શહેરીજનો માટે એએમટીએસ અને બીઆરટીએસ બાદ જાહેર પરિવહન સેવા ક્ષેત્રે તંત્ર દ્વારા મેટ્રો રેલનો ત્રીજો વિકલ્પ પૂરો પડાયો છે. અમદાવાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત તા.પ માર્ચ, ર૦૧૯એ બહેરા-મૂંગા બાળકો સાથે વસ્ત્રાલ ગામથી નિરાંત ચોકડી સુધી મેટ્રો રેલની સફર માણીને તેનું લોકાર્પણ કર્યું હતું.
જોકે માત્ર ૬.પ૦ કિ.મી.ના એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીનાં નાનકડા કોરિડોરમાં દોડતી મેટ્રો રેલ વચ્ચે મહત્ત્વનાં કોઇ વાણિજ્યિક કે શૈક્ષણિક સંસ્થા ન આવતાં હોઇ હજુ ખાસ લોકપ્રિય બની નથી. જોકે અનેક નાગરિક માટે પરિવાર સાથે મેટ્રો રેલની મુસાફરી ખાસ કરીને બાળકો માટે રોમાંચ અપાવનારી બની છે. જે ૧૬૭ દિવસેે કેન્દ્રનાં અનલોક-૪ની ગાઇડલાઇન મુજબ આગામી તા.૭ સપ્ટેમ્બરથી દોડતી થશે.
રાજ્ય સરકાર માટે મેટ્રો રેલ પ્રોજેકટ મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ છે. આ પ્રોજેકટ હેઠળ ખાસ મેટ્રો-લિંક એકસપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહમદાબાદ કંપની લિમિટેડ (મેગા)નું ગત તા.ર૦ માર્ચ, ર૦૧પએ ગઠન કરાયું હતું. કેન્દ્ર અને રાજ્યના સંયુકત ઉપક્રમ તરીકે સ્પેશિયલ પર્પઝ વિહિકલ હેઠળ રચાયેલી મેગા કંપનીના ગત તા.૧૭ નવેમ્બર, ર૦૧૪એ કેન્દ્ર સરકારે પહેલા ફેઝની કામગીરીના રૂ.૧૦,૭૭૩ કરોડના પ્રોજેકટને મંજૂરી આપી હતી.
તાજેતરમાં મેગા કંપનીએ થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ વચ્ચેના ર૦.૭૪ કિ.મી. લાંબા પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં કાલુપુરથી શાહપુર વચ્ચેના ચાર કિ.મી.ના રૂટ પર જમીનથી ૧૮ મીટર નીચે ટનલ બનાવવાની કામગીરીને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ કોરિડોરમાં એપરલ પાર્કથી શાહપુર સુધી ૬.પ કિ.મી. લાંબી ટનલ બનાવાઇ રહી છે. જે પૈકી ગત તા.રપ ફેબ્રુઆરી, ર૦૧૯એ એપરલ પાર્કથી કાલુપુર સુધી ર.પ કિ.મી. લાંબી અપ અને ડાઉન ટનલની કામગીરી પૂર્ણ કરાઇ હતી.
વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના એલિવેટેડ કોરિડોર પર એપરલ પાર્ક સ્ટેશન બાદ કાંકરિયા પૂર્વ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા અને શાહપુર એમ ચાર અન્ડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન બનવાનાં છે. સમગ્ર અમદાવાદમાં ટનલ આધારિત આ ચાર જ અન્ડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન બનવાનાં છે. હવે આ કામગીરી આગળ ધપાવાશે. કાલુપુરથી શાહપુરનો પ્રોજેકટ ગત ઓગસ્ટ, ર૦૧૮માં શરૂ કરાયો હતો. જે ડિસેમ્બર ર૦૧૯માં પૂર્ણ કરવાનો હતો, પરંતુ કોરોનાના કારણે વિલંબમાં મુકાયો છે.
કોરોનાનું ગ્રહણ લાગવાથી વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે દોડતી મેટ્રો રેલને ગત તા.રપ માર્ચ ર૦ર૦ના પહેલા લોકડાઉનથી બંધ કરાઇ હતી. જેને હવે મેટ્રો રેલના સત્તાવાળાઓ આગામી તા.૭ સપ્ટેમ્બરથી કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા એક-બે દિવસમાં પ્રસિદ્ધ થનારી સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર (એસઓપી) મુજબ દોડતી કરાશે.
આમ તો મેટ્રો રેલમાં તેના લોકાર્પણ બાદ ૧૦ દિવસ સુધી અમદાવાદીઓ માટે 'ફ્રી રાઇડ'નો લાભ અપાયો હતો. તેે વખતે લોકો ફ્રી રાઇડ માટે સવારથી લાંબી લાઇન લગાવતા હતા. મેટ્રો રેલવેમાં ઉંમર નહીં, પણ ઊંચાઇ મુજબ ટિકિટ અપાતી હોઇ ત્રણ ફૂટથી નાનાં બાળકની હાફ ટિકિટ લેવી પડતી નથી. જોકે વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે રૂ.૧૦ની ટિકિટ હોઇ કોરોનાથી રોજના સરેરાશ ૧,૦૦૦ પેસેન્જર પ્રમાણે તંત્રને રૂ.૧૬.૭૦ લાખનું આર્થિક નુકસાન થયું છે.
સત્તાવાળાઓ દ્વારા અગાઉની જેમ ત્રણ કોચ ધરાવતી એક ટ્રેન દોડાવશે જે વસ્ત્રાલ ગામથી સવારે ૧૧.૦૦ વાગ્યે અને એપરલ પાર્કથી સવારે ૧૧.રપ વાગ્યે ઉપડશે. વસ્ત્રાલ ગામથી છેલ્લી ટ્રેન સાંજે ૪.પ૦ વાગ્યે અને એપરલ પાર્કથી સાંજે ૪.રપ વાગ્યે છૂટશે. દરમિયાન એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા ગત તા.૧ જૂનથી નિરાંત ચોકડીથી સારંગપુર વચ્ચે રૂટ નં.૧૪૪/૧ પર છ બસ દોડતી કરાઇ છે.
જ્યારે અગાઉની જેમ મણિનગર પૂર્વથી એપરલ પાર્ક વચ્ચે રૂ.પાંચની ટિકિટ ધરાવતી બે ફીડર બસ મૂકવાની દિશામાં પણ એએમટીએસ સત્તાવાળાઓ હિલચાલ હાથ ધરશે. જોકે રવિવારે ફીડર બસને મેટ્રો રેલના સૌથી વધુ ૧પ૦૦-ર૦૦૦ પેસેન્જર હોવા છતાં બંધ રખાતી હતી.
દરમિયાન મેટ્રો રેલવેના સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મેટ્રો રેલવેને હવે પછી ૬.પ૦ કિ.મી.ના નાનકડા કોરિડોરમાં દોડતી કરવાને બદલે સમગ્ર ૪૦ કિ.મી.ના રૂટ પર દોડાવાશે. જોકે આ માટે દોઢ વર્ષનો સમય લાગશે. આ દરમિયાન થલતેજથી થલતેજ ગામ વચ્ચેનો કોરિડોર રોડના રીડીપીને કારણે વિવાદાસ્પદ બન્યો છે. આ કોકડું હજુ ઉકેલાયું નથી.