અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં ફેરવવાની કામગીરી રેલવે સત્તાવાળાઓ દ્વારા હાથ ધરાઇ છે. આ કામગીરી રેલ વિકાસ નિગમ દ્વારા ચાલી રહી હોવાથી અગાઉ માદલપુર ગરનાળાનું લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયું હતું. ત્યાર બાદ રેલવે તંત્ર દ્વારા મીઠાખળી અન્ડરપાસનું નવીનીકરણ હાથ ધરાયું હોઇ આ અન્ડરપાસ દિવાળીના તહેવારોમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે.
વરસાદના કારણે કામગીરીમાં બે મહિનાનો વિલંબ થયો
ચોમાસામાં વરસાદી પાણી નહીં ભરાય તેવો રેલવે તંત્રનો દાવો
રેલવે તંત્ર દ્વારા અગાઉ સાત મીટર પહોળાઇના માદલપુરના બંને નાળાને વધુ બે મીટર પહોળા કરાયાં હતાં. ટ્રાફિકના પ્રશ્નોના નિરાકરણ માટે રેલ વિકાસ નિગમે માદલપુર ગરનાળાને પહોળું કર્યું હતું. ત્યાર બાદ પશ્ચિમ અમદાવાદ માટે વધુ એક મહત્ત્વપૂર્ણ મીઠાખળી અન્ડરપાસને પહોળો કરવાની કામગીરી હાથ ધરાઇ છે.
નવીનીકરણ માટે કરાયો હતો બંધ
આ કામગીરી હેઠળ મીઠાખળી અન્ડરપાસને અપ-ડાઉન લાઇનમાં છ મીટર પહોળો કરાયો છે. આ ઉપરાંત અન્ડરપાસની ૪.૧પ મીટરની અગાઉની ઊંચાઇને વધારીને ૪.પપ મીટર કરાઇ છે. તંત્ર દ્વારા ગત તા.૪ ફેબ્રુઆરી, ર૦૧૯થી મીઠાખળી અન્ડરપાસને નવીનીકરણ માટે બંધ કરાયો હતો.
જેના કારણે અત્યારે વાહનચાલકો મીઠાખળી ગામ ક્રોસિંગ, નહેરુબ્રિજ ચાર રસ્તા, માદલપુર ગરનાળા, ગુજરાત કોલેજ પાસેથી પસાર થતા સર્પાકાર બ્રિજ થઇ નવરંગપુરા રેલવે ક્રોસિંગ પછી આવેલા મહાદેવ મંદિર તરફના રોડનો ઉપયોગ કરી રહ્યા છે.
વરસાદી માહોલને કારણે થયો વિલંબ
દરમિયાન રેલ વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ)ના ટોચના વર્તુળો કહે છે કે આમ તો અન્ડરપાસ ઓગસ્ટના અંત સુધીમાં ખુલ્લો મુકાઇ જાત, પરંતુ વરસાદી માહોલના કારણે તેમાં વિલંબ થયો છે. સ્ટીલના ગર્ડર મૂકવાની કામગીરી વરસાદથી તેના કોટિંગને નુકસાન પહોંચી શકે તેમ હોઇ હાથ ધરાઇ ન હતી. આ ઉપરાંત યુટિલિટીને લગતા વિભિન્ન એજન્સીના કેબલને ખસેડવાની કામગીરી તેમજ ડ્રેનેજ સિસ્ટમની કામગીરીમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓનો સહયોગ જરૂરી હતો.
ગમે તેટલું પાણી ભરાશે અન્ડરપાસમાં નહીં ભરાય પાણી
સામાન્ય રીતે મીઠાખળી અન્ડરપાસમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઇ જતાં હોઇ તેને ઉલેચવા માટે લાખો રૂપિયાના ખર્ચે પમ્પિંગ સિસ્ટમ ગોઠવવી પડે છે, પરંતુ રેલ વિકાસ નિગમ લિમિટેડના ટોચનાં વર્તુળોએ એવો દાવો કર્યો છે કે ભવિષ્યમાં ગમે તેવો વરસાદ શહેરમાં પડે, પરંતુ અન્ડરપાસમાં પાણી ભરાશે નહીં. આ વખતે ડ્રેનેજ સિસ્ટમમાં વિશિષ્ટ પ્રકારનું પ્લાનિંગ કર્યું હોઇ ચોમાસામાં અન્ડરપાસ વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે.
આ ટોચનાં વર્તુળો વધુમાં કહે છે કે દિવાળીના સપરમા દિવસોમાં મીઠાખળી અન્ડરપાસ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય તે દિશામાં કામકાજ ચાલુ હોઇ લાભપાંચમની આસપાસથી વાહનચાલકો તેનો ઉપયોગ કરી શકશે.