શાનદાર જીત મેળવવામાં તો કપરાં ચઢાણ જ છે. ચાલુ ચોમાસામાં મુખ્ય રસ્તા પર પડેલા ૧૬,૩૩૦ ખાડાને યુદ્ધના ધોરણે કામગીરી કરીને પુરાયા છે. હજુ શહેર તો ખાડાબાદ જ છે. દરમિયાન આગામી તા.૧ ઓકટોબરથી શહેરમાં રોડ રિસરફેસિંગની કામગીરીને પણ યુદ્ધના ધોરણે હાથ ધરીને રોડને ‘ચકાચક’ કરી દેવાશે. લોકોને ચૂંટણી પહેલાં આંજી નાખવા માટેના અસ્ત્ર-શસ્ત્ર તરીકે રોડના કામનો શાસકો ઉપયોગ કરશે.
આમ તો ગયા વર્ષે નવરાત્રિના તહેવારોમાં પણ રોડનાં કામોએ ગતિ પકડી ન હતી. દિવાળીના સપરમા દિવસોમાં પણ અમદાવાદીઓના લમણે ઊબડખાબડ રસ્તા ભટકાયા હતા, જોકે ચૂંટણીનું વર્ષ ન હોવાથી શાસક પક્ષ પણ બેફિકરાઇથી બેઠો હતો. ત્યાર બાદ જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે અમદાવાદમાં તંત્ર દોડતું રહ્યું હતું.
હોળી પહેલાંથી શ્રમિકો તેમના વતન રવાના થતાં રોડના કામને ફરી ગ્રહણ લાગ્યું હતું. ત્યાર બાદ કોરોનાના પગલે લોકડાઉન જાહેર થવાથી રોડની કામગીરી એપ્રિલ-મે મહિનામાં પણ ઠપ પડી હતી એટલે રોડનાં કામ મહદંશે થઇ શક્યાં નથી.
બીજી તરફ હવે ચૂંટણી નજીક આવતાં પહેલાંની જેમ રોડના કામમાં બેદરકારી દાખવવી શાસક પક્ષને પરવડે તેમ નથી. ઉપરથી આ ચોમાસામાં શહેરભરના રોડ તૂટતાં ચૂંટણીમાં ફરી ‘વિકાસ ગાંડો થયો છે’ તેવું સૂત્ર ન ગાજતું થાય તેની ચિંતાથી મ્યુનિ. ભાજપમાં ફફડાટ ફેલાયો છે એટલે ચૂંટણીની વૈતરણી પાર કરવા માટે શાસક પક્ષ મ્યુનિ. તિજોરીને ખુલ્લી મૂકી દેશે. તમામ વોર્ડના નાના-મોટા રોડ પર પેવર ચલાવવાના ખર્ચ બાબતે કોઇ કચાશ નહીં રખાય.
જોકે રોડ રિસરફેસિંગના કામમાં ગુણવત્તા જળવાશે નહીં. પહેલાં આ કામના ટેન્ડર ૩૦ ટકા નીચા ભાવથી આવતાં હતાં, જે ઓગસ્ટ-ર૦૧૮ના રૂ.૩પ૦ કરોડના રોડ કૌભાંડ બાદ ર૩થી રપ ટકા જેટલા ઊંચા આવી રહ્યા છે. રોડના કામમાં કોન્ટ્રાકટરની સિન્ડિકેટથી સિંગલ ટેન્ડરની પણ બોલબાલા જોવા મળી છે.
એકંદરે હવે રોડના કામના કોન્ટ્રાકટરને પપ ટકા જેટલા ઊંચા ભાવ ચૂકવાશે તેમ છતાં જે તે રોડ પર રોડ રિસરફેસિંગના નામે ડામરનાં ગાદલાં પાથરી દેવાશે. રોડ પર ડામરના થર પર થર ચઢાવીને ગુણવત્તાના નામે મીડું જ મુકાશે. આનાથી રોડના ડિવાઇડરની ઊંચાઇ જેટલા રોડ થઇ જતાં નીચાણવાળા વિસ્તારમાં રાબેતા મુજબ વરસાદી પાણી હાહાકાર મચાવશે.
તેમાં પણ તા.૧ ઓકટોબરથી રોડના કામ પાછળ રૂ.૪૦૦ કરોડથી વધુનું આંધણ કરાયા બાદ પણ નાગરિકો માટે જેે તે રોડના કોન્ટ્રાકટરનું નામ, ગેરંટી પિરિયડ વગેરે માહિતી દર્શાવતાં બોર્ડ મુકાશે નહીં. અમુક વગદાર તત્ત્વો જ લોકોમાં રોડના કામનો ભ્રષ્ટાચાર ઉજાગર થાય નહીં તેવું ઇચ્છતા હોઇ રોડના કામની માહિતી ઓનલાઇન પણ મુકાતી નથી.