ગત તા.૬ ઓગસ્ટના રોજ નવરંગપુરાની ખાનગી કોવિડ કેર હોસ્પિટલના ICU માં ભીષણ આગ ફાટી નીકળતાં આઠ દર્દી પલંગ પર જ જીવતા ભડથું થઇ ગયા હતા. પરિણામે મ્યુનિ. ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા પહેલાં શહેરની તમામ સરકારી અને ખાનગી કોવિડ કેર હોસ્પિટલની ફાયર સેફ્ટીની ચકાસણી હાથ ધરાઇ હતી. રપ ઓગસ્ટથી હવે તમામે તમામ હોસ્પિટલ અને ક્લિનિકની ફાયર સેફ્ટીની ચકાસણી ચાલી રહી છે.
મ્યુનિ. ના ફાયર વિભાગની આકરી કામગીરી
ખાનગી દવાખાનાઓ પર કરી મોટી કાર્યવાહી
ફાયર સેફટી NOC ન હોવાથી ફટકારી નોટિસ
આ ચકાસણી હેઠળ આજની સ્થિતિએ મ્યુનિ. ફાયર બ્રિગેડ વિભાગે પ૯ ખાનગી હોસ્પિટલને ફાયર સેફ્ટીની નોટિસ ફટકારી છે.હાલમાં અમદાવાદ મ્યુનિ.નું ફાયર વિભાગ દોડધામ કરી રહ્યું છે.
અમદાવાદમાં ફરી સરમાયો છે જાનમાલની સુરક્ષાનો મામલો
શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડની શાહી હજુ સુકાઇ નથી અને ગઇ કાલે સાંજે વડોદરાની સયાજી હોસ્પિટલના ICU વોર્ડમાં આગ ફાટી નીકળી હતી. આ હોસ્પિટલના વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળતાં ભારે દોડધામ સર્જાઇ હતી. સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. આના પગલે અમદાવાદની હોસ્પિટલમાં આગ સામે દર્દીઓના જાનમાલની સુરક્ષાનો મામલો ફરી ગરમાયો છે.
શ્રેય હોસ્પિટલ પાસે ન હતી ફાયર સેફ્ટીની NOC
શ્રેય હોસ્પિટલ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરાઇ હોવા છતાં તેની પાસે ફાયર સેફ્ટીની NOC ન હતી. આ વિગત પ્રકાશમાં આવતાં લોકોએ તંત્ર પર ફિટકાર વરસાવ્યો હતો. અમદાવાદીઓમાં ફેલાયેલા રોષને શાંત પાડવા મ્યુનિ. સત્તાવાળાઓ હરકતમાં આવ્યા હતા અને તત્કાળ ફાયર બ્રિગેડ વિભાગ પાસે શહેરની તમામ સરકારી અને ૭૩ જેટલી ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલનો સર્વે કરાવ્યો હતો.
આ સર્વેના આધારે જે તે હોસ્પિટલને NOC ની નોટિસ ફટકારીને સાત દિવસમાં NOC મેળવી લેવાનો આદેશ અપાયો હતો. હવે સરકારી અને ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ફાયર સેફટીની NOC હોવાનો તંત્રનો દાવો છે.
અમદાવાદમાં 2247 જેટલી ખાનગી હોસ્પિટલો અને ક્લિનિકો છે
ત્યારબાદ ફાયર બ્રિગેડ વિભાગની ર૦ ટીમે શહેરભરમાં પથરાયેલ નાની-મોટી હોસ્પિટલ અને ક્લિનિકની ફાયર સેફટીની ચકાસણી હાથ પર લીધી છે. અમદાવાદમાં કુલ રર૪૭ નાની-મોટી હોસ્પિટલ અને ક્લિનિક છે. આ તમામ કોવિડ ડેઝિગ્નેટેડ સિવાયની હોસ્પિટલ હોઇ તેમાં હાથ ધરાયેલી સર્વેની કામગીરીને જોતાં આજદિન સુધી ૧રર૧ હોસ્પિટલને ફાયર સેફટીની NOC અપાઇ ગઇ છે, જ્યારે પ૯ હોસ્પિટલ પાસે NOC ન હોઇ તેમને નોટિસ ફટકારાઇ છે. આ તમામ ખાનગી હોસ્પિટલ છે.
