ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આવતીકાલ(20 નવેમ્બર)થી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુનો રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણય પર લોકોના મનમાં કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદની સ્થિતિ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા લગાવવા જેવી થઇ છે.
અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી ફરફ્યુ
21 અને 22 નવેમ્બર સંપૂર્ણ લોકડાઉન
કરફ્યુ બાદ લોકોના મનમાં અનેક સવાલો
જેમણે લગ્નના મુહૂર્ત કઢાવી લીધા છે તેમનું શું થશે?
દિવાળીના તહેવારો અને શિયાળાની ઋતુ શરૂ થતા કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે અમદાવાદ તંત્ર દ્વારા સંક્રમણને અટકાવવા માટે આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યું છે. જ્યારે મોડી રાતે 21 અને 22 નવેમ્બર એટલે કે શનિવાર અને રવિવારે શહેરમાં સંપૂર્ણ લોકડાઉન કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. આવી પરિસ્થિતિમાં લોકોના મનમાં કેટલાક સવાલ ઉપજી રહ્યા છે. અને ખાસ કરીને રાત્રિ કરફ્યુના નિર્ણય પર લોકોમાં ચર્ચા ઉઠી છે કે લગ્ન અને પરીક્ષા જેવા આયોજનોનું શું થશે?
ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ
અચાનક લાદી દેવાયેલા કર્ફ્યૂથી લોકોમાં ચર્ચા થવા લાગી છે કે આખરે કેમ અચાનક આવો નિર્ણય લેવાયો. ચર્ચા એવી થઈ રહી છે કે ચૂંટણીઓ, રાજકીય કાર્યક્રમો અને તહેવારો પૂર્ણ થયા બાદ આ નિર્ણય ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો છે. પેટાચૂંટણી સમયે ભાજપ-કોંગ્રેસની રેલીઓ થઈ ત્યારે આ પ્રકારની કેમ કોઈ કાર્યવાહી ન કરાઈ. નવરાત્રિ બંધ રખાઈ તો દિવાળીમાં કેમ આટલી છૂટ અપાઈ? ભાજપના નવા પ્રદેશ પ્રમુખની રેલીઓ, 8 પેટાચૂંટણીઓ, ચૂંટણી રેલીઓ અને સભાઓ અને તહેવારો બાદ આ નિર્ણય લેવો કેટલો યોગ્ય છે તેવી પણ સોશ્યલ મીડિયા સહિત લોકોમાં ચર્ચા થઈ રહી છે.
લોકોના મનમાં છે આ સવાલ:
જેમણે લગ્નના મુહૂર્ત કઢાવી લીધા છે તેમનું શું થશે?
જેમણે લગ્નની તમામ તૈયારીઓ કરી લીધી એમનું શું થશે?
ફરી ધંધા-વેપારને નુક્સાન નહીં પહોંચે?
અનલોક બાદ ફરી લોક કરવું કેટલું યોગ્ય?
અનલોકમાં ધ્યાન આપ્યું હોત તો આવી દશા આવતી?
જે ધંધા-રોજગાર પાટે ચડ્યા છે તેમનું શું થશે?
રાત્રી ખાણી-પીણીના ધંધાદારીઓના ઘર કેવી રીતે ચાલશે?
શહેરમાં બહારગામથી આવતા વાહનોની અવરજવરનું શું?
ખાનગી બસ અને વાહનોને અન્ટ્રી મળશે કે કેમ?
શું અમદાવાદથી બહારગામ જઇ શકાશે કે નહીં?
બહારગામમાંથી અમદાવાદમાં એન્ટ્રી મળશે કે નહીં?
રાજકીય તાયફાઓ, ચૂંટણીઓ અને સભાઓ વખતે મોટી છૂટછાટો કેમ?
20 નવેમ્બરથી કરફ્યુ, નવી સુચના ન મળે ત્યાં સુધી લાગુ રહેશેઃ રાજીવ ગુપ્તા
રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. નવી સુચના ન મળે ત્યા સુધી કરફ્યુ લાગુ રહેશે.
AMCનો એકશન પ્લાન
કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરના દર્દીઓ માટે અસારવા સિવિલમાં વધુ 400 બેડની વ્યવસ્થા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેર માટે નવા 600 તબીબોની ફાળવણી કરવામાં આવી છે. લોકો નિયમોનું પાલન કરે અને અફવાઓથી દૂર રહે. નવી સૂચના ન મળે ત્યા સુધી કરફ્યૂ લાગૂ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ માટે વધુ 300 ડોક્ટર્સ ફાળવાયા છે.
CM વિજય રૂપાણી સાથેની આજની બેઠકમાં નિર્ણય લેવાયો છે. અમદાવાદના દર્દીઓ માટે કુલ 800 વધુ બેડ ઉપલબ્ધ કરાવ્યા છે. સિવિલમાં 400 અને સોલા સિવિલમાં 400 વધુ બેડ ફાળવાયા છે. 70 ખાનગી હોસ્પિટલમાં કોરોના બેડ ઉપલબ્ધ કરાવાયા છે. ખાનગી હોસ્પિટલમાં વધુ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
શહેરની આસપાસના વિસ્તારમાં 100 બેડ ફાળવાયા છે. હાલમાં કુલ 2600 બેડ તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. 108ની સેવામાં પણ વધારો કરાયો છે. 48 કલાકમાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 40 એમ્બ્યુલન્સ માત્ર કોરોના દર્દીઓ માટે ફાળવી છે. 300 મેડિકલ સ્ટુડન્ટ કોરોના કામગીરીમાં ફાળવાયા છે. તો આવશ્યક સેવા સિવાય તમામ સેવા બંધ રહેશે.