અમદાવાદમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આ ભ્રષ્ટાચાર વિશે જાણીને તમારા પગ નીચેની જમીન સરકી જશે. કારણ કે, તમે જેને તમારો મત આપ્યો છે તે તમારા વિકાસના પૈસાથી પોતાનું ગજવું ભવી રહ્યા છે. આજે એક એવા ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે જે તમારી આંખો ખોલી નાખશે. તમે આજે એ વાત જાણશો કે, તમારા વિકાસ માટે સરકાર કેટલા પૈસા પાણીની જેમ વહાવે છે. આ ભ્રષ્ટાચારને અમે આજે એક નામ પણ આપ્યું છે. આ નામ એટલે કે, બાંકડાના પેવરમાં બ્લોક થયું અમદાવાદ. પરંતુ કેવી રીતે? જાણો ચોંકાવનારો અને ભ્રષ્ટાચારનો ભાંડો ફોડતો ખાસ રિપોર્ટ...
1 કરોડ 42 લાખ ટ્રી ગાર્ડ અને બાંકડા પાછળ વાપરવામાં આવ્યા
રિયાલિટી ચેકઃ ટ્રીગાર્ડ તો જોવા મળ્યા પરંતુ માત્ર ગણ્યા ગાઠયા
કાઉન્સિલરોએ તમારા વિકાસ માટે ખર્ચ કરેલા રૂપિયાનો હિસાબ
અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા ગોતા, ચાંદલોડીયા, ઘાટલોડીયા, થલતેજ અને બોડકદેવના કાઉન્સિલરો. જેમણે વિકાસના નામે મસમોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. પ્રજાના લાખો રૂપિયા માત્ર બાંકડા, ટ્રી-ગાર્ડ અને પેવર બ્લોકના નામે લૂંટી લીધા છે. તેમણે લાખોના કામ બતાવ્યા. પરંતુ ન તો ક્યાંય કામ બોલે છે કે ન તો નેતાજીના કામના પુરાવા મળે છે.
સ્માર્ટ સિટી અમદાવાદમાં પ્રજાના પ્રતિનીધી પ્રજાના ટેક્સના પૈસાથી પોતાના ઘર ભરી રહ્યા છે. તેઓ બિલ બાંકડાના નામે ફાડી રહ્યા છે. ગાર્ડનમાં કે સોસાયટીના બાંકડા પર તમે બેસો છો તે બાંકડો લાખો રૂપિયાનો છે. દર વર્ષે તમારા વિસ્તારના કાઉન્સિલર માત્ર બાંકડા માટે જ 20થી 40 ટકા સુધીનું બજેટ વાપરે છે. એટલે કે લાખો રૂપિયા માત્ર બાકડાના વિકાસ માટે જ વપરાય છે. તમારા સ્વાસ્થ્ય માટે કે બાળકોના ભણતર માટે નહીં ? મહત્વનું છે કે, 10 વર્ષ પહેલા બાંકડાના કૌભાંડના પર્દાફાશ બાદ નરેન્દ્ર મોદીએ નિયમો બનાવ્યા હતા કે હવે બાંકડા પાછળ બજેટ ન વાપરવું
2019-20માં કાઉન્સિલરોએ તમારા વિકાસ માટે ખર્ચ કરેલા રૂપિયાનો હિસાબ
સૌથી પહેલા ગોતાના 4 કાઉન્સિલરો અંગે જાણો. જેમાં પહેલા કાઉન્સિલર જ્યોત્સનાબેન પી.પટેલના હિસાબ પર નજર કરો. બેને માત્ર બાંકડા પાછળ 4 લાખ રૂપિયા વાપરી નાખ્યા છે. જ્યારે 1 લાખ 20 હજાર રૂપિયા ટ્રીગાર્ડ અને 2 લાખ 17 હજાર રૂપિયા પેવર બ્લોક પાછળ ખર્ચી નાખ્યા છે. જ્યારે હકીકતમાં તેમણે 10 ટકા રૂપિયા જ વાપરવાના હોય છે. બીજા કાઉન્સિલર છે દિનેશભાઈ એમ.રબારી જેમણે બાકડા પાછળ 4 લાખ 50 હજાર, ટ્રી-ગાર્ડ પાઠળ 1 લાખ અને પેવર બ્લોક પાછળ 4 લાખ રૂપિયા વાપર્યા છે. ત્રીજા કાઉન્સિલર છે પારુલબેન એ.પટેલ કે જેમણે બાંકડા પાછળ 2 લાખ, ટ્રી ગાર્ડ પાછળ 1 લાખ અને પેવર બ્લોક પાછળ 10 લાખ 86 હજાર 975 રૂપિયા વહાવી દીધા છે. જ્યારે ચોથા કાઉન્સિલર સુરેશભાઈ પટેલ બાંકડા પાછળ 4 લાખ 50 હજાર અને ટ્રી-ગાર્ડ પાછળ 4 લાખ 50 હજાર એટલે કે, 10 લાખ રૂપિયા વહાવી લીધા છે. હવે તમે ખુદ વિચાર કરી લો શું તમારા વિસ્તારમાં આટલા લાખના બાંકડા-ટ્રી ગાર્ડ અને પેવર બ્લોક નંખાયા છે. શું હકીકતમાં આટલો વિકાસ થયો છે ?