મ્યુનિ. ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની NOC ચકાસવા હાથ ધરાયેલી કામગીરીમાં શહેરની અનેક હોસ્પિટલ અર્થ લીક સર્કિટ બ્રેકર (ઇએલસીબી) ધરાવતી નથી જ્યારે ઘણી હોસ્પિટલમાં નિયમ મુજબનાં ફાયર એક્સ્ટિંગ્વિશર મુકાયેલાં હોતાં નથી. ઉપરાંત લોખંડની સીડી સાંકડી જોવા મળે છે.
મોટાભાગની ખાનગી હોસ્પિટલો લો રાઈઝ બિલ્ડિંગમાં ધમધમે છે
કાચના બિલ્ડિંગમાં વેન્ટિલેશનની પૂરતી સુવિધા હોતી નથી, જોકે અમદાવાદમાં શેલ્બી, સ્ટર્લિંગ, એસવીપી, ઝાયડસ કેડિલા, મેડિ સર્જ જેવી ગણીગાંઠી ૧૦થી ૧પ હાઇરાઇઝ બિલ્ડિંગ ધરાવતી હોસ્પિટલ છે. જ્યારે બાકીનાં તમામ હોસ્પિટલ-ક્લિનિક લોરાઇઝ બિલ્ડિંગમાં ધમધમે છે.
તંત્ર દ્વારા જે તે બિલ્ડિંગની ઊંચાઇ મુજબ ઇન્સ્પેકશન અને NOC ચાર્જ લેવાય છે, જેમ કે ૩૦ મીટર સુધીમાં પહેલાં રૂ.૪,૦૦૦, બીજી વખત રિન્યૂઅલમાં રૂ.ર,૦૦૦, ૪૦ મીટર સુધીમાં પહેલાં રૂ.૮,૦૦૦ અને રિન્યૂઅલમાં રૂ.૪,૦૦૦, ૪૦થી પ૦ મીટરના પહેલાં રૂ.૧ર,૦૦૦ અને રિન્યૂઅલમાં રૂ.પ,૦૦૦ અને એસવીપી જેવી ૬૦થી ૭૦ મીટરના બિલ્ડિંગમાં પહેલાં રૂ.રપ,૦૦૦ અને રિન્યૂઅલમાં રૂ.૧૦,૦૦૦ લેવાય છે.
સોલા સિવિલ હોસ્પિટલ પાસે નથી ફાયર સેફટીનું NOC
અત્યારે મ્યુનિ. સંચાલિત વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ અને નગરી હોસ્પિટલમાં નિયમ અનુસારની ફાયર સેફ્ટીની NOC છે. જ્યારે રાજ્ય સરકાર સંચાલિત અસારવા સિવિલ હોસ્પિટલ પણ આકસ્મિક આગની દુર્ઘટનાને પહોંચી વળવા ફાયર સેફ્ટીનાં સાધનોથી સુસજ્જ છે, પરંતુ સોલા ખાતેની સિવિલ હોસ્પિટલ પાસે આજની તારીખમાં પણ ફાયર સેફ્ટીની NOC નથી.
મેડિકલના વિદ્યાર્થીઓ ઉપર તોળાઈ રહ્યું છે હોનારતનું જોખમ
આ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ હોસ્ટેલ બિલ્ડિંગ પાસે પણ NOC નથી એટલે સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને હોસ્ટેલમાં રહેતા મેડિકલના છાત્રો સામે આગનું જોખમ તોળાયેલું જ છે. આ દિશામાં સરકારી તંત્ર હજુ કુંભકર્ણની નિદ્રામાં જ છે. વડોદરાની સરકારી હોસ્પિટલમાં લાગેલી ગઇ કાલની દુર્ઘટના બાદ ગાંધીનગર જાગૃત થાય તેવી શક્યતા છે.
શહેરની હોસ્પિટલના સર્વે બાબતે મ્યુનિ. ફાયર બ્રિગેડના વડા એમ.એફ.દસ્તૂરને પૂછતાં તેઓ કહે છે, હજુ ૧૦ર૬ હોસ્પિટલ અને ક્લિનિકનો સર્વે બાકી હોઇ તે માટે એક મહિનો લાગશે એટલે તા.૧૦ ઓક્ટોબરની આસપાસ હોસ્પિટલની NOC નું ચિત્ર સ્પષ્ટ થશે.