ડોર ટુ ડોર વેક્સિનેશન જ કોરોનાને રોકવાનો એકમાત્ર અસરકારક ઉપાય છે ત્યારે હવે અમદાવાદ મનપા દ્વારા એક જ સોસાયટીમાં 45 વર્ષથી ઉપરની 100 કરતાં વધુ વ્યક્તિઓ હોય તો મ્યુનિ. કોર્પોરેશન કેમ્પ ગોઠવે છે
ડોર ટુ ડોર વેક્સિનેશન
કોરોના ટેસ્ટ બાદ વેક્સિનેશનના પણ ડોમ
વાઇરસને રોકવા માટે વેક્સિન જ એક રામબાણ ઇલાજ
વેક્સિન આપવા માટે ઠેરઠેર ડોમ પણ ઊભા કરાય તેવી શક્યતા સેવાઈ રહી છે. શહેરમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેને હાહાકાર મચાવી દીધો છે અને તે લોકોના ઘરે ઘરે પહોંચી ગયો છે. ચિત્તાની સ્પીડે વધી રહેલા કોરોના વાઇરસના કેસને કંટ્રોલમાં લાવવા માટે તંત્ર રાત-દિવસ ખડેપગે મહેનત કરે છે તો બીજી તરફ તંત્ર કોરોના વેક્સિનના ડોઝ પણ લોકો સુધી વધુ ને વધુ પહોંચે તેવા પ્રયત્ન કરી રહ્યું છે.
નિષ્ણાતોના મતે હાલ કોરોનાને કંટ્રોલમાં લાવવો હોય તો ડોર ટુ ડોર વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય છે. હાલ તંત્ર પણ આ મામલે વિચારણા કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. સતત વધી રહેલા કોરોનાના કેસોને જોતાં આગામી દિવસોમાં જે સ્થિતિ સર્જાશે તે જોઇને આ નિર્ણય લેવાય તે વાત નકારી શકાતી નથી.
લોકોને એ ડર પણ સતાવી રહ્યો છે
છેલ્લા થોડાક દિવસોમાં કોરોના ઓળખીતા-પાળખીતા, પાડોશી, મિત્રો, સગાંવહાલાંના ઘર સુધી પહોંચી ગયો છે. રોજેરોજ કોઇ ને કોઇ પરિચિત વ્યકિતને કોરોના થયો હોવાના સમાચાર મળી રહ્યા છે, જેના કારણે લોકોના દિલ-દિમાગ પર કોરોના હાવી થઇ ગયો છે. લોકોને એ ડર પણ સતાવી રહ્યો છે કે બહાર નીકળીશું તો કોરોનાની ઝપટમાં આવી જઇશું. કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન ગયા વર્ષ કરતાં પણ વધુ ખતરનાક હોવાનું તબીબો કહી રહ્યા છે.
વાઇરસને રોકવા માટે વેક્સિન જ એક રામબાણ ઇલાજ
કોરોનાને રોકવા માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પૂરતી કોશિશ કરી રહ્યાં છે, પરંતુ કેટલાક નાસમજુ લોકોના કારણે તેમની મહેનત રંગ લાવતી નથી. હાલ કોરોના વાઇરસને રોકવા માટે વેક્સિન જ એક રામબાણ ઇલાજ છે. વેક્સિન લીધા પછી કોરોના થતો નથી એ માન્યતા ખોટી છે. વેક્સિન લીધા પછી પણ કોરોના થાય છે, પરંતુ તેની અસર એકદમ શૂન્ય બરાબર થઇ જાય છે એટલે કે જીવ જવાનો ચાન્સ બહુ ઓછો હોય છે.
કયા કેટલી વેક્સિન અપાઈ
5 એપ્રિલ સુધી દેશમાં કુલ 72,277,309 લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે ત્યારે 10,833,617 લોકોએ બે ડોઝ લઇ લીધા છે. 1 એપ્રિલથી 45 વર્ષ કરતાં વધુ વયના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઇ કાલે કુલ 22,433 લોકોને વેક્સિન અપાઇ છે, જેમા 14,520 લોકો 45 વર્ષથી ઉપરના છે.
ડોર ટુ ડોર વેક્સિન આપવાનું શરૂ
હાલની સ્થિતને જોતાં જો ડોર ટુ ડોર વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવે તો કોરોનાનો ખાતમો જલદી બોલાઈ શકે તેમ છે. થોડાક સમય પછી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવે તેવી ચર્ચા છે. કોઇ સોસાયટી, ફ્લેટ, ગામમાં 100 કરતાં વધુ 45 વર્ષથી વધુ વયના લોકો રહેતા હોય અને ત્યાંના સ્થાનિક કોર્પોરેટર ભલામણ કરે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ વેક્સિનેશન માટેના કેમ્પનું આયોજન કરતું હોય છે.
કોર્પોરેશનની ટીમ વેક્સિન માટેનો કેમ્પ યોજે છે
અમદાવાદની ઘણી સોસાયટીમાં કોર્પોરેશનની ટીમ વેક્સિન માટેનો કેમ્પ યોજી રહ્યું છે. આગામી દિવસોમાં 18 વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે તો જો જલદીથી જલદી આ નિર્ણય લેવાય તો કોરોના ઝડપી ફેલાતો અટકી જશે. આ મામલે સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટ એમ.એમ. પ્રભાકરે જણાવ્યું છે કે ડોર ટુ ડોર વેક્સિનેશન અભિયાનનું પ્લાનિંગ થઇ શકે છે. જો તેનું પ્રોપર રીતે આયોજન કરવામાં આવે તો આ પ્રયોગ સફળ થશે.
કોરોના ટેસ્ટ બાદ વેક્સિનેશનના પણ ડોમ
જેમ બૂથ બનાવીને પોલિયોનાં ટીપાં આપવામાં આવે છે અને ત્યારબાદ ડોર ટુ ડોર જઇને ટીપાં પીવડાવવામાં આવે છે તેવી જ રીતે વેક્સિન પણ આપી શકાય છે. વેક્સિન આપવી સહેલી છે, પરંતુ તેનું રજિસ્ટ્રેશન પોર્ટલ ઓનલાઇન ચઢાવવું અઘરું છે. ડોર ટુ ડોર વેક્સિન આપવા જાય અને ત્યારબાદ તેના રજિસ્ટ્રેશનની એન્ટ્રી બુકમાં કરવી જોઇએ, ત્યારબાદ ઓનલાઇન ચઢાવી શકાય છે, નહીં તો જ્યાં વેક્સિન આપવા માટે જાય ત્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જરૂરી છે તો બીજી તરફ જે રીતે કોરોના ટેસ્ટિંગના ડોમ ઊભા થયા છે તેવી જ રીતે વેક્સિન લેવા માટેના ડોમ પણ તૈયાર કરવામાં આવે તો ઘણી સારી અસર થઇ શકે છે.