બ્રિટિશ રાજના જમાનામાં અમદાવાદના ભદ્ર કોર્ટના પરિસરમાં શરૂ થયેલી એક માત્ર લો લાઈબ્રેરીનાં લાખો દુર્લભ પુસ્તકો પસ્તીની જેમ વેરવિખેર ફેંકી દેવાતાં વિવાદ સર્જાયો છે. લો લાઈબ્રેરીનું રિનોવેશન થવાને કારણે છેલ્લા એક વર્ષથી તે બંધ હાલતમાં હતી. જે પુસ્તકો જૂની જેલ કમ્પાઉન્ડમાં ખડકી દેવામાં આવ્યાં હતાં. રિનોવેશન બાદ તમામ પુસ્તકોને લાઈબ્રેરીમાં લાવી દેવામાં આવ્યાં છે. જેમાં મોટા ભાગનાં પુસ્તકો ગુમ થયાં હોવાની આશંકા છે.
19,000માં બધા પુસ્તકો વેચી દીધા
પહેલા લો લાઈબ્રેરી વકીલોથી ભરેલી રહેતી હતી
લાઈબ્રેરિયન પણ નથી
દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે તેમને 1869 માં અમદાવાદના ભદ્ર ખાતે અને જૂનાગઢમાં સિટી એન્ડ ડિસ્ટ્રિક્ટ લો લાઈબ્રેરીની શરૂઆત કરી હતી. ૧૮૬૦માં આઇપીસીનો કાયદો અસ્તિત્વમાં આવ્યો અને 1872 માં આવેલા એવિડન્સ એક્ટથી લઇને તમામ અમૂલ્ય પુસ્તકો આ લાઈબ્રેરીમાં છે. અંદાજે બે લાખ કરતાં વધુ પુસ્તકો આ લાઈબ્રેરીમાં છે. જેને વાંચીને આજે મોટા ભાગના વકીલોએ નામના મેળવી છે. કાયદો અસ્તિત્વમાં કેવી રીતે આવ્યો, કાયદો ધડવા પાછળના ઉદ્દેશો શા હતા. અંગ્રેજોએ કાયદો અમલમાં મૂક્યો તેની પાછળ કયાં કયાં સંશોધન કર્યાં છે તેવાં અને અમૂલ્ય પુસ્તકો આ લાઈબ્રેરીમાં છે, જે આજે પસ્તી સમાન બની ગયાં છે.
19,000માં બધા પુસ્તકો વેચી દીધા
અઢી કરોડ રૂપિયાના ખર્ચે બ્રિટિશરોએ બનાવેલી આ લાઈબ્રેરીનું ગત વર્ષે રિનોવેશન શરૂ થયું હતું, જેના કારણે તમામ પુસ્તકોને પોટલાંમાં બાંધીને જેલ કમ્પાઉન્ડમાં મૂકી દેવામાં આવ્યાં હતાં ત્યારે કેટલાક પુસ્તકોને 19 હજાર રૂપિયામાં પસ્તીમાં વેચી દીધાં હતાં. એક મહિના પહેલાં લાઈબ્રેરીનું રિનોવેશન થઇ ગયું છે તેમ છતાંય હજુ સુધી પુસ્તકોની ગોઠવણી કરવામાં આવતી નથી. જેલ કમ્પાઉન્ડથી પુસ્તકોનાં પોટલાં લાવી દેવામાં આવ્યાં છે અને લાઈબ્રેરીમાં જેમ તેમ મૂકી દેવામાં આવ્યા છે. સો વર્ષથી પણ જૂનાં અમૂલ્ય પુસ્તકો હોવાથી મોટા ભાગના પુસ્તકો ફાટી ગયાં છે, જેનું એકમાત્ર કારણ છે કે પુસ્તકાલયની કોઇ પણ પ્રકારની દરકાર રાખવામાં આવતી નથી.
લાઈબ્રેરિયન પણ નથી
કેટલાક વકીલોના આક્ષેપ છે કે અંગ્રેજોના સમયમાં બનેલ આ લો લાઈબ્રેરીમાં ઘણાં વર્ષોથી કોઇ લાઈબ્રેરિયન નથી અને માત્ર ત્રણ લોકોનો સ્ટાફ છે. જેમને રેગ્યુલર પગાર પણ આપવામાં આવતો નથી. આ સિવાય લાઈબ્રેરીમાં અંદાજે બે હજાર કરતાં વધુ મેમ્બર છે. લાઈબ્રેરીમાં બુક કાર્ડ પણ અપડેટ કરવામાં આવતા નથી. જ્યારે પુસ્તકોની યાદી સરખી રીતે જાળવણી કરવામાં આવી નથી. જેના કારણે મોટા ભાગનાં કીમતી પુસ્તકો સગેવગે થઇ ગયાં છે. લાઈબ્રેરિયનની નિમણૂક થઇ નહીં હોવાના કારણે તંત્ર રામભરોસે ચાલી રહ્યું છે.
પહેલા લો લાઈબ્રેરી વકીલોથી ભરેલી રહેતી હતી
પહેલાં લો લાઈબ્રેરી વકીલોથી ખીચોખીચ ભરેલી રહેતી હતી ત્યારે હવે અહીં નહીવત્ વકીલો આવી રહ્યા છે. આ સિવાય કોઇ પણ વકીલને કોર્ટના જજમેન્ટની પ્રિન્ટ અથવા જર્નલની પ્રિન્ટ ઓનલાઇન કાઢવી હોય તો તેને લાઈબ્રેરીના કમ્પ્યૂટરમાંથી મળી જતી હતી, જોકે હાલ તે પણ સ્ટાફના અભાવના કારણે બંધ કરી દેવામાં આવ્યું છે. વકીલ આલમમાં એવી પણ ચર્ચા છે કે રિનોવેશન પાછળ થયેલા અઢી કરોડના ખર્ચામાં પણ કૌભાંડ હોઇ શકે છે. હાલ લાઈબ્રેરીમાં તમામ પુસ્તકો વેરવિખેર પડ્યાં છે અને જેને ક્રમવાઇઝ ગોઠવતાં હજુ બે મહિના લાગે તેવી શક્યતા છે.
રિનોવેશનમાં પુસ્તકો ફેંકી દેવાયા
આ સિવાય 1914નાં જર્નલ ફાટી ગયા હોવાનું પણ વકીલોમાં ચર્ચા છે. આ મામલે અમદાવાદ બાર એસોસીએશનના પ્રમુખ પરેશ જાનીએ જણાવ્યું છે કે એક વર્ષથી લાઈબ્રેરી રિનોવેશન ચાલતું હતું, જે ગત મહિને પૂરું થઇ ગયુ છે. જેલ કમ્પાઉન્ડમાં રાખેલાં પુસ્તકોને લાવી દેવામાં આવ્યાં છે, જેને ગોઠવવામાં સમય લાગશે. આ સિવાય અઢી કરોડના ખર્ચે આ લાઈબ્રેરી તૈયાર કરવામાં આવી છે. અંગ્રેજોના સમયના કેટલાં પુસ્તકો ફાટી ગયાં છે.