અમદાવાદ: શહેરના ગુજરાત વિદ્યાપીઠ પાસે આંગડિયા પેઢીના કર્મચારી પર લૂંટના ઇરાદે ફાયરિંગ કરાયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. 4 અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતાં ઇજાગ્રસ્ત કર્મીનું મોત નિપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત થતી વિગતોનુસાર આ ઘટના આશ્રમ રોડ પર આવેલી ગુજરાત વિદ્યાપીઠ પાસેની છે. જયાં બાઇક પર આવેલા 2 શખ્સોએ આંગડિયા કર્મચારી અરવિંદ પટેલ પર ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગ કરીને અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા છે. જો કે ફાયરિંગની ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચના JCP જે કે ભટ્ટ સહિતનો પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને ઘટના સ્થળ પર તપાસ હાથ ધરી હતી.
અરવિંદ પટેલ મહેસાણા તરફ જતો હતો તે દરમિયાન આ ઘટના બની છે. હાલ પોલીસે CCTV સહિત આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી અજાણ્યા શખ્સોનું પગેરુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.
ઉલ્લેખનીય છે કે એક સપ્તાહમાં ફાયરિંગની આ બીજી ઘટના છે. થોડા દિવસ પહેલા પણ વાસણા મંદિરમાં વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ઘટના બાદ અમદાવાદની સુરક્ષાને લઇને સવાલો ઉભા કર્યા છે. લૂંટ હત્યા અને ફાયરિંગ જેવા કેસોમાં વધારો થયો છે.