અમદાવાદના પીરાણા કાપડ ગોડાઉનમાં આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 12 થયો છે. કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળતા અત્યારસુધી 5 મહિલા અને 7 પુરૂષોના દુર્ઘટનામાં મૃત્યુ થયા છે. ત્યારે આટલી મોટી દુર્ઘટનાના 8 કલાક બાદ અમદાવાદના પ્રથમ નાગરિક બિજલ પટેલને યાદ આવી. બપોરે બનેલી ઘટના બાદ સાંજના 6 વાગ્યા સુધી ઘરની બહાર નીકળ્યાં નહોતા. પ્રધાનમંત્રી અમદાવાદની આગ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યા બાદ તાત્કાલિક અમદાવાદ મેયરને દુર્ઘટના યાદ આવી અને LG હોસ્પિટલ દોડી ગયા હતા.
અમદાવાદમાં કાપડનાં ગોડાઉનમાં આગ મામલો
પ્રધાનમંત્રીના ટ્વિટ બાદ અમદાવાદ મેયર LG હોસ્પિટલ પહોંચ્યા
ઘટનાના 8 કલાક બાદ મેયરને યાદ આવી
અમદાવાદમાં કાપડનાં ગોડાઉનમાં આગ મામલે ઘટનાના 8 કલાક બાદ અમદાવાદના મેયર બિજલ પટેલ LG હોસ્પિટલ પહોંચ્યા હતા. મેયરે આગની દુર્ઘટનાને સામાન્ય ગણાવી હતી અને પત્રકારો દ્વારા વધુ પ્રશ્નો પૂછતા જ મેયરે ચાલતી પકડી હતી. મીડિયાથી બચવા મેયર અન્ય દરવાજેથી હોસ્પિટલમાં પ્રવેશ્યા હતા. મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ ત્યારબાદ અમદાવાદ મેયરને ધ્યાને હવે આવ્યું. 12ના મોત બાદ સાંજે અમદાવાદના મેયર બિજલ પટેલે છેલ્લે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અહીં તમામ હોદ્દેદારો અને મ્યુનિસિપલ કમિશનર પણ હાજર રહ્યા હતા.
પત્રકારો સાથેની વાતચીતમાં મેયર બિજલ પટેલે જણાવ્યું હતું કે, આજે જે ઘટના બની તે દુઃખદ છે. અમદાવાદ વતી હું શોક વ્યક્ત કરૂં છું. ઈજાગ્રસ્તોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. તેમણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને ઈજાગ્રસ્તોની સારવાર અગત્યની છે તેવું કહીને જવાબ આપ્યા વિના હોસ્પિટલમાંથી ચાલતી પકડી હતી. તો બીજી તરફ મેયર સહિતનાં શાસક પક્ષના એકપણ નેતા દ્વારા મૃતકોનાં પરિવારજનોને સાંત્વના આપી ન હતી. પરંતુ પ્રધાનમંત્રી મોદીના ટ્વિટ આવી કે અમદાવાદનું તંત્ર દોડતું થયું હતું.
મહત્વનું છે કે, જ્યારે દુર્ઘટનામાં મૃત્યુ પામનારાના પરિવારજનોને 4-4 લાખની સહાયની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે.
ત્યારે સવાલ થાય છે કે, અમદવાદમાં 12ના મોત પછી મેયર કેમ શાંત છે ? મેયરને 12 મોતની ઘટના સામાન્ય લાગી રહી છે ? 12 મોત પછી સાંજે મેયર હોસ્પિટલ પહોંચ્યા. સાંજ સુધી મેયર એવી તે કઇ ગંભીર મિટિંગમાં વ્યસ્ત હતા.