યું તો ત્રીજા સરવેનાે રિપોર્ટ તો પ્રસિદ્ધ કરવો જ જોઈએ, પરંતુ લોકોના જીવનની સલામતી માટે તંત્રે ચોથો સરવે પણ શરૂ કરવો જોઈએ તેમ પણ ચર્ચાઈ રહ્યું છે.