અમદાવાદ: ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આંબેડકર જયંતીની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રીને ખુલ્લો પત્ર લખ્યો છે. મેવાણીએ ખુલ્લા પત્રમાં સરકાર પર દલિતોને લઈ આક્ષેપોની ઝડી વરસાવી છે. મેવાણીએ પત્રમાં સરકાર પર એસસી એસટી કાયદાને નબળો પાડવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ ભારત બંધ સમયે સરકારે દલિત સમાજના લોકો પર ખોટા કેસ કર્યા હોવાનું દોષારોપણ પણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે આજરોજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસ કાર્યકરોને હિંસા ન કરવાની અપીલ પણ કરી હતી. 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરનાં વિવિધ કાર્યક્રમોમાં હિંસા વગર ભાજપનો વિરોધ કરવા અંગેની અપીલ કરી છે. ભાજપ નેતાઓ સાથે કોઈ પણ પ્રકારની ઝપાઝપી ન કરવા કોંગ્રેસ કાર્યકરોને સુચન કર્યું છે.
આપને જણાવી દઇએ કે જિજ્ઞેશ મેવાણીએ 14 એપ્રિલનાં રોજ ભાજપનાં નેતાઓને આંબેડકરની પ્રતિમા પર ફૂલ હાર ચઢાવવા નહીં દેવાની ખુલ્લી ધમકી આપી છે. જેને લઈને જીજ્ઞેશ મેવાણીએ સુચન કર્યું હોવાનું માનવામાં આવે છે. મહત્વનું છે કે દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ભાજપનાં નેતાઓ સામે ચીમકી ઉચ્ચારી છે કે 14મી એપ્રિલે એક પણ ભાજપનાં નેતાઓને તે બાબા સાહેબ આંબેડકરને સ્પર્શવા નહીં દે.