ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં આગામી નવેમ્બરમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કોરોનાના કારણે ત્રણ મહિના પાછી ઠેલાઇ છે. જોકે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા કોરોનાના કારણે અમદાવાદ સહિત છ કોર્પોરેશન, પપ નગરપાલિકા, ૩૧ જિલ્લા અને ર૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરાઇ તેમ છતાં રાજકીય વર્તુળોમાં તો અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી જ જોરશોરથી ચર્ચાતી હતી.
અમદાવાદમાં છેલ્લા ૧પ વર્ષથી સત્તાનાં સૂત્રો ભોગવતાં ભાજપને જો સત્તા ગુમાવવી પડે તો તેના ગંભીર પડઘા બે વર્ષ બાદ ર૦રરમાં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પડે તેમ હોઇ કોરોનાનાે ડર ચૂંટણી પાછી ઠેલવા ખરેખર કારણભૂત હતો કે પછી આઈબીના નેગેટિવ રિપોર્ટથી ચૂંટણી યોજવાની તમામ તૈયારી આટોપાઇ ગયા છતાં પણ છેવટે તેના પર ઠંડું પાણી રેડાયું તેની પણ સત્તાના ગલિયારામાં ચર્ચા ઊઠી છે. બીજી તરફ ચૂંટણીને માર્ચ, ર૦ર૧ સુધી લંબાવવામાં આઇબી રિપોર્ટનો ડર જીતશે તેવા ‘સમભાવ મેટ્રો’ના અહેવાલને માત્ર ચાર જ દિવસમાં સમર્થન મળ્યું છે.
લીલાં તોરણેથી ચૂંટણીની જાનને પાછી વાળી દેવાઇ
ઓકટોબરના બીજા કે ત્રીજા અઠવાડિયાંમાં ગમે ત્યારે ચૂંટણીની આચારસંહિતા જાહેર થશે તેવી પ્રબળ શક્યતાની ચોતરફના માહોલની વચ્ચે ગત તા.૯ ઓકટોબરના ‘સમભાવ મેટ્રો’એ આઇબી રિપોર્ટના આધારે ચૂંટણી પાછી ઠેલાઇને માર્ચમાં યોજાય તેવો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલ મુજબ અમદાવાદીઓમાં ભાજપ સામે વ્યાપક નારાજગી ફેલાઇ છે. હાથરસથી દલિત સમાજ તેમજ રાજ્યના શાસક પક્ષ ભાજપના મુખ્યપ્રધાન અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બિન પાટીદાર જ્ઞાતિના હોઇ વર્ષોથી સત્તાના મુખ્ય સ્થાને રહેલા પાટીદાર સમાજમાં પણ ‘અંદરખાને’થી ભાજપ સામે ભારે રોષ ફેલાયો છે. ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તો નીમાઇ ગયા પણ સંગઠનનું માળખું બનાવાયું ન હોઇ આ બાબત પણ કારણભૂત બની છે. જોકે લોકોમાં ફેલાયેલી ‘એન્ટીઇન્કમબન્સી’ના આઇબી રિપોર્ટથી ગાંધીનગર ચોંકી ઊઠતાં લીલાં તોરણેથી ચૂંટણીની જાનને પાછી વાળી દેવાઇ હોય તેવો ઘાટ ઘડાયો છે.
કોરોનાની દહેશત દૂર કરવા મનપાની કાર્યવાહી
અમદાવાદમાં ચૂંટણી યોજવા અને લોકોમાં કોરોનાની દહેશત દૂર કરવા લાંબા સમયથી કોરોના કેસ ૧પ૦ની આસપાસ અને મૃત્યુ આંક ત્રણની આસપાસ રહે છે. હવે તંત્રની માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાની જાહેરાત પણ સાવ ઘટીને પાંચથી દસની વચ્ચે થઇ ગઇ છે. મેયર-કમિશનર વગેરે પણ કોરોનાનો ડર છોડીને દાણાપીઠ મુખ્યાલયમાં બેસતા થયા છે. ચૂંટણી પહેલાં લોકોને આંજી દેવા દિવાળી પહેલાં રોડ ‘ચકાચક’ કરી દેવાનાં ચક્ર ગતિમાન કરાયાં છે.
