અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં દોડતી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. સવારનો મેટ્રો ટ્રેનનો સમય 9 વાગ્યાથી બદલી 7 વાગ્યાનો કરવામાં આવ્યો છે. 30 જાન્યુઆરીથી નવો સમય અમલી થશે.
અમદાવાદની મેટ્રો ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર
હવે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે મેટ્રો
અગાઉ સવારે 9 વાગ્યે શરૂ કરવામાં આવતી હતી મેટ્રો
અમદાવાદમાં મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોર અને નોર્થ-સાઉથ કોરિડોરનો પ્રારંભ થયાને સાડા ત્રણ મહિના થઇ ચૂક્યા છે. ત્યારે આ સમયગાળા દરમિયાન મેટ્રોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને અનેક લોકોએ આ મેટ્રોની મુસાફરી મજા માણી છે. સરકાર દ્વારા મેટ્રોની સુવિધા મળતા અનેક લોકો તેનો ભરપુર ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે શહેરમાં સવારના 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે. આ નવો સમય 30 જાન્યુઆરી બાદ અમલી બનશે. મહત્વનું છે કે, હાલ સવારે 9 વાગ્યે મેટ્રો શરૂ કરવામાં આવે છે.
7 વાગ્યાથી શરૂ કરવામાં આવશે મેટ્રો
વહીવટી તંત્ર દ્વારા સવારે 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા સમયે મેટ્રો દોડતી થતાં મુસાફરોની સંખ્યામાં પણ વધારો થશે. જેના કારણે મેટ્રોને આવકમાં પણ ધરખમ વધારો થઈ શકે છે. નોંધનીય છે કે, ટ્રેન શરૂ થયાના 3 મહિનામાં કુલ 39.96 લાખ લોકોએ મેટ્રોની મુસાફરી કરી છે.
બે કોરિડોર પર કુલ 40 કિમી ટ્રેન થઈ ગઈ છે દોડતી
PM મોદીના હસ્તે ગત 30 સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના બે દિવસ બાદ નાગરિકો માટે મેટ્રો સેવા શરૂ કરી દેવામાં આવી હતી. અમદાવાદમાં પૂર્વથી પશ્ચિમમાં 17 સ્ટેશન અને ઉત્તરથી દક્ષિણમાં 15 સ્ટેશનો એમ બે કોરિડોર પર કુલ 40 કિમી ટ્રેન દોડતી થઈ ગઈ છે.
જાણો મેટ્રો ટ્રેનનો રૂટ, ભાડું અને સુવિધાઓ
મેટ્રો ટ્રેનની શું છે વિશેષતા?
- અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે
- પૂર્વ-પશ્ચિમ તેમજ ઉત્તર-દક્ષિણ એમ બે કોરિડોર પર દોડી રહી છે મેટ્રો ટ્રેન
- ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરાયો છે
- પૂર્વ-પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે
- જે થલતેજથી વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે, જેમાં 17 સ્ટેશન છે
- ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો છે
- જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે.
- 21 કિ.મી. લાંબો કોરિડોર નદીની ઉપર તેમજ શહેરના નીચેથી પણ પસાર થાય છે.
- શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરિયા પૂર્વમાં બહાર નીકળે છે
- શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિમીનો રૂટ છે.
- આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર, કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવે છે.
- હાલ વાહન લઇને શાહપુરથી કાંકરિયા જવું હોય તો 30 મિનિટ જેટલો સમય લાગે છે.
- મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાય છે.