કોરોના કેસોમાં વધારો આવતો હોવાથી અમદાવાદ મનપા દ્વારા સ્કૂલો શરૂ થવાની સાથે જ સર્વે કરી બાળકોના વેકસીનેશન અભિયાનને વેગવંતુ બનાવવામાં આવશે.
સોમવારથી અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓ શરૂ થશે
અમદાવાદ મનપા શાળાઓમાં વેક્સિનેશન કરશે
વેકેશનના કારણે બીજા ડોઝનું વેક્સિનેશન હતું બાકી
ઉનાળુ વેકેશન પૂરું થવાને આરે છે. લાંબી રજાઓ બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી સોમવારથી શાળાઓ શરૂ થઈ રહી છે. બીજી તરફ કોરોનાના કેસોમાં પણ ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યુ છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા સૌ પ્રથમ વિદ્યાર્થીઓનો ફરીથી સર્વે કરીને વેક્સિનની કામગીરી પર ભર મૂકવામાં આવશે આ અંગે વાલીઓને પણ જાગૃત કરવામાં આવશે.
અંદાજે 20 હજાર બાળકોને વેક્સિન આપવાની બાકી
રાજ્યભરમાં સોમવારથી શાળાઓ શરૂ થઇ રહી છે. તેની સાથે જ કોરોના રસીકરણની કામગીરી પણ વેગવંતી કરવામાં આવશે. જેમાં અમદાવાદ મનપા દ્વારા બાળકોને શાળાઓમાં જ કોરોના રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ખાનગી અને મનપાની શાળાઓમાં વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવશે. મહત્વનું છે 12 થી 14 વર્ષના વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરાયા બાદ વચ્ચે વેકેશન આવી ગયું હતું. જેને પગલે આશરે 12 થી 14 વર્ષના 20 હજાર બાળકોને બીજા ડોઝનું વેક્સિનેશન બાકી રહી ગયું હતું. આ અંગે ફરીથી સર્વે કરીને વેક્સિન આપવામાં આવશે.
ખાનગી અને મનપાની શાળાઓમાં કરાશે વેક્સિનેશન
આરોગ્ય તંત્રના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અમુક બાળકોને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ પણ લેવાનો બાકી છે. જ્યારે ઘણા બાળકોને બીજો ડોઝ બાકી છે ત્યારે આ અંગે ખાનગી અને મનપાની શાળાઓમાં સર્વે કરી કાર્યવાહી કરાશે. ઉપરાંત બાળકોના વાલીઓને પણ જાગૃત કરી શાળામાં અને નજીકના આરોગ્ય કેન્દ્ર પર બાળકનું રસીકરણ કરાવવા અંગે જાગૃત કરાશે. વધુમાં બિમાર બાળકો સ્કૂલમાં ન આવે તેની કાળજી રખાવામાં આવશે. નોંધનિય છે કે અત્યાર સુધીમાં 1.30 લાખ જેટલા બાળકોનું વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.