અમદાવાદમાં કચરો ઠાલવવાની પિરાણા ગામમાં જે સાઇટ પર કચરાનો ૨૦૦ ફૂટ ઉંચો ઢગ થયો છે તેને હુલામણા નામ માઉન્ટ પિરાણા તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં પિરાણાની સાઇટની મુલાકાત લીધા પછી જ તેના કદ અને ભયાનકતાનો ખરો અંદાજ આવે છે. આ સાઇટની આસપાસના સેંકડો મીટર વિસ્તારમાં સડાની દુર્ગંધ આવે છે, આસપાસના ગામો વારંવાર રોગચાળાનો ભોગ બને છે. આસપાસનું ભુગર્ભજળ પ્રદુષિત થયુ છે. પર્યાવરણને ભયંકર હાનિ પહોંચાડતું ઉદાહરણ માઉન્ટ પિરાણાએ પુરુ પાડ્યું છે.
કમિશનરે પિરાણાને ત્રણ વર્ષમાં દુર કરવાનો દાવો કર્યો છે તેમાં કોઈ દમ નથી. પહેલા કમિશનરના દાવાને જોઈએ. કમિશનરના દાવા પ્રમાણે, રોજનો ૩૦૦ ટન કચરો અહીથી દૂર થઈ રહ્યો છે અને છેલ્લા સાડા ત્રણ મહિનાથી કચરો દૂર કરવાનું આ કામ ચાલી રહ્યુ છે. ભીનો અને સુકો કચરો અલગ તારવવામાં આવી રહ્યો છે. ભિના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનશે અને સુકા કચરાનો યોગ્ય નિકાલ થશે.
શરુઆતમાં રોજનો ૩૦૦ ટન કચરો દુર કરતું એક ટ્રોમેલ મશીન મુકવામાં આવ્યુ અને કમિશનરે કહ્યુ કે પહેલા તબક્કામાં આવા ૧૦ મશીન મુકવામાં આવશે અને તેને ક્રમશઃ વધારીને ૩૦ કરવામાં આવશે. કમિશનરે કહ્યુ કે પાઇલોટ પ્રોજેક્ટના પરિણામ ઉત્સાહજનક રહ્યા છે. એકવાર કચરાના પૂનઃઉપયોગનો ઉપાય અમદાવાદ મહાનગરપાલિકા શોધી લે પછી કામની ગતિને વેગ અપાશે. કચરાના પૂનઃઉપયોગ માટે એક્સેલ ઇન્ડસ્ટ્રિનો સેગ્રેગેશનનો પ્લાન્ટ ઓલરેડી ચાલુ છે. અને કમિશનરના કહેવા પ્રમાણે, સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇÂન્સ્ટટ્યૂટ પાસે મદદ માંગવામાં આવી છે, કચરાનો રસ્તા બાંધવામાં પૂનઃઉપયોગ કરવા માટે. અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ આ પ્રોજેક્ટ પાછળનો ખર્ચ ૮૦૦ કરોડ અંદાજે છે.
વાસ્તવમાં આ યોજના કશી ગણતરી વગર, કોઈપણ પ્રકારના નક્કર આયોજન વગર ઘડાઈ છે તેથી ૩૦ ટ્રોમેલ મશીનો મુકીને તેનું નિરાકરણ શક્ય નથી. કેવી રીતે? આવો તપાસીએ.
૨ કરોડ ૮૫ લાખ ટન જેટલો કચરો જમા થયો
નાગરિક સશક્તિકરણ મંચના વડા આ પર્યાવરણ ક્ષેત્રે દાયકાઓથી સક્રિય જતિન શેઠ કહે છે, “૫૫ મિટરના ૩ કચરાના પહાડો ધરાવતી અને ૮૦ એકરમાં ફેલાયેલી પિરાણા ડમ્પીંગ સાઇટમાં કચરો ઠાલવવાનું ૧૯૮૦થી શરૂ થયુ હતું. અંદાજ સાથે હિસાબ કરીએ તો, અત્યારે પિરાણામાં રોજનો ૪૦૦૦ ટન કચરો ઠાલવવામાં આવે છે. સ્વાભાવિક રીતે ૧૯૮૦માં અહીં ઠલવાતા રોજીંદા કચરાનું પ્રમાણ અત્યાર કરતા ઘણું ઓછું હશે. આપણે મધ્યાંક કાઢીને સરવાળો કરીએ. ધારોકે ૧૯૮૦થી વર્તમાન સમય દરમિયાન રોજનો સરેરાશ ૨૦૦૦ ટન કચરો પિરાણા સાઇટ ઉપર ઠલવાયો છે. એ રીતે ૩૯ વર્ષમાં જમા થયેલા કચરાનો હિસાબ કરીએ તો ૩૯ વર્ષના દિવસો ૧૪,૨૩૫ થાય. રોજના સરેરાશ ૨૦૦૦ ટન લેખે કુલ પિરાણા ડમ્પીંગ સાઇટ પર અત્યાર સુધીમાં ૨ કરોડ ૮૫ લાખ ટન જેટલો કચરો જમા થયો છે.
અત્યારે રોજનો ૪૦૦૦ ટન જેટલો કચરો જમા થાય છે
હવે અમદાવાદ મહાનગરપાલિકાના દાવા પ્રમાણે, ધારો કે તમામ ૩૦ ટ્રોમેલ મશીન કચરો કાઢવા માટે કાર્યરત થઈ જાય તો પીરાણા સાઇટ પરથી રોજના ૯૦૦૦ ટન કચરો દુર કરી શકે અને આ રીતે કચરો ઉલેચીને અમદાવાદ મહાનગરપાલિકા એક વર્ષમાં માત્ર ૩૨ લાખ ૮૫ હજાર ટન કચરો દુર કરી શકે. એ પણ ત્યારે કે જ્યારે, ૩૦ પૈકી એકપણ મશીન એકપણ દિવસ બંધ ન પડે અને વર્ષના ૩૬૫ દિવસ ચાલુ રહે તો. હવે વાસ્તવિકતા જાઈએ તો અત્યારે રોજનો ૪૦૦૦ ટન જેટલો કચરો જમા થાય છે.
ત્રણ કે સાડા ત્રણ વર્ષ નહીં ૧૯ વર્ષ લાગે...
તે મુજબ, એક વર્ષમાં ૧૫ લાખ ટન જેટલો વધારાનો કચરો જમા થઈ જશે. આ જમા થયેલો કચરો બાદ કરતા વાસ્તવમાં, અમદાવાદ મહાનગરપાલિકા ૩૦ મશીનો સાથે એક વર્ષમાં ૧૭ લાખ ટન જેટલો કચરો ખાલી કરશે. આ રીતે ગણતરી કરતા ત્રણ વર્ષમાં માત્ર ૫૦ લાખ ટન કચરો ખાલી થાય. આમ કુલ ૨ કરોડ ૮૫ લાખ ટન કચરાને પિરાણા સાઇટ પરથી દુર કરતા કુલ ૧૯ વર્ષ લાગે. ત્રણ કે સાડા ત્રણ વર્ષ નહીં.” આ વાસ્તવિકતા અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વર્ષમાં પિરાણાને સાફ કરી દેવાના દાવાની પોકળતા છતી કરે છે.