જ્યાં સ્વાસ્થ્ય પાછળ ખર્ચ થવો જોઈએ, જ્યાં સારી શાળાઓ અને શિક્ષણ પાછળ ખર્ચ થવો જોઈએ, જ્યાં લોકોની જરૂરિયાતો પાછળ ખર્ચ થવો જોઈએ. ત્યાં બાકડા, ટ્રી-ગાર્ડ અને પેવરબ્લોક પાછળ લાખો વાપરી નાખવામાં આવ્યા છે. જે સ્પષ્ટ પણે ચોખ્ખો ભ્રષ્ટાચાર છે. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, કાઉન્સિલરોએ લાખો રૂપિયાનો ધૂમાડો કરી નાખ્યો અને મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને તેની જાણ સુદ્ધા નથી. મેયર, અધિકારીઓ આરામમાં છે અને નેતાઓ ખિસ્સા ભરવામાં છે. ત્યારે સવાલ એવો પણ થાય છે કે ક્યાંક એવું નથી ને કે મેયરનો પણ કાઉન્સિલરોની મલાઈમાં ભાગ છે?
19-20નું બજેટઃ 1 કરોડ 42 લાખ ટ્રી ગાર્ડ અને બાંકડા પાછળ વાપરવામાં આવ્યા
ચૂંટાયેલા પ્રતિનિધિએ 10 ટકાથી વધુ બજેટ ટ્રી-ગાર્ડ અને બાંકડા પાછળ ન વાપરી શકાય. પરંતુ અહીં તો એક-એક કાઉન્સિલરે અંદાજીત 10-10 લાખ રૂપિયાનું બજેટ વાપરી નાખ્યું છે. હાઈકોર્ટના જજ દ્વારા તપાસ થાય તો છેલ્લા 10 વર્ષમાં ભ્રષ્ટાચારનો મોટો પર્દાફાશ થઈ શકે છે. ઓછામાં ઓછું 2 હજાર કરોડથી વધારે ટ્રી-ગાર્ડ, બાંકડા અને રમત-ગમતના સાધનો અને પેવર બ્લોક પાછળ ખર્ચ કરાયો હોવાની આશંકા છે. બાકડા કેટલા? ટ્રી ગાર્ડ કેટલા? જો 10-10 લાખ રૂપિયા ટ્રી-ગાર્ડ અને જાડ પાછળ વપરાતા હોય તો અમદાવાદમાં વૃક્ષો કેટલા છે ? 5-5 લાખના બાંકડા દર વર્ષે ક્યાં મુકે છે ? પોતાનો અંગત લાભ ખાંટલા દર વર્ષે 10-10 લાખ રૂપિયા વપરાય છે? જનતાના ટેક્સના પૈસાથી પોતાનું ઘર ભરવા કાઉન્સિલરોનું કાવતરું છે.
કેટલા કરોડનો ધૂમાડો?
કેટલાક નેતાઓને બાદ કરતા ભાજપ કે કોંગ્રેસ કોઈપણ નેતા હોય બધા જ ખિસ્સા તો ભરે જ છે. જેમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે વાત રહી 20 કાઉન્સિલરોના ખર્ચની તો. આ કાઉન્સિલરોએ બાકડા અને ટ્રી-ગાર્ડ પાછળ- 88,20,500 અને પેવર બ્લોક પાછળ- 2,13,99,875 રૂપિયા એટલે કે કુલ 3 કરોડ 2 લાખ 20 હજાર 375 કરોડ રૂપિયા વાપર્યા છે. પરંતુ શું એક વર્ષમાં આટલા કરોડનું કામ થયું છે ? તો આ માટે વીટીવીએ ઉત્તર-પશ્ચિમ ઝોનના આ ચાર વોર્ડનું રિયાલિટી ચેક પણ કર્યું હતું.
રિયાલિટી ચેકઃ ટ્રીગાર્ડ તો જોવા મળ્યા પરંતુ માત્ર ગણ્યા ગાઠયા
સૌથી પહેલા અમે ગોતા વોર્ડના સાયન્સસિટી વિસ્તારનું રિયાલિટી ચેક કર્યું. અમે એ જગ્યા પર પહોંચ્યા જ્યાં લાખો રૂપિયાના ખર્ચે કોર્પોરેટરો દ્વારા ટ્રી-ગાર્ડ લગાવવામાં આવ્યા છે. અહીં અમને ટ્રીગાર્ડ તો જોવા મળ્યા પરંતુ માત્ર ગણ્યા ગાઠયા. અમે આ જ વિસ્તારના કેટલાક સ્થાનિક લોકો પાસેથી પણ હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. તો તેમણે તો જાણે કાઉન્સિલરોની પોલ જ ખોલી નાખી. સ્થાનિકો દ્વારા અનેક આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. અહીં ભ્રષ્ટાચાર થયો તે સાફ દેખાય છે. સત્તાધિશો પણ જાણે છે. પરંતુ સૌકોઈ મૌન છે. લાગી રહ્યું છે આ મૌન પાછળ પણ ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારની મલાઈ જવાબદાર છે. જો આ અંગે તપાસ થાય તો 2 હજાર કરોડનું કૌભાંડ સામે આવી શકે છે.