તાજેતરમાં પડેલા સામાન્ય દોઢથી બે ઇંચ વરસાદમાં સમગ્ર શહેર જળબંબાકાર થયું હતું. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતાં કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો. કયાંક તો લોકોનાં ઘર અને ઓફિસોમાં વરસાદી પાણી ઘૂસી ગયાં હતા.
ફરી એક વખત તંત્રનો પ્રી-મોન્સૂન એકશન પ્લાન કરોડો રૂપિયાના આંધણ કરાયા બાદ પણ ધોવાઇ ગયો હતો. જેના કારણે મ્યુનિસિપલ કમિશનર ભારે ખફા થયા હોઇ છેલ્લા ત્રણ દિવસથી કેચપિટ, મેનહોલની સફાઇ સહિતની કામગીરીની સ્થળ તપાસ કરી રહ્યા છે. આજે પણ કમિશનરની મુલાકાતમાં તંત્રની પોલ ખૂલી હતી.
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ છેલ્લા બે દિવસમાં પ૦૦ કેચપિટની તપાસ કરતાં મોટા ભાગની કેચપિટમાં સફાઇ જોવા મળી નહોતી. માત્ર કેચપિટ સાફ કરવાને બદલે સાફ કર્યા પછી પાણીનું વહન થાય છે કે નહીં તે તપાસવાની પણ સંબંધિત ઇજનેર વિભાગના અધિકારીઓને આદેશ કર્યો હતો.
દરમિયાન આજે વિરાટનગર વિસ્તારમાં કમિશનર નહેરાએ ડ્રેનેજ અને વરસાદી લાઇનોની તપાસ કરી હતી. જેમાં વરસાદી લાઇનમાં કચરા સાથે ડ્રેનેજનાં પાણી મળી આવતાં તેઓ રોષે ભરાયા હતા. જોકે ઇજનેર વિભાગના ઉચ્ચ અધિકારીઓ કમિશનરને સંતોષજનક ખુલાસો આપી શકયા નહોતા.
કમિશનરે વરસાદી લાઇનમાં થયેલા ગેરકાયદે જોડાણ કાપવાનો પણ આદેશ આપ્યો હતો. આ ઉપરાંત નિકોલમાં પણ કમિશનરે પગપાળા ચાલી મેનહોલ અને પમ્પિંગ સ્ટેશનની તપાસ કરી હતી. કેટલાક સ્થળે સ્થાનિકોએ પાણી ભરાવા અંગે કમિશનરને રજૂઆત કરતાં કમિશનરે મેનહોલ ખોલાવવાના પ્રયાસ કર્યા હતા.
જોકે કમિશનરની હાજરીમાં જ ગંદકીથી છલોછલ ઊભરાતા મેનહોલ ખૂલી શકયા નહોતા. આ ઉપરાંત અમુક જગ્યાએ સ્થાનિકોએ પાણી ભરાવા અંગેની પણ કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆત કરીને સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ ભારે રોષ વ્યકત કર્યો હતો.