ચૂંટણીલક્ષી યોજનાને સફળ બનાવવા કોર્પોરેટર વોર્ડમાં ફરતા થયા
રાજ્ય સરકારની ગત તા.ર૭ ઓગસ્ટની ‘હર ઘર નલસે જલ’ની ચૂંટણીલક્ષી યોજનાને અમદાવાદમાં સફળ બનાવવા ભાજપના કોર્પોરેટર વોર્ડમાં ફરતા થયા છે. કોર્પોરેટર બજેટનાં કરોડોનાં કામને વેગ આપવા શાસકોએ તંત્રને આદેશ આપતાં રહેણાક વિસ્તારમાં આરસીસી રોડ, પેવર બ્લોક જેવાં કામનો ધમધમાટ વધ્યો છે. મેયર સહિતના ઉચ્ચ હોદ્દેદારો ચૂંટણીની લહાયમાં લોકાર્પણ, ભૂમિપૂજનના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી જાય છે. એટલે મ્યુનિ. ભાજપ પણ ચૂંટણીની તૈયારીમાં છે.
નવા વિસ્તાર અમદાવાદમાં ભળી ગયા
અગાઉ અમદાવાદની સામાન્ય ચૂંટણી યોજવા આડેના વિઘ્ન તરીકે બોપલ-ઘુમા સહિતના નવા વિસ્તારોને કોર્પોરેશનમાં ભેળવવાની બાબત ચર્ચાતી હતી, પરંતુ ગત તા.૧૮ જૂને ચૂંટણીની તૈયારીના ભાગરૂપે બોપલ-ઘુમા વગેરે નવા વિસ્તાર અમદાવાદમાં ભળી ગયા હતા. ત્યાર બાદ નવા વિસ્તારોને લઇને નવો વોર્ડ બનાવાશે કે કેમ? તેની અટકળોનો ગત તા.૩ સપ્ટેમ્બરે રાજ્ય ચૂંટણીપંચે નવું સીમાંકન પ્રસિદ્ધ કરીને અંત લાવ્યો હતો. નવા સીમાંકનનાં વાંધા-સૂચનો બાદ શહેરનું ૪૮ વોર્ડમાં વિભાજન, ૧૯ર કોર્પોરેટરની સંખ્યા, ૧૯ર બેઠક પૈકી ૧૧૬ અનામત બેઠક વ્યવસ્થા અને ૭૬ સામાન્ય બેઠક વ્યવસ્થાને અંતિમ મંજૂરી મળી ગઇ હતી. બિહાર વિધાનસભાની ચૂંટણી તો છોડો, રાજ્યની આ પેટા ચૂંટણીના કાર્યક્રમની રાજકીય વર્તુળોમાં જોવાતી રાહનો પણ અંત આવી ગયો હતો.
ભાજપની છાવણીમાં સન્નાટો અને કોંગ્રેસ ગેલમાં આવી ગઇ
નવેમ્બર, ર૦ર૦માં સામાન્ય ચૂંટણી યોજવા ચાલુ વર્ષના બજેટમાં તંત્રે રૂ.૧પ કરોડથી વધારાની ફાળવણી કરી હોઇ ચૂંટણી ખર્ચની ચિંતા ન હતી. હાલના કમિશનરે પણ અન્ય વિભાગમાંથી કર્મચારીની ચૂંટણી શાખામાં બદલી કરીને ચૂંટણીને વધુ મહત્ત્વ આપ્યું છે. હજુ ગયા શનિવારે મતદાર યાદી પણ પ્રસિદ્ધ કરાઇ છે. આટઆટલી ચૂંટણીલક્ષી તૈયારી આટોપાઇ ગયા બાદ પણ જો કોરોનાના ડરથી તેને ત્રણ મહિના પાછી ઠેલાઇ છે તેવું કારણ અપાયું હોય તો તે બાબત રાજકીય વર્તુળો સહેલાઇથી માનતા નથી. આઇબી રિપોર્ટ ભાજપ વિરુદ્ધ ગયો હોઇ આ રીતે પારોઠનાં પગલાં ભરાયાં હોવાની ચર્ચા વધુ છે. જોકે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની કોરોનાના ડરની રજૂઆતનો ચૂંટણીપંચે સ્વીકાર કરતાં ભાજપની છાવણીમાં સન્નાટો ફેલાયો છે. જ્યારે કોંગ્રેસ છાવણી ગેલમાં આવી ગઇ છે.